કાન્સોદરિયા, રતિલાલ (જ. 15 ઑક્ટોબર 1961, પ્રેમગઢ, જિલ્લો રાજકોટ, ગુજરાત; અ. 16 જૂન 2026) : ગુજરાતના શિલ્પી. માતાનું નામ દિવાળીબા અને પિતાનું નામ મનજીભાઈ. બાળપણથી જ લાકડું અને પથ્થરમાં આકૃતિઓ બનાવવાનો તેમને શોખ હતો. તેમના પરિવાર અને ગામના વાતાવરણથી તેમને સર્જનાત્મક પ્રેરણા મળી હતી.

1984માં વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાં શિલ્પના અભ્યાસ માટે વિદ્યાર્થી તરીકે દાખલ થયા. 1989માં શિલ્પનો ડિપ્લોમા તથા 1990માં તેનો પોસ્ટ ડિપ્લોમા મેળવ્યો. અહીં છાત્પર, રજનીકાન્ત પંચાલ તથા રાઘવ કનેરિયા જેવા પીઢ શિલ્પીઓએ શિક્ષકો તરીકે કાન્સોદરિયાનું ઘડતર કર્યું. 1991થી 1993 સુધી બે વરસ કાન્સોદરિયાએ આ જ માતૃસંસ્થામાં વ્યાખ્યાતા તરીકે શિલ્પનું શિક્ષણ આપ્યું. 1993થી તેઓ અમદાવાદ ખાતેની શેઠ સી. એન. કલા મહાવિદ્યાલયમાં શિલ્પવિભાગમાં વ્યાખ્યાતા હતા.

અગ્રણી શિલ્પકાર રતિલાલ કાન્સોદરિયા સમકાલીન ભારતીય શિલ્પકલાનું એક મહત્ત્વપૂર્ણ નામ. ખાસ કરીને કાંસ્ય (Bronze) શિલ્પ અને ‘લોસ્ટ-વેક્સ કાસ્ટિંગ’ (Lost-Wax Casting) પદ્ધતિ માટે તેઓ જાણીતા હતા. સૌરાષ્ટ્રના સાવ નાનકડા ગામમાં વિતાવેલ બાળપણની સ્મૃતિઓમાંથી કાન્સોદરિયા શિલ્પસર્જનની પ્રેરણા મેળવે છે. ખાટલો ઢાળીને સૂતેલાં વૃદ્ધો, ઊંઘણશી કૂતરાં, રમતિયાળ ગલૂડિયાં, ચણ ચણતાં પંખીઓ, તેમનો શિકાર કરવાની તાકમાં ફરતી ચતુર બિલાડીઓ, ઢાળી રાખેલાં સૂપડાં, નિસરણીઓ, ખાબોચિયાં, તેમાં છબછબ કરતાં બાળકો આદિ જીવંત આલેખનો કાન્સોદરિયાનાં શિલ્પોમાં જોવા મળે છે. તેમનાં શિલ્પોમાં સૌરાષ્ટ્રના ગ્રામજીવન, બાળકોની રમતો, પક્ષીઓ, પ્રાણીઓ અને પ્રકૃતિ સાથેના માનવ સંબંધનું જીવંત ચિત્રણ જોવા મળતું. તેઓ એવા શિલ્પકાર હતા જેમણે સૌરાષ્ટ્રના ગ્રામજીવનની સ્મૃતિઓને વૈશ્વિક કલા-ભાષામાં રૂપાંતરિત કરી હતી. તેમની કૃતિઓ માત્ર શિલ્પ નથી, પરંતુ બાળપણ, પ્રકૃતિ અને માનવીય સંવેદનાઓની જીવંત વાર્તાઓ છે. તેમણે અમદાવાદના વારસા સાથે જોડાયેલા અખા ભગત અને દલપતરામનાં શિલ્પો બનાવ્યાં હતાં. અન્ય શહેરોમાં પણ તેમનાં શિલ્પો વિશાળ જાહેર સ્મારકો તરીકે સ્થાપિત થયેલાં છે.

શિલ્પની સપાટીઓ ઉપર અલગ અલગ રંગના ઢોળ (PATINA) ચઢાવી પડછાયાને વધુ ઘેરા કરી નાટ્યાત્મકતા વધારીને ચોટ ઊભી કરે છે. તેમનાં શિલ્પોમાં માનવીઓ તેમજ પશુઓ બહુધા અત્યંત કૃશકાય અને લંબાવેલાં(elongated) જોવા મળે છે. કાન્સોદરિયા ખુદ આ માટે પ્રસિદ્ધ આધુનિક યુરોપિયન શિલ્પી જ્યોકોમેતી(Giacometti)નો પ્રભાવ સ્વીકારે છે.

રતિલાલભાઈની કૃતિઓમાં ગ્રામ્ય જીવનની નિર્દોષતા, બાળસહજ આનંદ અને પર્યાવરણ પ્રત્યેની સંવેદના મુખ્ય વિષય છે. તેમના શિલ્પોમાં બાળકો અને પ્રાણીઓ એકસાથે રમતા, ઉડતા પક્ષીઓ, વૃક્ષો અને પ્રકૃતિનું કલ્પનાશીલ સંયોજન જોવા મળે છે. તેમની રચનાઓમાં વાર્તા, કલ્પના અને ફિલસૂફીનો સુંદર સમન્વય જોવા મળે છે.

તેમને રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક સન્માન મળ્યાં હતાં. તેમની કૃતિઓ જાપાન, જર્મની, ચીન, આફ્રિકા અને અમેરિકા સહિત અનેક દેશોમાં પ્રદર્શિત થઈ છે.

અમિતાભ મડિયા