કુંદુર્તી ક્રુતુલુ (1975) : તેલુગુ કાવ્યસંગ્રહ. ‘વાચનકવિતા’ તરીકે ઓળખાતી કુંદુર્તી આંજનેયુલુએ રચેલી અત્યાધુનિક કવિતાનો આ છઠ્ઠો સંગ્રહ છે. તેને માટે એમને 1977નો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. વાચનકવિતાનું આંદોલન એમણે જ શરૂ કરેલું. એ આંદોલનનો ઉદ્દેશ પ્રણાલિકાભંગ હતો. આ કાવ્યસંગ્રહનું નામકરણ એમના ગામના નામ પરથી થયેલું છે. એમાંનાં કાવ્યોના વિષયો પણ નવી કવિતાની વિભાવનાનું સૂચન કરે છે, જેમ કે ‘ભાંગેલું વાસણ’, ‘વેશ્યાવંદન’, ‘જે ગીત ગવાયું નહિ’, ‘ભાષા વિનાની કવિતા’ ઇત્યાદિ. બધાં કાવ્યો મુક્ત છંદમાં છે અને બધાંમાં જ અપરિચિત પ્રતીકો છે. એમનાં કાવ્યો પર અસ્તિત્વવાદ, ટી. એસ. એલિયટ અને અન્ય યુરોપીય કાવ્યચિંતકોનો પ્રભાવ સ્પષ્ટ દેખાય છે.

પાંડુરંગ રાવ