કંપની ચિત્રકલા : બ્રિટિશ શાસન દરમિયાન સર્જાયેલી ભારતીય ચિત્રકળા. આશરે 1700થી 1920 સુધી ભારતમાં યુરોપિયનોના આગમન પછી ભારતીય અને બ્રિટિશ યુરોપિયન સંસ્કૃતિના સંગમથી જન્મેલી વિશિષ્ટ ચિત્રકળા તે કંપની ચિત્રકળા.

તેમાં યુરોપિયન અને ભારતીય બંને ચિત્રકારોનું યોગદાન રહ્યું છે. અકબરના સમયમાં સોળમી સદીમાં યુરોપના એલચીઓ, વેપારીઓ અને ખ્રિસ્તી ધર્મ પ્રચારકોએ યુરોપિયન મુદ્રણકળા – છાપચિત્રો અને હૂબહૂ આલેખન ધરાવતાં તૈલચિત્રો ભારતમાં બાદશાહો, સુલતાનો અને વેપારીઓને ભેટ આપ્યાં.

એ ગાળે અને પછીના ગાળે ભારતમાં તૈલરંગોમાં ચિત્રકામ થયું હોવાના સંકેતો મળે છે, પણ નમૂનાઓ પ્રાપ્ત થયા નથી. સત્તરમી સદીમાં યુરોપિયન છાપચિત્રોની ભારતમાં આયાત વધી ગઈ. અઢારમી સદીથી યુરોપિયન ચિત્રકારો ભારત આવતા થયા.

ટીલી કેટલ, થિયોડોર જ્હોન્સન, યોહાન જોફ્ફાની, કાકાભત્રીજા થોમસ ડેનિયલ અને વિલિયમ ડેનિયલ વગેરે યુરોપિયન ચિત્રકારોએ ભારતનિવાસી અંગ્રેજો તથા ભારતીય રાજપરિવારનાં વ્યક્તિચિત્રો અને યુરોપિયન આંખને અજાયબ લાગે તેવાં આકર્ષક નિસર્ગચિત્રો, ઐતિહાસિક ચિત્રો તથા ભારતીય સ્થાપત્યને આલેખતાં ચિત્રો હૂબહૂ શૈલીમાં વિશાળ કદના કૅન્વાસ ઉપર તૈલરંગોમાં ચીતર્યાં. આમાંથી લોકપ્રિય થાય એવાં ચિત્રોની હસ્તમુદ્રિત છાપોની આવૃત્તિઓ પણ થઈ. આમાંની ઘણી રચનાઓ યુરોપિયન માનસની ભારત અંગેની ઉત્સુકતા અને ઉત્કંઠા સંતોષવામાં સફળ નીવડી. આ ચિત્રોએ યુરોપમાં ભારતની ‘છબી’ રચી. અંગ્રેજ શાસકોએ પોતાની સર્વોપરીતા બતાવવા માટે ખાસ ચિત્રો ચિતરાવ્યાં, જેમાં ટીપુ સુલતાન અને છેલ્લા મોગલ બાદશાહ બહાદુરશાહ ઝફરની હાર અને કેદનાં ચિત્રો બ્રિટનમાં લોકપ્રિય થયેલાં.

અઢારમી સદીના અંતકાળે અને ત્યાર પછી તૈલરંગોની પ્રભાવક હૂબહૂ ચિત્રણા અને  હસ્તમુદ્રિત છાપચિત્રોનું પ્રચલન એટલું વધ્યું કે ભારતીય લઘુચિત્રોની પરંપરા લુપ્ત થવા માંડી. ઘણા કિસ્સામાં મોગલ, નવાબી સલ્તનતો અને હિન્દુ રજવાડાં પણ કળાને આશ્રય આપે એવાં સધ્ધર રહ્યાં નહિ.

ગોરા માલિકોના પ્રભાવે ભારતીય લોકોને તૈલચિત્રણા તેમ જ આબેહૂબ નિરૂપણ તરફ આકર્ષણ વધ્યું. લઘુચિત્રોની પરંપરા એકાદ સદી સુધી જીવંત રહી, પણ પછી તો એ પણ વિલીન થઈ. કાળના મુખમાં લુપ્ત થવામાંથી માત્ર રાજસ્થાનની એકમાત્ર શેખાવટી પરંપરા બચી શકી. લઘુચિત્ર પરંપરાનાં ચિત્રકારો જે વિષયોને અને જે શૈલીએ ચીતરતા હતા એની માગ હવે રહી નહિ. તેમાંથી મોટા ભાગના ચિત્રકારો બીજા કામધંધે લાગી ગયા. ગોરા માલિકોને ભારતીય પરંપરાનું ચિત્રોમાં રસ નહિ હોવાથી જે ચિત્રકારોએ ચીતરવાનું ચાલુ રાખ્યું તેમણે ગોરા માલિકની રુચિને ધ્યાનમાં લેવી પડી. તેથી તેમણે ભારતીય ‘વિચિત્રતા’ઓ ચીતરવી શરૂ કરી. તેમાં ‘સતીપ્રથા’, જીભમાં ધાતુનો સળિયો ઘોંચીને આરપાર કાઢે તેવા હઠયોગીઓ, તાંત્રિકો, સાધુઓ, ખીલા-ખીલી પર સૂતેલા નાગા સાધુઓ, મદારીના ખેલ, વાઘ, હાથીઓ, જુદી જુદી ભારતીય જ્ઞાતિઓનાં વિશિષ્ટ લક્ષણો અને જુદા જુદા આદિવાસીઓનાં નિરૂપણોએ યુરોપિયનોમાં ખૂબ આકર્ષણ જન્માવ્યું. આવાં સ્મૃતિચિત્રો બ્રિટનમાં ઘેર લઈ જઈ એક્ઝોટિક એટલે કે અચંબાભર્યા ભારતનો પરિચય આપવામાં તેમને મદદરૂપ થઈ પડ્યાં. આ બધાં ચિત્રો (ભારતમાં આવી યુરોપિયન ચિત્રકારોએ ચીતરેલાં ચિત્રોની સાથે) બ્રિટનની ‘ઈસ્ટ ઇન્ડિયા કંપની’ના શાસનકાળમાં ચિતરાયાં હોવાથી ‘કંપની ચિત્રકળા’ એવું નામ પામ્યાં. ગોરા માલિકોના પગલે પગલે ભારતીય ભદ્ર વર્ગે પણ રુચિનું અનુકરણ કર્યું. પૈસેટકે સધ્ધર ભારતીયો પણ આ કળાને ઉત્તેજન  આપવા માંડ્યા.

