આરઝી હકૂમત : જૂનાગઢની સમાંતર સરકાર (1947). સૌરાષ્ટ્રનાં 222 રજવાડાંઓમાં જૂનાગઢ સૌથી મોટું રાજ્ય હતું. તેની 82 % વસ્તી હિંદુ હતી. તેની ચારે બાજુ ભારત સાથે જોડાયેલાં દેશી રજવાડાં હતાં અને મોટા ભાગનાં દેશી રાજ્યોએ ભારત સાથે જોડાવાના કરાર કર્યા હતા; છતાં જૂનાગઢના નવાબ મહોબતખાન ત્રીજા (1911-1947)એ 15 ઑગસ્ટ, 1947 ના રોજ પાકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણય કર્યો. તેથી સ્થાનિક લોકો અને સંસ્થાઓએ આઘાત અનુભવ્યો અને હજારો લોકો રાજ્યમાંથી અન્યત્ર હિજરત કરી ગયા. ઉછરંગરાય ન. ઢેબર અને ભારત સરકારના રિયાસતી ખાતાના સચિવ વી. પી. મેનન નવાબને સમજાવવા જૂનાગઢ ગયા, પરંતુ તેમને નવાબને મળવા દેવાયા નહિ.

દેશવિદેશમાં વસતા ગુજરાતીઓ, સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યો, કાઠિયાવાડ રાજકીય પરિષદ, અખિલ હિંદ દેશી રાજ્ય પ્રજામંડળ, ઇન્ડિયન હિસ્ટરી કૉંગ્રેસના તત્કાલીન પ્રમુખ પ્રો. મહંમદ હબીબ, કચ્છ-કાઠિયાવાડ મુસ્લિમ લીગ, મુંબઈ રાષ્ટ્રવાદી મુસ્લિમ મહામંડળ વગેરેએ જૂનાગઢના પાકિસ્તાન સાથેના જોડાણને વખોડી કાઢ્યું. ભારત સરકારે પણ આ પ્રશ્ન અંગે ખૂબ જ સાવચેતી રાખી. સૌપ્રથમ પાકિસ્તાન સાથેના તેના જોડાણને અમાન્ય કરી ત્યાં લોકમત લેવા સૂચવ્યું. પરંતુ પાકિસ્તાનનું વલણ અકળ હતું.

આવી સ્ફોટક પરિસ્થિતિમાં કાઠિયાવાડ અને મુંબઈના કૉંગ્રેસી કાર્યકરો અને આગેવાનોએ ગંભીર વિચારણા કરીને સુભાષચંદ્ર બોઝની ‘આઝાદ હિંદ સરકાર’માંથી પ્રેરણા લઈ તથા સરદાર વલ્લભભાઈ પટેલના છૂપા આશીર્વાદ મેળવી મુંબઈમાં 25 સપ્ટેમ્બર, 1947 ના રોજ જૂનાગઢની ‘આરઝી હકૂમત’ નામની સમાંતર સરકાર સ્થાપી, તેને જૂનાગઢની સાચી સરકાર જાહેર કરવામાં આવી. આ સરકારનો અને જૂનાગઢની પ્રજાની આઝાદીના જાહેરનામાનો મુસદ્દો કનૈયાલાલ મુનશીએ ઘડ્યો હતો.

આરઝી હકૂમતને સંપૂર્ણ બંધારણીય સ્વરૂપ આપવાના હેતુથી તેમાં માત્ર જૂનાગઢ રાજ્યના લોકોને જ લેવાના હતા. આ સરકારના વડા તરીકે મહાત્મા ગાંધીજીના ભત્રીજા અને ‘વંદે માતરમ્’ દૈનિકના તંત્રી શામળદાસ લ. ગાંધીને નીમવામાં આવ્યા હતા. તેના પ્રધાનમંડળના અન્ય સભ્યો હતા ભવાનીશંકર ઓઝા, દુર્લભજી ખેતાણી, મણિલાલ દોશી, નરેન્દ્ર નથવાણી અને સુરગભાઈ વરુ. પછીથી શ્રીમતી પુષ્પાબહેન મહેતાને પણ પ્રધાનમંડળમાં લેવાયાં હતાં. આરઝી હકૂમતની સ્થાપનાના એક દિવસ અગાઉ ગાંધીજીએ પણ પ્રાર્થનાસભામાં કહેલું, ‘જૂનાગઢ પાકિસ્તાનસે જાના ચાહિયે.’

આરઝી હકૂમતનું પ્રધાનમંડળ તેની સ્થાપના પછીના ત્રીજા દિવસે મુંબઈથી રાજકોટ આવ્યું અને તુરત બે દિવસ બાદ (30 સપ્ટેમ્બરે) રાજકોટમાંનું ‘જૂનાગઢ હાઉસ’ (હાલનું સરદારબાગ અતિથિગૃહ) કબજે કરી રાજકોટમાં પોતાનું સચિવાલય પણ સ્થાપ્યું. ત્યારબાદ તેણે જૂનાગઢના આર્થિક બહિષ્કારના કાર્યક્રમને અસરકારક બનાવવા ખૂબ જહેમત લીધી હતી. સૌરાષ્ટ્ર તેમજ ભારતનાં અનેક મોટાં શહેરોમાં જૂનાગઢ બહિષ્કાર સમિતિઓ રચાઈ હતી. તેના પરિણામે જૂનાગઢ રાજ્યની આવક એટલી ઘટી ગઈ કે તેણે પોરબંદર અને મોરબી રાજ્ય પાસેથી લોન મેળવવા પ્રયત્ન કરેલા, પરંતુ તેમાં સફળતા મળી નહિ.

