કંદનો કોહવારો : કંદ ઉપર ફૂગ, જીવાણુઓ વગેરે દ્વારા થતા આક્રમણને કારણે કંદની પેશીઓને થતું નુકસાન. વનસ્પતિ સુષુપ્ત અવસ્થા બાદ જીવનચક્ર ચાલુ રાખવા મૂળ કે થડમાં ખોરાકનો સંગ્રહ કરે છે તે કંદ તરીકે ઓળખાય છે.

સૂક્ષ્મ પરોપજીવી જેવાં કે ફૂગ, જીવાણુઓ વગેરે કંદ ઉપર આક્રમણ કરી જરૂરી ખોરાક મેળવે છે, જેથી તેના કોષની દેહધાર્મિક ક્રિયામાં અડચણ પેદા થાય છે, તેની પેશીની રચનાને નુકસાન થાય છે અને કંદ કોહવાઈ જાય છે. નીચેના રોગો અગત્યના ગણાય છે : (1) આદુનો પોચો સડો (pythium sp અને fusarium solani), (2) સૂરણનો સડો (pythium sp), (3) હળદરનો સડો (pythium sp).

હિમંતસિંહ લાલસિંહ ચૌહાણ