કીર્તિરાજ (અગિયારમી સદી) : લાટપ્રદેશના ગોગ્ગિરાજનો પુત્ર. લાટપ્રદેશ પર ગુજરાતના સોલંકી રાજાઓનું વર્ચસ્ હતું. આ પ્રદેશ ઉપર બારપ્પના પુત્ર ગોગ્ગિરાજે પોતાની સત્તા પાછી મેળવી હતી. પરંતુ સોલંકી રાજા દુર્લભરાજે લાટના રાજાને હરાવ્યો હતો એવું માનવામાં આવે છે. કીર્તિરાજની કીર્તિ શત્રુઓના હાથમાં ચાલી ગઈ હોવાનું નિરૂપાયું છે.

કીર્તિરાજે 1018માં તાપી નદીને કિનારે ભૂમિદાન કર્યું હોવાનું દાનશાસન મળ્યું છે. કીર્તિરાજ ભોજનો લાટ પ્રદેશનો શક્તિશાળી સામંત હતો. લાટપ્રદેશ પર ભોજની સત્તા પ્રવર્તતી હતી. કીર્તિરાજની જેમ એનો પુત્ર વત્સરાજ પણ ભોજનો સામંત થયો. મોહડવાસક (મોડાસા) મંડલ પણ એની સત્તા નીચે હતું.

જ. મ. શાહ