ઇન્દ્રાસોમૌ : ઋગ્વેદનાં બે સૂક્તોમાં પ્રશસ્તિ પામેલું દેવતાયુગ્મ. તેમણે લોકકલ્યાણાર્થે સપ્તસિંધુને મુક્ત કરીને જળને પ્રવાહિત કર્યાં, પર્વત-ખંડન કરીને ત્યાંના ખજાના સુલભ બનાવ્યા અને વસૂકી ગયેલી ગાયોના આંચળમાં દૂધ પૂર્યું; એટલું જ નહિ, પરંતુ સૂર્યની ભાળ મેળવી એને પ્રકાશિત કર્યો, અંધકારને હાંકી કાઢ્યો, આકાશને સ્થિર કરી માતા પૃથિવીનો સ્વતંત્ર પ્રસ્તાર કર્યો વગેરે એમનાં અતિ મહત્વનાં વિશ્વહિતનાં સેવાકાર્યો ગણાયાં છે.

જયાનંદ દવે