ઓગણીસમી સદીના અંતમાં ફોટોગ્રાફીનું ભારતમાં આગમન થતાં ચિત્રોમાં પ્રકાશ છાયાની પદ્ધતિએ આલેખન કરવાના ઝોકને નવું ઉત્તેજન મળ્યું. મુંબઈ, ચેન્નાઈ, કૉલકાતા અને લાહોરમાં બ્રિટિશ સરકારે યુરોપિયન પદ્ધતિએ કળાસર્જનની તાલીમ આપતી કૉલેજો ખોલતાં કંપની ચિત્રકળાને ઓર વેગ મળ્યો.

બ્રિટિશ ચિત્રકાર થિયોડોર જ્હોન્સનનું માર્ગદર્શન મેળવીને ભારતીય ચિત્રકારો બામાપદ બંદોપાધ્યાય, શશીકુમાર હેશ અને રાજા રવિવર્માએ પશ્ચિમ યુરોપની હૂબહૂ આલેખનની પદ્ધતિએ કૅન્વાસ પર મોટા કદનાં ભારતીય વિષયોનાં તૈલીચિત્રો ચીતરવાં શરૂ કર્યાં. આ માટે તેમને પ્રેરણા ગ્રેકોરોમન પુરાકથાઓ અને બાઇબલના ખ્રિસ્તી ધર્મપ્રસંગોને હૂબહૂ પદ્ધતિમાં આલેખતા યુરોપિયન ચિત્રકારોમાંથી મળેલી.

ભારતીય અસ્મિતાની જાગૃતિ થયા બાદ ભારતીય કળાકારોએ ધીમે ધીમે ભારતીય પરંપરાની ખોજ કરવી શરૂ કરી. યુરોપના બૌદ્ધિકોમાં પણ ભારતની પ્રાચીન અને મધ્યકાલીન પરંપરાની સમજ ફેલાવી શરૂ થઈ.

કંપની શૈલી મારફત ભારતીય ચિત્રકળામાં એક નવું વસ્તુલક્ષી-ઑબ્જેક્ટિવ વલણ પ્રગટ્યું. ભારતીય ચિત્રકારો ધર્મ કે મહાકાવ્યોના માધ્યમના બદલે રુક્ષ વાસ્તવિકતાના શુષ્ક માધ્યમ વડે પોતાના દેશના પર્યાવરણ તેમ જ દેશબાંધવોને જોતા અને આલેખતા થયા હતા. ચમાર, કોળી, માછીમાર, સુથાર, લુહાર, આદિવાસીઓ આદિ સમાજના છેવાડાના અને ઉપેક્ષિત નાગરિકો ચિત્રોનો વિષય બની શક્યા. જે દેખાય તેનાથી ન કશું ઓછું કે ન તો કશું વધુ આલેખવાનું ચુસ્ત હૂબહૂ દર્શન ધ્યેય તરીકે સ્વીકારીને કંપની શૈલીના ચિત્રકારોએ દેખાતા અને દેખીતા જગત પ્રત્યે અનન્ય વફાદારી કેળવી. ફોટોગ્રાફી વ્યાપક બની તે અગાઉ ભારત બહાર ભારતની ‘ઇમેજ’ ઊભી કરવામાં આ ચિત્રોએ ઘણો ભાગ ભજવેલો.

‘સુવેનિયર’ તરીકે ભારતનાં આ ‘કંપની’ ચિત્રો પરદેશીઓને ભેટમાં મોકલાતાં હતાં. ભારતીય કળામાં આધુનિકતાનો આ પ્રથમ તબક્કો છે, જ્યાં ભારતીય કળામાં પશ્ચિમી જગતમાંથી પ્રેરણા લઈ ભારતીય જીવનનું ચિત્રણ કરવાથી તેમનાં દર્શન થાય છે.

અમિતાભ મડિયા