અવકાસિકલ

January, 2001

અવકાસિકલ (1980) : મલયાળમ નવલકથા. ‘વિલાસિની’ તખલ્લુસથી લખતા એમ. કે. મેનનની ચાર ભાગોમાં લખાયેલી ચાર હજાર પૃષ્ઠની આ બૃહદ નવલકથા છે. તેની પાર્શ્વભૂમિ મલયેશિયા છે. કથા પાત્રપ્રધાન છે. એનો નાયક વેલ્લુન્ની જે કથારંભે સિત્તેર વર્ષનો છે, તેને મુખે પોતે અત્યંત દરિદ્ર અવસ્થામાંથી કોટ્યધિપતિ શી રીતે બન્યો, તેનું કથન થયેલું છે. આ રીતે નવલકથાનું સ્વરૂપ આત્મકથનાત્મક છે. વેલ્લુન્ની મલયેશિયામાં પેટિયું કમાવા ગયો. શી રીતે એનો સિતારો ચઢતો ગયો, તેની વિગતે વાત કરી છે. મલયેશિયામાં તે દેશ સાથે ચીની, ભારતીય તથા જાપાની સંસ્કૃતિનો કેવો સંગમ થયો છે, તેનું ચિત્રાત્મક દૃશ્ય રજૂ કર્યું છે. કથાનો વ્યાપ બૃહદ હોવા છતાં, કથાકાર સાદ્યન્ત રસ જાળવી શક્યા છે અને કથાના અંકોડા બરાબર ગોઠવી શક્યા છે. વિદેશની પાર્શ્વભૂમિમાં લખાયેલી આ એકમાત્ર મલયાળમ નવલકથા છે. એને કેરળ સાહિત્ય અકાદમી પુરસ્કાર ઓડક્કુઝળ પુરસ્કાર, કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર, (1981) અને વાયલાર રામવર્મા સાહિત્યિક પુરસ્કાર (1983) મળ્યા છે.

અક્કવુર નારાયણન્