ઇમાદ ફકીહ (જ. ?, અ. 1371) : ફારસી સૂફી કવિ. આખું નામ ઇમાદુદ્દીન ફકીહ કિરમાની. દૌલતશાહના ‘તઝ્કિરતુ શશોરા’, જામીના ‘બહારિસ્તાન’ તથા અન્ય ફારસી કવિઓના જીવનવૃત્તાંતનાં પુસ્તકોમાં તેનો વિશેષ ઉલ્લેખ થયો છે. ઇમાદ ફકીહ સુલતાન મુહંમદ મુઝફ્ફરશાહ અને તેના વારસોના સમયમાં હયાત હતો. સુલતાન મુહંમદ મુઝફફરનું રાજ્ય ભારત-પાકિસ્તાનની પશ્ચિમે મકરાન સુધી પ્રસરેલું હતું.

ઇમાદ ફકીહે એક ખાનકાહની સ્થાપના કરી હતી. તેમાં જે કોઈ જાય તેને તે પોતાની કવિતા સંભળાવતો. પ્રશંસકો કહેતા કે તેની કવિતા કિરમાનના લોકોની કવિતા છે. તેનો એક કાવ્યસંગ્રહ ‘મહોબત નામએ સાહેબે દીવાન’ 1364માં ઉપલબ્ધ હતો. મહાન ફારસી સૂફી કવિ હાફિઝે ઇમાદ ફકીહની કવિતાની પ્રશંસા કરી છે.

બાવાસાહેબ તિરમિઝી