અરોરા, પુનિતા (જ. 31 મે 1946 લાહોર – તે સમયે બ્રિટિશ ભારત, હવે પાકિસ્તાન) : ભારતીય નૌકાદળનાં પ્રથમ મહિલાવાઇસએડમિરલ.
પુનિતા અરોરા ભારતીય સશસ્ત્ર દળોના ઇતિહાસમાં સૌથી પ્રતિષ્ઠિત મહિલાઅધિકારીઓમાંનાં એક છે. તેમણે ત્રણ-સ્ટાર રૅન્ક (લેફ્ટનન્ટ જનરલ) પ્રાપ્ત કરનારાં ભારતનાં પ્રથમ મહિલા બનીને ઇતિહાસ રચ્યો. તેમની કારકિર્દીને ભારતીય સૈન્યમાં મહિલાઓની પ્રગતિમાં એક સીમાચિહ્નરૂપ માનવામાં આવે છે.
હાલ પાકિસ્તાનમાં આવેલ લાહોરમાં તેમનો જન્મ પણ 1947ના ભાગલા પછી, તેમનો પરિવાર ભારતમાં સ્થળાંતર કરીને ઉત્તરપ્રદેશના સહારનપુરમાં સ્થાયી થયો. તેમણે સહારનપુરની સોફિયા સ્કૂલમાં 8મા ધોરણ સુધી અભ્યાસ કર્યો. ત્યારબાદ ગુરુ નાનક ગર્લ્સ ઇન્ટર-કૉલેજમાં અભ્યાસ કર્યો. 11મા ધોરણમાં, તેમણે વિજ્ઞાનને કારકિર્દી તરીકે લેવાનું નક્કી કર્યું અને 1963માં પુણેની આર્મ્ડ ફોર્સિસ મેડિકલ કૉલેજમાં જોડાયાં, જે AFMCની બીજી બેચ હતી અને તેઓ તે બેચનાં ટોપર બન્યાં, જે તેમની શૈક્ષણિક શ્રેષ્ઠતાને પ્રતિબિંબિત કરે છે. તેમની વિશેષતા સ્ત્રીરોગવિજ્ઞાન અને પ્રસૂતિશાસ્ત્રમાં હતી, પુનિતા અરોરાને જાન્યુઆરી 1968માં આર્મી મેડિકલ કોર્પ્સમાં કમિશન આપવામાં આવ્યું હતું.
તેમની કારકિર્દી ત્રણ દાયકાથી વધુ લાંબી હતી, જે દરમિયાન તેમણે અનેક મહત્ત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા, વિવિધ લશ્કરી હૉસ્પિટલોમાં સ્ત્રીરોગ વિશેષજ્ઞ તરીકે સેવા આપી, તેમજ આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસીસ(મેડિકલ રિસર્ચ)ના એડિશનલ ડિરેક્ટર જનરલ તરીકે કામ કર્યું.
2004માં તેઓ પુણેના આર્મ્ડ ફોર્સિસ મેડિકલ કૉલેજ(AFMC)ના કમાન્ડન્ટ તરીકે નિયુક્ત થયા . આમ, સંસ્થાનાં વડા બનનાર પ્રથમ મહિલા બન્યાં. વળી, પુનિતા અરોરાની કારકિર્દીનું એક અનોખું પાસું એ છે કે તેમણે ભારતીય સેના અને ભારતીય નૌકાદળ-બંનેમાં સેવા આપી હતી.
તેમની કેટલીક ઐતિહાસિક સિદ્ધિઓ જોઈએ તો : પુનિતા અરોરાએ પરંપરાગત રીતે પુરુષ-પ્રભુત્વ ધરાવતા ક્ષેત્રમાં અનેક અવરોધો તોડ્યા. તેઓ ભારતીય સેનામાં પ્રથમ મહિલાલેફ્ટનન્ટ જનરલ બન્યાં અને ભારતીય સશસ્ત્ર દળોમાં થ્રી-સ્ટાર રૅન્ક મેળવનાર પ્રથમ મહિલા અને ભારતીય નૌકાદળના પ્રથમ મહિલાવાઇસએડમિરલ બન્યાં.
તેમની વિશિષ્ટ સેવા દરમિયાન, તેમને અસંખ્ય પુરસ્કારો મળ્યા, જેમાં : પરમ વિશિષ્ટ સેવા ચંદ્રક (PVSM), સેવા ચંદ્રક(SM), વિશિષ્ટ સેવા ચંદ્રક(VSM)નો સમાવેશ થાય છે. ભારતીય સશસ્ત્ર દળોમાં તેમની 36 વર્ષની કારકિર્દીમાં તેમને 15 મેડલથી નવાજવામાં આવ્યાં હતાં. જોકે પુનિતા અરોરાનું યોગદાન તેમનાં પદો અને ચંદ્રકોથી આગળ વધે છે. તેમણે ભારતમાં લશ્કરી તબીબી સેવાઓને મજબૂત બનાવી અને તબીબી સંશોધન અને તાલીમમાં મુખ્ય ભૂમિકા ભજવી તથા મહિલાઓને સશસ્ત્ર દળોમાં જોડાવા માટે પ્રેરણા આપી. તેમને ઘણી વાર સંરક્ષણ સેવાઓમાં મહિલા સશક્તીકરણ માટેનાં પ્રણેતા ગણવામાં આવે છે.
પુનિતા અરોરા હિંમત, નિશ્ચય અને શ્રેષ્ઠતાનું પ્રતીક છે. એક યુવાન તબીબી વિદ્યાર્થી તરીકે શરૂઆત કરીને ભારતીય સશસ્ત્ર દળોમાં ઉચ્ચ કક્ષાના અધિકારીઓમાંનાં એક બનવાની તેમની સફર ખરેખર પ્રેરણાદાયક છે. તેમણે માત્ર વ્યક્તિગત સફળતા જ પ્રાપ્ત કરી ; એટલું જ નહીં, પરંતુ અસંખ્ય મહિલાઓને ગર્વ અને ગૌરવ સાથે રાષ્ટ્રની સેવા કરવાનો માર્ગ પણ પ્રશસ્ત કર્યો.
ત્રિલોક સંઘાણી
