ગ્રેનેડા 2  (Granada 2) : નિકોરાગુઆ દેશનું ઐતિહાસિક દૃષ્ટિએ સૌથી મહત્ત્વનું શહેર.

ભૌગોલિક સ્થાન : તે 11 56´ ઉ. અ. અને 85 57´ પ. રે. પર સ્થિત છે. તેમજ સમુદ્રસપાટીથી આશરે 62 મીટર ઊંચાઈએ આવેલું છે. આ શહેરની ઉત્તરે બોઆકો (Boaco) અને માનાગુઆ ડિપાર્ટમેન્ટ (જિલ્લો) પૂર્વે માસાયા ડિપાર્ટમેન્ટ દક્ષિણે રિવાસ શહેર આવેલ છે. આ શહેરની પૂર્વે નિકારાઆગુઆ સરોવર આવેલું છે જે ગ્રેનેડા સાથે સીમા રચે છે. ઉત્તરે ટીપીટાપા (Tipitapa) નદી જે માનાગુઆ અને નિકારાગુઆ સરોવરોને સાંકળે છે. આ શહેર પાસે ત્રણ જ્વાળામુખીય લગૂન (સરોવરો) માનારેસ, જેનીરઝરો (Genirzaro) અને ખૂબ જાણીતું અપોયો (Apoyo) આવેલા છે. માસાયા ડિપાર્ટમેન્ટમાં આવેલ અપોયો સરોવર જે નિકારાગુઆનું સૌથી મોટું જ્વાળામુખીય લગૂન (સરોવર) ગણાય છે. મોમ્બાચો જ્વાળામુખીની ઊંચાઈ 1,345 મીટર છે. ગ્રેનેડામાં સૌથી ઊંચું આ શિખર ગણાય છે.

આ શહેરને ચોતરફ ઊંચી ટેકરીઓ અને સરોવર કિનારે આવેલું હોવાથી સમગ્ર વર્ષ દરમિયાન વાતાવરણ હૂંફાળું રહે છે. સરેરાશ તાપમાન 25.7 સે. રહે છે. જ્યારે વર્ષભર વરસાદ આશરે 1,100થી 1,200 મિમી. પડે છે. આબોહવાને અનુરૂપ વનસ્પતિ જોવા મળે છે. સૂકી અને ભેજવાળી વનસ્પતિ મોમ્બાચો (Mombacho) જ્વાળામુખીને ફરતે જોવા  મળે છે. સરોવરને ફરતે વિવિધ પશુ, પક્ષી અને પ્રાણીઓ તેમજ ખારાપાણીની સામુદ્રિક જીવસૃષ્ટિ જોવા મળે છે. વિશ્વમાં મીઠા પાણીમાં વસવાટ કરતી શાર્ક અહીં જ જોવા મળે છે. જે નિકારાગુઆ શાર્ક તરીકે ઓળખાય છે. અહીંના માછીમારો વ્યાપારિક ધોરણે મચ્છીમારી કરે છે. આ સરોવરમાં ગુઆપોટે (Guapote), મોજારાસ (Mojarras) તેમજ સાર્ડિંગ વગેરે મત્સ્ય અધિક છે. શાર્કનું પ્રમાણ ઘટી જતા અહીંની સરકારે નિકારાગુઆ શાર્ક અને સાવફીશ (Sawfish) ના શિકાર પર પ્રતિબંધ મુક્યો છે.

નિકારાગુઆનું મહત્ત્વનું વેપાર વાણિજ્યનું મથક ગણાય છે. મોટે ભાગે અહીં ઇમારતી લાકડું, સોનું, ચાંદી અને અન્ય ખનિજપેદાશોનો મહત્ત્મ વેપાર થાય છે. ગ્રેનેડાના અર્થતંત્રમાં પ્રવાસન ઉદ્યોગોનો ફાળો ક્રમશઃ વધતો જાય છે. આથી અહીં અદ્યતન સુવિધાવાળી વિવિધ તારકવાળી હોટેલોનું નિર્માણ થતું રહે છે. વિદેશી વસાહતીઓએ અહીં ખેતીનો મહત્તમ વિકાસ કર્યો હોવાથી કૉફી, કોકોનું   ઉત્પાદન અધિક મેળવાય છે. બાગાયતી ખેતીમાં કેળાની ખેતીને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

અહીં પરિવહન માટેની સુવિધા ઉત્તમ છે. ટૅક્સી, બસ, ઘોડાગાડી જેવા સાધનો ઉપલબ્ધ છે. નિકારાગુઆ સરોવરમાં આવેલા મોમેટેપે ટાપુ પર જવા માટે ફેરી સર્વિસ પણ છે. અરમાડિલો (Armadillo) હવાઈ મથક પણ આવેલું છે.

આ શહેરનો વિસ્તાર આશરે 592 ચો.કિમી. છે. જ્યારે (2025 મુજબ) શહેરની  વસ્તી 89,409 જ્યારે મેટ્રો શહેરની વસ્તી 1,17,303 છે. વસ્તી ગીચતા 230 ચો.કિમી. છે. મોટે ભાગે અહીં સ્પેનિશ ભાષા વધુ બોલાય છે. આ શહેરમાં અમેરિકન, કૅનેડિયન, સ્પેનિશ, જર્મની, ઇટાલી, આયર્લૅન્ડ, ઑસ્ટ્રિયા, નેધરલૅન્ડ અને ફ્રાંસ દેશના નાગરિકો વસે છે. એકવીસમી સદીના પ્રારંભથી આ દેશમાં વિદેશી પ્રવાસીઓ વધુ મુલાકાત લેતા થયા છે. પરિણામે અમેરિકન અને યુરોપીયન પ્રજાએ આ વિસ્તારમાં સ્પેનિશ પ્રજાએ નિર્માણ કરેલી સ્થાપત્યકલાની દૃષ્ટિએ ઉત્તમ ‘Heritage’ ઇમારતો ખરીદવામાં વધુ રસ દાખવતા થયા છે. તેઓ આ ઇમારતોમાં હોટેલ, હોલીડે હોમ, વૉટરપાર્ક, મૉલ વગેરે પ્રારંભ કર્યા છે, પરંતુ આંતરવિગ્રહને કારણે પ્રવાસન ઉદ્યોગને નુકસાન પહોંચ્યું છે.

નિકારાગુઆના લા મર્સ્ડ ચર્ચ નજીકથી દેખાતું ગ્રેનેડાનું કેથીડ્રલ

ગ્રેનેડાની સ્થાપના 14મી સદીમાં સ્પેનિશ અને પેરુ વચ્ચેના યુદ્ધના વિજેતા ”Hemandez de C’orsoba” એ કરી હતી. 1850માં આ શહેરની વસ્તી આશરે 10,000 હતી.

નીતિન કોઠારી