વ્યાજનો વારસ (નવલકથા) : ચુનીલાલ મડિયા લિખિત નવલકથા. 1946માં તેનું પ્રકાશન થયેલું. મડિયાની અન્ય નવલકથાઓથી વિપરીત આ નવલકથા છાપામાં કદી હપતાવાર પ્રગટ થઈ નહોતી. પોતાનાં માતા કસુંબાને એમણે આ નવલકથા અર્પણ કરી છે.

કથાની ભૂમિકા તરીકે મડિયાએ ઓગણીસમી સદીના અંતનું સૌરાષ્ટ્ર કલ્પ્યું છે. નવલકથાના શીર્ષક અનુસાર નાણું આ કથામાં કેન્દ્રસ્થાને છે. એ સમયની શરાફી અને નાણાવટ અંગેની આધારભૂત માહિતી માટે મડિયાએ ડી. આર. દેસાઈ લિખિત એમ.કૉમ. ડિગ્રી માટેની થીસિસ ‘ઇન્ડિજિનસ બૅન્કિંગ ઇન ગુજરાત’નો તથા ડૉ. એલ. સી. જૈનના પુસ્તક ‘ઇન્ડિજિનસ બૅન્કિંગ ઇન ઇન્ડિયા’નો આધાર લીધો છે. નવલકથામાં ચિત્રિત સમાજ પર અંગ્રેજોનું રાજકીય આધિપત્ય આવેલું છે. પણ એ સમાજનાં મૂલ્યોમાં પશ્ચિમી સંસ્કૃતિ અને શિક્ષણનો ખાસ પ્રભાવ પડેલો જણાતો નથી. ભારતીય જીવનમૂલ્યો અને સંસ્કૃતિને શુદ્ધ રૂપે નિરૂપિત કરવાની મડિયાની નેમ જણાય છે.

વ્યાજવટાવના ધંધામાંથી આભાશા ખાસ્સું ધન કમાયા છે. પણ મોટી ઉંમર સુધી એ નિ:સંતાન રહે છે. આખરે પુત્ર રિખવ જન્મે છે, પણ રિખવ યુવાનીમાં પ્રવેશતાં જ લાડચાગથી બગડીને વંઠી જાય છે. સિંધી બાઈ એમીના ગામેથી પાછા ફરતાં એનું ખૂન થાય છે. એમીને રિખવથી ગુલુ નામનો દીકરો જન્મે છે. વારસ માટે થઈને આભાશાને એમની પત્ની માનવંતી પોતાની બહેન નંદન પરણાવી દે છે, પણ આભાશાની બહેન અમરત પોતાના દીકરાને આભાશાનો વારસો મળે એ વેતરણમાં ભાઈને અફીણ આપી મારી નાખે છે. આભાશાની સંપત્તિ પર પોતાનો કબજો સ્થાપવા માટે અમરત નંદનને પેટે ‘ત્રણ તાંસળી’ બાંધીને ગર્ભવતી જાહેર કરીને પછાત વસવાયા લોકો પાસેથી તાજું જન્મેલું બાળક ખરીદી લાવી એને વારસ જાહેર કરે છે. પણ એ વારસનું પણ પાંચ વરસની ઉંમરે દુશ્મનો દ્વારા ખૂન થઈ જાય છે. તેથી અમરત ગાંડી થઈ જાય છે. સાથે-સાથે એની કુટિલ કારવાઈઓમાં સાથ આપનાર આભાશાનો મુનીમ ચતરભજ પણ ભીખ માગતો થઈ જાય છે. હવે આખો વારસો રિખવની કાયદેસરની પત્ની સુલેખાના હાથમાં આવી પડે છે; પણ લગ્નની મધુર મિલનની પહેલી રાતે જ પતિના મદ્યશોખને સુલેખા વશ થયેલી નહિ તેથી નારાજ રિખવે તેને તરછોડેલી. એ આજીવન સાત્વિક કાર્યો અને કલામાં રમમાણ રહી. નિરાશ્રિત એમી અને તેના બાપ લાખિયારને સુલેખાએ પનાહ આપેલી. એમીનો ખોવાઈ ગયેલો દીકરો ગુલુ મોટો થતાં મહંત બનીને ત્યાં જ આવીને રહે છે. સદ્ગત પતિના વારસાના ધનમાંથી ઊભા કરેલા અન્નક્ષેત્રનો ભાર સુલેખા એ ગુલુ(મહંત)ને સોંપે છે. સાચા અધિકારી પ્રજાજનોના ચરણે આ સઘળી સંપત્તિ પહોંચતાં સુલેખા પરમ કૃતાર્થતા અનુભવે છે. આ જનકલ્યાણ જોઈ પ્રસન્ન થયેલા જૈન સાધુ વિમલસૂરિજી આશીર્વાદ આપે છે, ત્યાં નવલકથા અટકે છે. સુલેખા એક કેળવાયેલી ચિત્રકાર છે અને આજીવન આદર્શ અને સૌન્દર્યમંડિત પુરુષની કલ્પનાને પોતાની કલા દ્વારા તાદૃશ કરવા મથતી રહે છે.

