અનિરુદ્ધ : કૃષ્ણ વાસુદેવનો પૌત્ર. પ્રદ્યુમ્ન તથા શુભાંગી(વિદર્ભરાજ રુક્મીની કન્યા)નો પુત્ર. શોણિતપુરના રાજા બાણાસુરની પુત્રી ઉષા અનિરુદ્ધના પ્રેમમાં હતી, તેથી એણે અનિરુદ્ધનું હરણ કરાવી એને પોતાના મહેલમાં રાખ્યો. આની જાણ બાણાસુરને થતાં એણે અનિરુદ્ધને કેદ કર્યો. અનિરુદ્ધને છોડાવવા કૃષ્ણે શોણિતપુર પર ચડાઈ કરી, બાણાસુરનો પરાભવ કર્યો અને અનિરુદ્ધને છોડાવ્યો. ઉષા-અનિરુદ્ધ દ્વારકા આવ્યાં. યાદવાસ્થલી પછી અનિરુદ્ધના પુત્ર વજ્રનો રાજ્યાભિષેક ઇન્દ્રપ્રસ્થમાં થયો હતો.

સુમના શાહ