અનર્ઘરાઘવ (નવમી સદી) : લગભગ નવમી સદીના અંતે થયેલ મુરારિરચિત સાત અંકનું સંસ્કૃત નાટક. તેનું વિષયવસ્તુ રામાયણકથા પર આધારિત છે. મૂળ કથામાં બહુ ઓછા ફેરફાર સાથે રચાયેલ આ નાટકમાં મુખ્યત્વે શ્ર્લોકો દ્વારા રજૂઆત થઈ છે. ગદ્યાંશ કેવળ માહિતીના પૂરક રૂપે અથવા તો વર્ણનાત્મક એકોક્તિઓની રજૂઆત માટે જ પ્રયોજાયેલ છે. તેથી ગદ્યસંવાદો ખૂબ ઓછા છે. વીરરસપ્રધાન આ કૃતિમાં અલંકારપ્રચુર વર્ણનો ખૂબ છે. કવિનો પ્રયત્ન મુખ્યત્વે નાદમય શબ્દોથી કાવ્યને અલંકૃત કરવાનો જણાય છે અને તેથી જ નાટ્યરચના કરતાંય નાદમય રચનાના આગ્રહી કવિ સંસ્કૃત ભાષાના છટાદાર પ્રયોગમાં જ પોતાની શક્તિ પ્રયોજે છે.

તપસ્વી નાન્દી