આલ્મિડા (જ. આશરે 1450, લિસ્બન; અ. 1 માર્ચ 1510, ટેબલ બે) : ભારત ખાતેનો પ્રથમ ફિરંગી સૂબો. પૉર્ટુગલના રાજા મૅન્યુઅલ પહેલાએ માર્ચ 1505માં એની નિમણૂક કરી હતી. પશ્ચિમ ભારતના દરિયાકાંઠા પર ફિરંગીઓનું વર્ચસ્ સ્થાપવા એને ગુજરાતની સલ્તનત સાથે સંઘર્ષમાં ઊતરવું પડ્યું હતું. આવો પ્રથમ સંઘર્ષ 1508માં થયેલો. ગુજરાતના સુલતાનની મદદે ઇજિપ્તનું નૌકાસૈન્ય હતું. આ સંઘર્ષમાં આલ્મિડાનો પરાજય થયો હતો. બીજા વર્ષે 1509માં દીવ પર કૂચ કરીને ઇજિપ્તના નૌકાકાફલાને હાર આપેલી. ગુજરાતના નૌકાકાફલાના આગેવાન મલિક અયાઝે ફિરંગીઓ સાથે સમાધાન કર્યું. 1509ના ડિસેમ્બરમાં એને પૉર્ટુગલ પાછો બોલાવી લેવામાં આવ્યો. માર્ગમાં દક્ષિણ આફ્રિકામાં આવેલા કેપટાઉન નજીક ટેબલ અખાતમાંથી પસાર થતાં હોટેનટોટ લોકો સાથેની ઝપાઝપીમાં તે મૃત્યુ પામ્યો હતો.

થૉમસ પરમાર