અભિનવ કાવ્યશાસ્ત્ર

January, 2001

અભિનવ કાવ્યશાસ્ત્ર (1930) : કાવ્યશાસ્ત્રવિષયક મરાઠી ગ્રંથ. રા. શ્રી. જોગે આ ગ્રંથમાં સંસ્કૃત કાવ્યશાસ્ત્ર તથા પશ્ચિમના કાવ્યશાસ્ત્રની તુલનાત્મક ચર્ચા કરી છે. આ ઉપરાંત મરાઠી કાવ્યોનાં દૃષ્ટાંતો લઈને કાવ્યશાસ્ત્રની અભિનવ દૃષ્ટિએ પુનર્વ્યાખ્યા કરી છે, તેથી એને અભિનવ કાવ્યશાસ્ત્ર નામ આપ્યું છે. લેખકે પૂર્વ કે પશ્ચિમ કોઈ પણ કાવ્યશાસ્ત્ર પ્રત્યે પક્ષપાત ન દર્શાવતાં પૂર્ણ તટસ્થતાથી ચર્ચા કરી છે. એમાં કાવ્યનાં બધાં જ અંગોની સર્જક તેમજ ભાવકપક્ષે ચર્ચા કરી છે. એમણે મોટેભાગે મરાઠી કાવ્યોમાંથી જ અવતરણો લીધાં છે, એથી મરાઠી વાચકોને માટે કાવ્યચર્ચા રસપ્રદ બને છે. આ ઉપરાંત મરાઠી મધ્યકાલીન તથા અર્વાચીન કાવ્યપ્રકારોની તથા તેમના વૈશિષ્ટ્યની આલોચના પણ કરેલી છે.

ઉષા ટાકળકર