છાગલાદ્ય ઘૃત

January, 2012

છાગલાદ્ય ઘૃત : ક્ષયરોગ તથા તેનાથી થયેલ ધાતુક્ષીણતા તેમજ ખાંસીમાં વપરાતું આયુર્વેદીય ઔષધ. તેમાં અરણી, અરલુ, પાટલા છાલ, શાલિપર્ણી, પૃષ્નીપર્ણી, ભોંયરીંગણી, ગોખરુ, શીવણમૂળ, બીલીમૂળ, અશ્વગંધા, શતાવરી, બલા, બકરાનું માંસ, જેઠીમધ, દ્રાક્ષ, અષ્ટવર્ગ, નીલોફર, નાગરમોથ, ચંદન, રાસ્ના, જીરું, સારિવા, વાવડિંગ, ચમેલી, ધાણા, હરડે, બહેડાં, મજીઠ, દાડમની છાલ, દેવદાર, કઠ, પ્રિયંગુ, કચૂરો, તગર, તાલીસપત્ર, એલચી અને નાગકેસરનો કલ્ક કરી કલ્કથી ચારગણું ગાયનું ઘી તથા ઘીથી ચારગણું ગાયનું દૂધ મેળવી અગ્નિ પર પાક કરવામાં આવે છે. દૂધનો ભાગ બળી જાય અને માત્ર ઘી જ બાકી રહે ત્યારે ઉતારી ગાળીને બાટલીમાં ભરી લેવામાં આવે છે. આ ઘી 1થી 2 ચમચીની માત્રામાં દૂધ સાથે સવારસાંજ બે વાર સેવન કરવાથી ક્ષયરોગ અને તેનાથી આવેલ નબળાઈમાં લાભ થાય છે.

 મધુકાન્ત ભગવાનજી પંડ્યા