અરિસિંહ (ઈ. 1242) : જૈન કવિ. લાવણ્યસિંહ કે લવણસિંહના પુત્ર, ધોળકા(ગુજરાત)ના રાણા વીરધવલના જૈન મંત્રી વસ્તુપાલના આશ્રિત તથા જિનદત્તસૂરિના શિષ્ય અરિસિંહે વસ્તુપાલની પ્રશંસા માટે ‘સુકૃતસંકીર્તન’ નામે મહાકાવ્ય સંસ્કૃતમાં લખ્યું છે.

અરિસિંહે લખેલ અન્ય અલંકારશાસ્ત્રીય સંસ્કૃત ગ્રંથ ‘કાવ્ય-કલ્પલતા’ છે. આમાં કાવ્યની રચના વિશેના નિયમો તથા કવિઓ માટે માર્ગદર્શન આપેલું છે. અરિસિંહ આ ગ્રંથને પૂરો કરી શક્યા ન હોવાથી, તેની પૂર્તિ તેમના જ સહપાઠી અમરચંદ્રે કરેલી.

‘કાવ્યકલ્પલતા’ ઉપર ચંદ્રવિરચિત ‘કવિ-શિક્ષાવૃત્તિ’ તથા ‘મકરન્દ’ જેવી ટીકાઓ લખાયેલી છે.

ભગવતીપ્રસાદ પંડ્યા