ઉધાસ, પંકજ કેશુભાઈ (જ. 17 મે 1951, જેતપુર, સૌરાષ્ટ્ર; અ. 26 ફેબ્રુઆરી 2024, મુંબઈ) : સુગમસંગીત અને ગઝલગાયકીનો ગરવો સ્વર ધરાવનાર કલાકાર.

‘આંખ તણાં મોતી સિતારા બની જાય….’

‘એક અનેરી પ્રેમ વાતલડી’ અને ‘તમે યાદ આવ્યાં….’ જેવાં ગીત-ગઝલોને અમરત્વ બક્ષનાર પંકજ ઉધાસની લયબદ્ધ-સુરીલી ગાયકી પણ અમર.

તળ ગુજરાતમાં સૌરાષ્ટ્રના જેતપુરના નવાગઢ નામના ગામડામાં ચારણ ગઢવી પરિવારમાં જન્મેલા પંકજ ઉધાસના પિતાજી કેશુભાઈ ‘જમીનદાર’ પરિવારના હતા. ખેડુ હતા. પંકજભાઈના દાદાજી તે સમયના પોતાના વર્તુળના પ્રથમ સ્નાતક હતા. તેઓ ભાવનગરના દીવાન બનેલા. પંકજભાઈએ પ્રારંભિક અભ્યાસ ભાવનગર ખાતે કર્યો હતો અને વધુ અભ્યાસ અર્થે મુંબઈ જઈ એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી વિજ્ઞાનપ્રવાહમાં સ્નાતક થયા. પિતાશ્રી કેશુભાઈ વીણાવાદક હતા અને ઉસ્તાદ અબ્દુલ કરીમખાને તેમને તારવાદ્ય દિલરૂબા શીખવ્યું. આમ, બાળપણથી જ પંકજે સંગીતના સંસ્કાર ઝીલ્યા હતા. કેશુભાઈએ પોતાનાં ત્રણેય સંતાનો – નિર્મલ, મનહર અને પંકજને રાજકોટની સંગીત સંસ્થામાં દાખલ કર્યા. પંકજે તો તબલાંની તાલીમ લેવી શરૂ કરી પણ પછી હિંદુસ્તાની શાસ્ત્રીય કંઠ્યસંગીતમાં તેમને રસ પડ્યો. તેઓ ઉસ્તાદ ગુલામ કાદિર ખાનસાહેબ પાસે શીખ્યા. ત્રણે ભાઈઓનો સંગીતપ્રેમ રંગ લાવ્યો. મુંબઈ પહોંચ્યા પછી પંકજે ગુરુ નવરંગ નાગપુરકર પાસેથી સઘન તાલીમ-શિક્ષા-દીક્ષા પ્રાપ્ત કરી અને ગ્વાલિયર ઘરાનાની ગાયકી અપનાવી. સાથે સાથે તેમણે હાર્મોનિયમ, ગિટાર, પિયાનો, વાયોલિન આદિ વાદ્યો ઉપર પણ હાથ અજમાવ્યો અને એમનું જીવન સંગીતમય બની રહ્યું. 1980થી 2024 દરમિયાન પંકજભાઈ સંગીતક્ષેત્રે સતત વ્યસ્ત રહ્યા.

