ઔફ સદીદુદ્દીન : પયગમ્બર સાહેબના સાથી અબદુ રહેમાન બિન ઔફના વંશજ અને સાતમી સદીની શરૂઆતમાં થઈ ગયેલા મશહૂર વિદ્વાન. તેમનો જન્મ અને અભ્યાસ બુખારામાં થયો હતો. જ્ઞાન-સંપાદનાર્થે તેમણે સમગ્ર ઈરાનની સફર ખેડી. ત્યાંના વિદ્વાનો, કવિઓ અને સંતોનો સત્સંગ કર્યો.

1206માં નિશાપુરમાં મજદુદ્દીન શરફ બગદાદીનાં ધાર્મિક પ્રવચનોનો લાભ લીધો. પછી ગઝની થઈને લાહોર આવ્યા. અહીં શાહ નિસિરૂદ્દીન કુબાચાના દરબારમાં 1220માં પોતાની ખ્યાતનામ ફારસી તઝકશ (કવિઓનાં સંક્ષિપ્ત જીવનવૃત્તાંત) ‘લુઆબુ-લ-અલબાબ’ રચી અને કુબાચાના વઝીર ઐન-ઉલ-મુલ્ક અશઅરીને અર્પણ કરી.

કુબાચાએ ખંભાતમાં ઔફીની કાઝીના હોદ્દા પર નિમણૂક કરી. ખંભાતમાં કાઝી મોહસિન તનુખીના અરબી પુસ્તક ‘અલફર્જ બખ્દુશ શિદ્દા’નો ફારસીમાં તરજૂમો કર્યો. 1221માં મુઘલ હુમલા વખતે ઔફી ગુજરાતમાં હતા અને કુબાચાના સૈન્ય સાથે 1224 સુધી કેદમાં રહ્યા. 1224 પછી એ કુબાચા પાસે પાછા ગયા અને 1228 એપ્રિલમાં અલ્તમશે ભક્કરનો કિલ્લો જીતી લીધો અને કુબાચાએ આપઘાત કર્યો. ઔફી અને ઇતિહાસકાર મિન્હાજ સિરાજ બંને અલ્તમશના દરબારમાં જોડાયા.

અહીં રહીને ‘જ્વામેઉલ હિકાયાત-વ-લવામે-ઉર-રિવાયાત’ પુસ્તક રચ્યું અને અલ્તમશના વઝીર મિઝામુલ-મુલ્ક જુનૈદીને અર્પણ કર્યું. આ પરિભ્રમણ દરમિયાન ઘણાં શહેરોમાં જઈને વિદ્વાનોનો સત્સંગ કર્યો. રઝિયા સુલ્તાનાના સમયમાં 1230માં ઔફી દિલ્હીમાં હાજર હતા. એ પછી એમના વિશે કોઈ માહિતી મળતી નથી.

શમશાદ મુસ્તફાહુસેન ઉરૈઝી