ગૌણ ખડક-ખનીજો : અગ્નિકૃત ખડકોના બંધારણમાં અલ્પ પ્રમાણમાં રહેલાં ખનીજો. આવાં ખનીજોને આવશ્યક ખનીજો, ગૌણ ખનીજો અને પરિણામી ખનીજો એ પ્રમાણેના ત્રણ વર્ગોમાં વર્ગીકૃત કરેલાં છે. આ પૈકી જે ખનીજો અગ્નિકૃત ખડકોના બંધારણમાં અલ્પ પ્રમાણમાં રહેલાં હોય અને જેમનું અસ્તિત્વ કે અભાવ ખડકોના પ્રકાર પર અસર કરતાં નથી તે ખનીજો ગૌણ ખનીજો તરીકે ઓળખાય છે. વધુમાં, આ ખનીજો મૅગ્માજન્ય ઉત્પત્તિવાળાં હોય છે. ઍપેટાઇટ, સ્ફિન, મૅગ્નેટાઇટ, રૂટાઇલ વગેરે તેનાં ઉદાહરણ છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે