ઊરુવેલા : ગયા અને બુધગયાની વચ્ચે નેરંજરા (ફલ્ગુ) નદીનો વાલુકામય વિસ્તાર. પાલિ સાહિત્ય અનુસાર ગૌતમ બુદ્ધે બુદ્ધત્વ પ્રાપ્ત કરતાં પૂર્વે લાંબા સમય સુધી આ સ્થળે રહીને કઠિન તપશ્ચર્યા કરી હતી. ઊરુવેલા પાસેના સેનાની કસબાની રહીશ કન્યા સુજાતાએ બોધિસત્વને ખીર ખવડાવી હતી. કપિલવસ્તુથી રાજગૃહ જતાં બુદ્ધે ઊરુવેલામાં નિવાસ કરતા જટાધારી સેંકડો સાધુઓને યોગબળથી પરાજિત કર્યા હતા અને પોતાના ધર્મની દીક્ષા આપી હતી.

રસેશ જમીનદાર