આમ, પૈસામાંથી જન્મતો પૈસો, પરસેવો પાડ્યા વિના કમાયેલું વ્યાજનું નાણું – આ નવલકથાનો સાચો નાયક છે. કારણ કે સ્થૂળ નાયક રિખવ તો સત્તરમા પ્રકરણે જ અવસાન પામ્યો હોય છે અને સુલેખા, ગુલુ તથા વિમલસૂરિજી સિવાય બીજાં બધાં જ પાત્રો એ પૈસો પ્રાપ્ત કરવાના પ્રપંચોમાં જ ડૂબેલાં રહે છે. પ્રપંચોમાં સંડોવાયા વિના સાત્વિક વૃત્તિથી સુકાર્યોમાં રચ્યાંપચ્યાં રહેનાર સુલેખા અને ગુલુ દ્વારા આ પૈસો એના સાચા માલિકો – પ્રજાજનોના હાથમાં આવી પડે છે ત્યાં મડિયાએ અંત મૂક્યો છે. લક્ષ્મીનો સાચો ઉપયોગ માત્ર સમગ્ર સમાજ જ કરી શકે એવી પરંપરાગત પ્રાચીન ભારતીય ભાવનાને મડિયાએ મૂર્ત કરી છે. ઉમાશંકર જોશીએ આ નવલકથાને ‘નાયક વિનાની નવલકથા’ કહી છે.

ઘણી જ રોચક શૈલીએ મડિયાએ આ નવલકથા લખી છે. એમાં ગતિશીલ અને વિક્ષેપરહિત વાર્તાકથન તથા લાઘવપૂર્ણ નિરૂપણ છે. પ્રસંગો એટલા ઝડપથી વિકસતા આલેખ્યા છે કે વાચકને કંટાળો ઊપજે નહિ. દરેક પાત્રને અલગ વ્યક્તિત્વથી ઉપસાવ્યું છે. ઐતિહાસિક સંદર્ભો પણ સચોટ રીતે મૂક્યા છે. મડિયાની આ આરંભની માત્ર ચોવીસ વરસની ઉંમરે લખેલી બીજી નવલકથા છે. છતાં તેમાં ગદ્યનું સામર્થ્ય તથા પક્વતા જોવા મળે છે. ચમત્કારિક ઘટનાઓનું નિરૂપણ છે, પણ તે બુદ્ધિને ક્લેશ નથી પહોંચાડતું. પાત્રોના મુખમાં સ્વાભાવિક સૌરાષ્ટ્રી તળપદી બોલી મૂકીને પ્રાદેશિકતાને પણ સચોટ રીતે ઉપસાવી છે.

રિખવ અને સુલેખાનું યુગલસાયુજ્ય પણ અનન્ય દર્શાવ્યું છે. રિખવ સુંદર, રસિક અને બુદ્ધિશાળી છે; પણ સાથે સાથે ભોગવિલાસી છે. સુલેખાને આ વિલાસિતા કઠે છે. તો સામે પક્ષે સુલેખાની રસવૃત્તિ અને બુદ્ધિ વધુ સૂક્ષ્મ છે અને એનું અભિમાન રિખવને કઠે છે. ચિત્રકાર સુલેખા રિખવમાં આદર્શ પુરુષની શોધ કરવા મથે છે પણ નિષ્ફળતાને વરે છે. ચુનીલાલ મડિયાની તેમજ ગુજરાતી સાહિત્યની કેટલીક મહત્વની નવલકથાઓમાં આ નવલકથાનો ઉલ્લેખ અનિવાર્ય મનાય છે.

અમિતાભ મડિયા