આનુવર્તિક હલનચલન (tropic movements) : વળાંક કે વક્રતા (curvature) રૂપે થતું વનસ્પતિઓનું હલનચલન. વળાંક અસમાન વૃદ્ધિ કે પર્યાવરણીય કારકોની અસર નીચે થાય છે. તે ગુરુત્વાનુવર્તી (geotropic) ગુરુત્વાકર્ષણને લીધે, પ્રકાશાનુવર્તી (phototropic) આપાત (incident) પ્રકાશના પ્રમાણ અને પ્રકારને લીધે, ભૌતિક સંપર્કો – સ્પર્શાનુવર્તની (thigmotropic) અને રાસાયણિક પદાર્થોને કારણે અંગોમાં થતા સ્થાન અને સ્થિતિના ફેરફારોને રસાયણ અનુવર્તી (chemotropic) એમ કારક પ્રમાણે કહી શકાય. કારક તરફ અગ્રના વળવાને અનુલોમ (positive) અને વિરુદ્ધ બાજુ વળવાને પ્રતિલોમ (negative) ગણવામાં આવે છે. અગ્રને વળાંકની દિશાની સૂઝ કેવી રીતે મળે છે તે વનસ્પતિવિજ્ઞાનનો કોયડો છે. ઑક્સિન નામનો પદાર્થ આમાં નિર્ણાયક ભાગ ભજવે છે એવું નિષ્ણાતોનું મંતવ્ય છે.

ચેતના માંડવિયા