પંકજ કેશુભાઈ ઉધાસ

ગાયન અને વાદનની બારીક નોટ – ઝીણી ઝીણી હરકતોથી પંકજભાઈ અવગત થયા અને મુંબઈમાં તેમની સાંગીતિક કારકિર્દીનો શુભારંભ થયો. ફિલ્મસંગીતક્ષેત્રે તેમણે પ્લેબેક સિંગિંગથી પદાર્પણ કર્યું અને કેટલીક ફિલ્મોમાં તેઓ પડદા પર પણ પ્રસ્તુત થયા. કવિ નક્ષ લાયલપુરિના ગીત અને સંગીતનિયોજક ઉષા ખન્નાના સંગીત સાથે તેમની યાત્રા શરૂ થઈ. ‘ચાંદી જૈસા રંગ હૈ તેરા, સોને જૈસે બાલ’ ગીત વડે તેમના અંગત ‘સંગીતયુગ’નો પ્રારંભ થયો. કવિ પ્રદીપજીના ગીત ‘અય મેરે વતનકે લોગોં’એ પણ એમને યશ અપાવ્યો. કાળક્રમે ઉર્દૂ ગઝલગાયકીમાં રસ પડવાથી પંકજભાઈએ ઉર્દૂ ભાષાનું જ્ઞાન પણ મેળવ્યું. સમય-સંજોગ એમની તરફેણમાં થયા એટલે લગભગ દસ માસ પરદેશમાં રહ્યા અને સખત આત્મવિશ્વાસ સાથે પાછા ફર્યા. એમના જોમ અને ઉત્સાહ બેવડાયા….બસ, પછી તેમણે કદી પાછું વાળીને જોયું નહિ. 1980માં ‘આહટ’ નામનું આલબમ બહાર પડ્યું તે 2011 સુધીમાં તો પચાસ આલબમ બહાર પડ્યાં અને અનેક ગીતસંગ્રહોનાં એમણે સંપાદન પણ કર્યાં. આ મહેનતુ અને હલકભર્યા કંઠના માલિકે સ્વરકિન્નરી લતા મંગેશકર સાથે ‘મહિયા તેરી કસમ’ ગીત પણ ગાયું. તેઓ લોકપ્રિયતાના શિખર પર બિરાજ્યા. સાધના સરગમ જેવા અનેક પ્રસિદ્ધ કલાકારો સાથે પણ એમની સંગીત ‘કચેરી‘ (સભા) થઈ અને રેકૉર્ડ્સ પણ. 1987માં પ્રથમ C. D. (કૉમ્પૅક્ટ ડિસ્ક) બહાર પડી તેનું આલબમ ‘શગુફ્તા’ બહાર પાડી તેમણે ઇતિહાસ રચ્યો. સંગીતની આ વણથંભી વણઝાર પંકજભાઈને લંડનના રૉયલ આલ્બર્ટ હૉલ સુધી લઈ ગઈ. આ સિલસિલો બરકરાર રહ્યો અને તેઓ વૈશ્વિક કલાકાર બની ગયા. અનેક જીવંત સભાઓએ તેમને એક સજ્જ ગાયક બનાવ્યા. તેમના જાણીતા ચુનંદા ગીતસંગ્રહોની રેકૉર્ડ્ઝનાં કેટલાંક ઉદાહરણો…નાયાબ, લિજેન્ડ, ખજાના, રૂબાઈ, ગીતનુમા, ખયાલ, મહેક, લમ્હા, રજૂઆત (ગુજરાતી ગીતો), બૈસાખી (પંજાબી ગીતો), ભાલોબાશા (બંગાળી ગીતો) ઇત્યાદિ નોંધપાત્ર રહ્યા.

ગુજરાતી સુગમસંગીત અન ઉર્દૂ, હિંદી ગીત-ગઝલોમાં અગ્રેસર એવા પંકજ ઉધાસે કેટલાક લોકપ્રિય ટ્રેક્સ પણ બનાવ્યાં. ‘ચિઠ્ઠી આઈ હૈ…’, ‘ન કજરે કી ધાર’, ‘મીઠી મીઠી બાતેં’, ‘ચાંદી જૈસા રંગ…’, ‘ઘૂંઘટ કો મત ખોલ’ વગેરેએ ખાસ્સી ધૂમ મચાવી. ગુજરાતી ગીત-ગઝલમાં ‘બંધ કર નાટક’, ‘હું છબી બની ગયો’, ‘ન તો કંપ છે ધરાને…ન તો હું ડગી ગયો છું’ એ લોકોને ઘેલા કરી દીધેલા.

સંગીતજગતમાં આટલું ખંતીલું પ્રદાન હોય ને તો માન-સન્માન, ઍવૉર્ડ્ઝ સ્વયં એમને શોધે એ ન્યાયે ‘કલાકાર ઍવૉર્ડ’ અને ‘હસરત’ સન્માન ગઝલ આલબમ માટે મળ્યાં. ઇન્ડો-અમેરિકન ચેમ્બર ઑફ કૉમર્સ ઍવૉર્ડ એનાયત કર્યો. મુંબઈના રોટરી ક્લબ અને સહયોગ ફાઉન્ડેશને પણ એમનું ઉચિત સન્માન કર્યું. ભારતીય વિદ્યાભવન-મુંબઈ અને અમેરિકાએ તેમને પોંખ્યા. અમેરિકામાં ઑનરરી સિટીઝનશિપ મળી. આ તો ચરમસીમાએ પહોંચ્યા આપણા માનીતા ગાયક કલાકાર. આ સિવાય તેમને અનેક પારિતોષિકો પ્રાપ્ત થયાં જેની નોંધ વિશ્વ આખાએ લીધી.

ભારત સરકારે પંકજ ઉધાસને 2006માં પદ્મશ્રીનો ઇલકાબ આપી નવાજ્યા. 2025માં ભારત સરકારે તેમને પદ્મભૂષણ (મરણોત્તર)થી નવાજ્યા. એમાં સમગ્ર કલાજગતને સંતોષની લાગણી થઈ. 26 ફેબ્રુઆરી, 2024માં બોતેરમે વર્ષે લાંબી માંદગી બાદ જગતને ‘અલવિદા’ કર્યું તે અરસામાં એમની છેલ્લી ગઝલ ‘બૈઠી હો ક્યું ગુમસુમ’ ગઝલ પ્રગટ થઈ હતી ત્યારે જાણે કે તેઓ આ પંક્તિ વડે પત્ની ફરિદા સાથે સંવાદ સાધતા હોય એવી લાગણી સંગીતપ્રેમીઓને થઈ.

સુધા ભટ્ટ