ઍનેલાઇઝર : ધ્રુવીભૂત પ્રકાશની મદદથી ખડક/ખનિજના છેદ(section)નું નિરીક્ષણ કરવામાં વપરાતા બે નિકોલ પ્રિઝમમાંનો એક. બીજો નિકોલ પોલરાઇઝર તરીકે ઓળખાય છે.

ખડકો/ખનિજોના છેદનો ધ્રુવીભૂત પ્રકાશ વડે અભ્યાસ કરવા માટે વપરાતા સૂક્ષ્મદર્શકમાં બે નિકોલ પ્રિઝમ વપરાય છે. એક સૂક્ષ્મદર્શકના સ્ટેજની નીચે ગોઠવેલો હોય છે અને તે પોલરાઇઝર અથવા નિમ્ન નિકોલ તરીકે ઓળખાય છે. અરીસા મારફત પ્રકાશ પોલરાઇઝરમાંથી પસાર કરતાં ધ્રુવીભૂત પ્રકાશ મળે છે. બીજો નિકોલ સૂક્ષ્મદર્શકની નળીનાં ઑબ્જેક્ટિવ લેન્સ અને આઇપીસ લેન્સની વચ્ચે મૂકવામાં આવે છે. આ નિકોલ ઊર્ધ્વ નિકોલ કે ઍનેલાઇઝર તરીકે ઓળખાય છે. આ નિકોલને જરૂરિયાત મુજબ નળીમાં દાખલ કરી શકાય છે તેમજ બહાર કાઢી શકાય છે. પોલરાઇઝર અને ઍનેલાઇઝરની સ્પંદન-દિશાઓ (vibration directions) એકબીજીને કાટખૂણે હોય છે. તેથી સૂક્ષ્મદર્શકના સ્ટેજ પર છેદ મૂકવામાં આવ્યો ન હોય અને ઍનેલાઇઝર દાખલ કરવામાં આવ્યો હોય તો ર્દશ્ય ભાગ કાળો દેખાય છે. કાળાશ સંપૂર્ણ ન હોય તો પોલરાઇઝર અને ઍનેલાઇઝરને ફેરવીને યોગ્ય સ્થિતિમાં લાવવાનું જરૂરી બને છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે