ઇબ્રાહીમ પૂરેદાઊદ (જ. 1886, રશ્ત; અ. ?, તહેરાન) : ઈરાનના રાષ્ટ્રવાદી કવિ. તેઓ વિવિધ વિદ્યાઓના અભ્યાસી, સંશોધક તેમજ પ્રાચીન ઈરાની સંસ્કૃતિમાં ખૂબ રસ ધરાવતા હોવાથી જરથોસ્તી ધર્મપુસ્તકોની શોધમાં 1926માં મુંબઈ આવેલા. તેમણે ગાથા, ઝંદ અવસ્તા અને અવસ્તાના બીજા ભાગ ‘યસ્ના’નો અનુવાદ કર્યો છે. 1932માં રવીન્દ્રનાથ ટાગોરની માગણી સ્વીકારી ઈરાનના શાહે પૂરેદાઊદને ઈરાની સંસ્કૃતિના પ્રાધ્યાપક તરીકે શાંતિનિકેતનમાં મોકલ્યા હતા.

તેમની ફારસી કવિતા ઉત્કૃષ્ટ કોટિની, ભાવનાપ્રેરક, સંગીતમય અને સરળ છે. તે ચુસ્ત રાષ્ટ્રપ્રેમી કવિ હોવાથી માત્ર શુદ્ધ ફારસી શબ્દોના જ ઉપયોગનો આગ્રહ રાખતા. તેથી તેમણે અરબી શબ્દોના વિરોધની ચળવળની આગેવાની લીધી હતી. તેમનો કાવ્યસંગ્રહ ‘પૂરન્દાખ્તનામા’ અંગ્રેજી અનુવાદ સાથે મુંબઈથી પ્રકાશિત થયેલ છે.

મહેમૂદહુસેન મોહમદહુસેન શેખ