અપત્યપ્રસવ (વનસ્પતિ)

January, 2001

અપત્યપ્રસવ (vivipary) (વનસ્પતિ) : સુષુપ્ત અવસ્થા વગરનું બીજનું અંકુરણ. સમુદ્રકિનારે ક્ષારયુક્ત કાદવવાળી પોચી જમીનમાં ઊગતી વનસ્પતિઓનાં ફળ માતૃછોડ પર લાગેલાં હોય, તે અવસ્થામાં જ, બીજનું અંકુરણ થઈ આદિમૂળ અને અધરાક્ષ (hypocotyl) વિકાસ પામે તેને અપત્યપ્રસવ કહે છે. કાંડેલ (Rhizophora), ગોરન (Ceriops), તીવાર (Avicennia), લાવણ્યમયી (Aegiceras), મહેબુલ (Sonneratia), અને નાઇપા (Nipa) જેવી દરિયાકિનારાની વનસ્પતિઓ(mangroves)માં, ભ્રૂણમૂળ અને અધરાક્ષની લંબાઈ મીટર સુધીની પણ હોય છે. જ્યારે ફળ માતૃવનસ્પતિ ઉપરથી ખરે ત્યારે આ મૂળ ભાલાની જેમ કાદવમાં ખૂંપી જાય છે. અપત્યપ્રસવથી આવી વનસ્પતિઓને બીજાંકુરણ દરમિયાન નિવાસસ્થાનમાં રહેલા ક્ષારોની સાંદ્રતાની વિપરીત અસરોથી રક્ષણ મળે છે. ખંભાતના અખાતમાં, ભાલના દરિયાકાંઠે તથા પીરમ ટાપુ પાસે આ પ્રકારની વનસ્પતિઓ મળે છે. તેને સાચવવી અને વધારવી જોઈએ.

અપત્યપ્રસવ : (ક) જમીનમાં ઊતરી જતા અણીદાર ભાગો

અરવિંદ જટાશંકર જોશી

સરોજા કોલાપ્પન