કુરૂપ્પ, જી. શંકર (જ. 3 જૂન 1901, નાયત્તોટ્ટ, કેરળ; અ. 2 ફેબ્રુઆરી 1978, ત્રિવેન્દ્રમ) : પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કારના પ્રાપ્ત કરનાર મલયાળમ સાહિત્યના કવિ, નિબંધકાર અને વિવેચક. તેઓ મહાકવિ જી. તરીકે ઓળખાય છે. એમનો જન્મ કેરળમાં આદ્ય શંકરાચાર્યના જન્મસ્થાન કલાડી પાસેના એક નાના ગામમાં.

પિતા નેલ્લીક્કપ્પીલી શંકર વારિયાર અને માતાવદક્કાની લક્ષ્મીકુટ્ટી વારસ્યાર. એમના પરિવારમાં માતૃકુળની પરંપરા હોવાથી તેમનું નામ તેમના મામાના નામ પરથી ગણેશ અને મામાની અટક પરથી કુરુપ હતી. એમને બે ભાઈ અને બહેન હતાં. બાળપણમાં પિતાનું અવસાન થતાં તેમનો ઉછેર મામા ગોવિંદ કુરુપે કર્યો હતો. તેમના મામા ગોવિંદ જ્યોતિષ અને સંસ્કૃતના વિદ્વાન પંડિત હતા. તેમણે ત્રણ વર્ષની ઉંમરથી સંસ્કૃત શીખવાનું શરૂ કર્યું. તેઓ આઠ વર્ષના થયા ત્યારે ‘અમરકોષ’, સંસ્કૃત વ્યાકરણ ‘સિદ્ધરુપમ્’, છંદશાસ્ત્ર ‘શ્રી રામોદન્તમ્’ અને ‘રઘુવંશ’ના કેટલાક શ્લોકો મોઢે કર્યા હતા. એમના ગામ નાયત્તોટમાં પ્રાથમિક શાળા શરૂ થતાં તેમને દાખલ કરવામાં આવ્યા.

બાળક શંકર કુરુપને કાવ્યલેખનની પ્રેરણા નાયત્તોટમાં હોડીમાં તોટ્ટુવાય મંદિર જતી વખતે ઉગતા સૂર્યના કિરણો પાણી પર પડે ત્યારે રચાતાંદૃશ્યો અને એ સમયના મહાન મલયાલમ કવિ કુંજીકુટ્ટન તુમ્પુરાનનું તેમના ગામમાં થયેલું આગમન – આ બે કારણે બાળક ગણેશને કાવ્યલેખનની પ્રેરણા મળી. એક દિવસ બાળશંકર વર્ગમાં બેઠા બેઠા બેભાન થઈ જતા એનો મિત્ર એને ઊંચકીને ઘેર મૂકી આવ્યો. મિત્રએ કરેલા ઉપકારની તેમના મન ઉપર ખૂબ ઊંડી અસર થઈ. મિત્રના ઉપકારનો બદલો વાળવા એમણે કેટલીક પંક્તિઓ લખી. એ એમની પહેલી કવિતા હતી. એ વખતે એમની ઉંમર માત્ર 9 વર્ષ હતી.

ત્રણ ધોરણ પછી નાયત્તોટમાં આગળ અભ્યાસ કરવાની વ્યવસ્થા નહોતી આથી એમને ગામથી સાત માઇલ દૂર આવેલા પેરામ્પાવૂરની મલયાલમ મિડલ સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યા. સાતમું ધોરણ પાસ થયા પછી તેઓ મૂવાટ્ટુપુપાની મલયાલમ હાઈસ્કૂલમાં દાખલ થયા. ત્યાં બે વર્ષ ભણી વર્નાક્યુલર હાયર પરીક્ષા પાસ કરી. એમણે કોચીન રાજ્યની ‘પંડિત’ પરીક્ષા પાસ કરી. બે વર્ષ છૂટક નોકરી કરી 1921થી 1925સુધી તિરુવિલ્વામલા હાઈસ્કૂલમાં શિક્ષણકાર્ય કર્યું. અહીં એમણે અંગ્રેજી ભાષા અને સાહિત્યનો અભ્યાસ કર્યો. 1925માં ચાલાકુટિ હાઈસ્કૂલમાં જોડાયા. 1931માં ‘નાલે’ શીર્ષકવાળી કવિતા પ્રગટ થતાં સાહિત્યજગતમાં હલચલ મચી ગઈ. ઘણાંને આ કવિતા રાજદ્રોહાત્મક લાગી. આથી એર્ણાકુલમની મહારાજા કૉલેજમાં એમની પ્રાધ્યાપક તરીકેની નિમણૂકમાં અવરોધ આવ્યો. તેઓ એ જ કૉલેજમાંથી 1956માં મલયાલમ ભાષાના પ્રાધ્યાપક તરીકે તેઓ નિવૃત્ત થયા. ત્યારબાદ તેમણે આકાશવાણી તિરુવનંતપુરમ્ માં પ્રોડ્યુસર તરીકે કાર્ય કર્યું. તેઓ આકાશવાણીના સલાહકાર તરીકે પણ ચૂંટાયા. તેઓ કેરળ સાહિત્ય પરિષદના અધ્યક્ષ રહ્યા અને તેના સામાયિકના મુખ્ય સંપાદક પણ રહ્યા. તેમણે કેરળ સાહિત્ય પરિષદના સંચાલનમાં મહત્ત્વનો ફાળો આપ્યો. તેઓ મલયાલમ ઉપરાંત હિન્દી, બંગાળી, સંસ્કૃત અને અંગ્રેજી જાણતા હતા.

