કોયાજી, જહાંગીર કુંવરજી (જ. 1875; અ. 1937) : ભારતના અર્થશાસ્ત્રી અને ભારતીય અર્થશાસ્ત્રના નિષ્ણાત. શિક્ષણ મુંબઈ તથા કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં. 1910થી 1930 દરમિયાન કોલકાતાની પ્રેસિડેન્સી કૉલેજમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક, 1930થી 1931 દરમિયાન તે જ કૉલેજમાં આચાર્ય અને 1932થી 1935 દરમિયાન આંધ્ર વિશ્વવિદ્યાલયની વિનયન કૉલેજના આચાર્યપદે કાર્ય કર્યું. 1930થી 1932 દરમિયાન લીગ ઑવ્ નૅશન્સમાં ભારતીય પ્રતિનિધિ તરીકે તેમની નિમણૂક થઈ હતી. આ સંસ્થાની સામાન્ય સભામાં વિશ્વમહામંદી(1929)નાં કારણોની તપાસ અને વિશ્લેષણની જરૂરિયાત પર ભાર મૂકતો ઠરાવ તેમણે રજૂ કર્યો હતો, જેને આધારે વિખ્યાત અર્થશાસ્ત્રી બર્ટિલ ઓહલીને ‘ધ કોર્સ ઍન્ડ કૉઝીઝ ઑવ્ ધ વર્લ્ડ ઇકૉનૉમિક ડિપ્રેશન’ નામથી જાણીતો થયેલો અહેવાલ તૈયાર કર્યો હતો. ‘રૉયલ કમિશન ઑન ઇન્ડિયન કરન્સી ઍન્ડ એક્સ્ચેન્જ’ તથા ‘ઇન્ડિયન ફિસ્કલ કમિશન’ આ બંનેના તે સભ્ય હતા.

તેમણે લખેલા ગ્રંથોમાં ‘ધી ઇન્ડિયન ફિસ્કલ પ્રૉબ્લેમ’, ‘ઇન્ડિયન કરન્સી ઍન્ડ ઍક્સ્ચેન્જ’, ‘ઇન્ડિયન કરન્સી સિસ્ટમ’, ‘ઇન્ડિયા ઍન્ડ ધ લીગ ઑવ્ નેશન્સ’ વિશેષ નોંધપાત્ર છે. તેમનો ‘કલ્ટ્સ ઍન્ડ લિજન્ડ્ઝ ઑવ્ એન્શન્ટ ઈરાન ઍન્ડ ચાયના’ ગ્રંથ પણ જાણીતો છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે