અલંકારમંજૂષા (અઢારમી સદીનો ઉત્તરાર્ધ) : દેવશંકર પુરોહિતકૃત, પુણેના પેશ્વાઓની પ્રશસ્તિનાં ઉદાહરણોને વણી લેતી અલંકારો પરની નાનકડી કૃતિ. શ્રીગણેશ, શ્રીરામ અને સીતાની પ્રશસ્તિ-વંદનાથી કૃતિનો આરંભ કરવામાં આવ્યો છે. 115 અલંકારોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તે પૈકી 103માં પરમાલંકાર, 107થી 113માં ધ્વન્યાલંકારો અને 114 અને 115માં મિશ્રાલંકારોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. કારિકામાં અલંકારની વ્યાખ્યા અને સ્વરચિત ઉદાહરણો આપવામાં આવ્યાં છે. મોટેભાગે અનુષ્ટુપ છંદમાં રચાયેલી કારિકાઓમાં ક્યારેક તાર્કિક ચર્ચા અને વિવેચના પણ સમાવિષ્ટ થયાં છે. પૂર્વાચાર્યોના મતો પણ ઉદ્ધૃત કરવામાં આવ્યા છે. સમગ્ર ગ્રંથ ‘કુવલયાનન્દ’ને આધારે રચાયો છે. શબ્દાલંકારો છોડી દીધા છે.

તપસ્વી નાન્દી