તેઓ વિદ્યાર્થી હતા ત્યારે તેમની પ્રથમ કવિતા પ્રકાશિત થઈ હતી. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘સાહિત્ય કૌતુકમ્’ 1923માં પ્રગટ થયો હતો. તેમણે કવિતા, વાર્તા, સંસ્મરણ, નાટક જેવા સાહિત્ય પ્રકારમાં ખેડાણ કરી 45થી વધુ પુસ્તકો લખી મલયાલમ સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. ગીત અને સંગીતવાળી પ્રથમ મલયાલમ ફિલ્મ ‘નિર્મલા’ માટે તેમણે ગીતો લખ્યાં. એ પછી ‘ઓરલકૂડી’, ‘કલ્લાનાયી’, ‘અભયમ્’, ‘અદુથદુથ’ અને ‘ઓલિપ્પોરુ’ ફિલ્મો માટે પણ ગીતો લખ્યાં. એમણે ઉમરખૈયામની ‘રૂબાયત’, કાલિદાસના ‘મેઘદૂત’ અને રવીન્દ્રનાથ ટાગોરના ‘ગીતાંજલિ’ પુસ્તકનું તેમજ ફ્રેન્ચ કૃતિઓ ‘ધ ઓલ્ડ મેન હુ ડઝ નોટ વોન્ટ ટુ ડાઇ’ અને ‘ધ ચાઈલ્ડ વ્હિચ ડઝ નોટ વોન્ટ ટુ બી બોર્ન’નો મલયાલમમાં અનુવાદ કર્યો હતો.

એમના સાહિત્યમાં પ્રાચીન અને અર્વાચીન વિચારોનું મિશ્રણ જોવા મળે છે. એમણે મુક્ત કરીને નવી શબ્દાવલી, નવાં પ્રતીકો, પ્રતિરૂપો વગેરે દ્વારા માનવતાવાદના વાતાવરણ દ્વારા નવી ચેતનાનો સંચાર કર્યો. એમણે એમની આધુનિક કાળના એક અત્યંત પ્રતિભાસંપન્ન કવિ તરીકે એમણે મલયાળમ સાહિત્યમાં ઉચ્ચ સ્થાન મેળવ્યું. પુરાણા ચોકઠામાં ઘૂમ્યા કરતી મલયાળમ કવિતાને કવિતામાં આધુનિક વિજ્ઞાન અને પ્રાચીન આધ્યાત્મિક વિચારધારાનો સમન્વય કર્યો. કુરૂપ્પની પ્રારંભિક કવિતા ‘સાહિત્ય કૌતુકમ્’ (4 ભાગ)માં સંકલિત થઈ છે. તે પરંપરાગત શૈલીની છે. એ સમયે તેમની પર મલયાળમ કવિતા સાહિત્યમાં ‘મહાન ત્રિપુટી’ નામે વિખ્યાત ત્રણ પ્રતિભાવાન કવિઓ કુમારન આશાન, વળ્ળત્તોળ નારાયણ મેનન તથા ઉલ્લુર એસ. પરમેશ્વરનો વિશેષ પ્રભાવ હતો. એ ત્રણેમાં વળ્ળત્તોળના પ્રભાવ નીચે એમણે પહેલી રાષ્ટ્રીય રંગની કવિતા લખી. એમણે ભારત ગૌરવનાં પ્રાણવાન ગીતો ગાયાં. એ રીતે રાષ્ટ્રીયતાની ભાવનામાં ચેતનાનો સંચાર કર્યો. કુરૂપ્પ પર રવીન્દ્રનાથના ગૂઢવાદની તથા પ્રતીકાત્મકની સારી અસર છે. તે પછીના કાળમાં સામ્યવાદના પ્રબળ પુરસ્કર્તા બન્યા. પછીની કવિતામાં બૌદ્ધિક તથા ચિંતનપ્રધાન તત્વ વિશેષ જોવા મળે છે. મલયાળમ કવિતામાં પ્રતીકવાદનો એમનાથી વધુ સુંદર પ્રયોગ બીજા કોઈએ કર્યો નથી. ‘પાથેયમ્ ’(1961)માં એમનાં 131 કાવ્યો સંગૃહિત થયાં છે. એમાં એમની પ્રતિભાનાં વિવિધ પાસાંનો સુભગ પરિચય થાય છે. તે ઉપરાંત ‘સૂર્યકાન્તિ’ તથા ‘મુત્તુસ્સિપ્પિઈ’ એમના ઉલ્લેખનીય કાવ્ય ગ્રંથો છે.

જી. શંકર કુરૂપ્પ

શંકર કુરૂપ્પને તેમના કાવ્યસંગ્રહ ‘વિશ્વદર્શનમ્’ માટે 1961માં કેરળ સાહિત્ય અકાદમી પુરસ્કાર અને 1963નો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. 1965માં તેમના કાવ્યસંગ્રહ ‘ઓતક્કુળલ’ (1950)ને ભારતનો સર્વોચ્ચ જ્ઞાનપીઠ પુરસ્કાર સૌ પ્રથમ તેમને આપવામા આવ્યો હતો. 1967માં તેમને સોવિયેત નહેરુ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ભારત સરકારે 1968માં તેમને પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા. 1968થી 1972 સુધી તેઓ રાજ્યસભાના સભ્ય પણ રહ્યાં હતા.

અક્કવુર નારાયણન્

અનિલ રાવલ