અનાવૃત અંગારિયો (ઘઉં) : ઘઉંને ફૂગ દ્વારા થતો એક રોગ. રોગજનક ફૂગનું વૈજ્ઞાનિક નામ Ustilago nuda (Jens.) Rostrup. છે. આ બીજજન્ય રોગ ઊંબી/ડૂંડી આવે ત્યારે જ ઓળખાય છે. ઊંબીઓ નીંઘલમાં આવે ત્યારે દાણાની જગ્યાએ માત્ર કાળી ભૂકી જ જોવા મળે છે. દાણા બિલકુલ પોષાતા નથી. રોગગ્રાહ્ય અને રોગિષ્ઠ વિસ્તારનું બીજ આ માટે જવાબદાર હોય છે.

ઉપાયો : બીજને 4 કલાક પાણીમાં પલાળી ઉનાળાની સખત ગરમીમાં બપોરના 2થી 4 વાગ્યા સુધી ગૅલ્વેનાઇઝ્ડ પતરા ઉપર સૂકવીને અથવા ફૂગનાશક પદાર્થ વાઇટાવેક્સની 0.3%ની માવજત આપીને વાવવામાં આવે છે.

ભીષ્મદેવ કીશાભાઈ પટેલ