પ્રચાર-મોરચે પણ આરઝી હકૂમતે સારી કામગીરી બજાવી હતી. અનેક રાષ્ટ્રવાદી છાપાંઓએ તેના કાર્યને બહોળી પ્રસિદ્ધિ આપી હતી. પરદેશી છાપાંઓમાં પણ તે અંગે તંત્રીલેખ તથા ચર્ચાપત્રો છપાયાં હતાં. 24.29 મીટર ઉપરથી ‘આઝાદ જૂનાગઢ રેડિયો’ નામનું ગુપ્ત રેડિયો સ્ટેશન શરૂ કરી તેણે જૂનાગઢ રાજ્ય ઉપર મનોવૈજ્ઞાનિક વિજય મેળવ્યો હતો.

લશ્કરી ક્ષેત્રે આરઝી હકૂમતે ‘લોકસેના’ની રચના કરી હતી. તેમાં પગારદાર તરીકે દાખલ થયેલા ગુરખા અને શીખ સૈનિકો, આઝાદ હિંદ ફોજ તથા કેન્દ્રીય અનામત પોલીસ દળમાંથી નિવૃત્ત થયેલા સૈનિકો, સૌરાષ્ટ્રનાં કેટલાંક દેશી રાજ્યોમાંથી સ્વેચ્છાએ દાખલ થયેલા સૈનિકો, સશસ્ત્ર તાલીમ પામેલા સ્વયંસેવકો તથા મેર, હાટી, કારડિયા જેવી લડાયક જાતિઓના લોકો મળી કુલ ચાર હજાર સૈનિકો હતા. લોકસેનાના સરસેનાપતિ તરીકે રતુભાઈ અદાણી અને શસ્ત્રનિયામક તરીકે વાસાવડના દરબાર માર્કંડભાઈ દેસાઈ હતા. જૂનાગઢ રાજ્યના આંતરિક પ્રદેશમાં મેર જેવી લડાયક કોમના સંગઠક તરીકેનું કાર્ય ગોકુળદાસ ગગલાણી કરતા હતા. દુર્લભજીભાઈ નાગરેચા બાતમી-નિષ્ણાત તરીકે કામ કરતા હતા.

ભારત સરકારે આરઝી હકૂમતને માન્યતા આપી ન હતી. તેને સશસ્ત્ર મદદ પણ કરી ન હતી. અલબત્ત, ભારત સાથે જોડાયેલાં સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યોના રક્ષણ માટે તેણે ‘કાઠિયાવાડ સંરક્ષક દળ’ની રચના કરી હતી. તેના વડા તરીકે બ્રિગેડિયર ગુરુદયાલસિંઘ હતા. ભારત સરકારની આ સેનાની સૌરાષ્ટ્રમાં હાજરીની જૂનાગઢ રાજ્ય ઉપર ગંભીર મનોવૈજ્ઞાનિક અસર થઈ હતી.

24 ઑક્ટોબર, 1947ના દશેરાના દિવસે લોકસેનાએ જૂનાગઢ રાજ્ય ઉપર આક્રમણ કરી તેનાં 11 ગામ જીતી લેતાં જૂનાગઢના નવાબ ગભરાઈને પોતાના કુટુંબ સાથે વિમાનમાર્ગે કેશોદથી કરાંચી નાસી ગયા હતા. બીજે દિવસે પણ લોકસેનાએ બીજાં 10 ગામ જીતી લીધાં. માત્ર 18 દિવસમાં તેણે કુલ 106 ગામ જીતી લેતાં અને પાકિસ્તાન તરફથી કોઈ મદદ ન મળતાં જૂનાગઢના દીવાન શાહનવાઝ ભુટ્ટોએ આરઝી હકૂમતને શરણે થવાનું સ્વીકાર્યું અને ભારત સરકારને જૂનાગઢનો વહીવટ સંભાળી લેવા લેખિત વિનંતી કરી. તેથી ભારત સરકારના પ્રાદેશિક કમિશનર નીલમ બૂચે સેના સાથે 9 નવેમ્બર, 1947ની સાંજે જૂનાગઢ પહોંચી જઈ તેનો કબજો સંભાળ્યો હતો. પછીથી 20 ફેબ્રુઆરી, 1948ના રોજ જૂનાગઢમાં લોકમત લેવાતાં 1,90,779 લોકોએ ભારતમાં ભળવા માટે અને માત્ર 91વ્યક્તિઓએ પાકિસ્તાનમાં ભળવા માટે મતદાન કર્યું હતું. પછીથી જાન્યુઆરી, 1949માં જૂનાગઢ સૌરાષ્ટ્ર રાજ્યમાં ભળી જતાં સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યોનું એકીકરણ પૂર્ણ થયું હતું.

જૂનાગઢની આરઝી હકૂમત માત્ર જૂનાગઢ રાજ્યની પ્રજાના જ નહિ, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રની પ્રજાના પ્રચંડ પ્રકોપનું પ્રતીક હતી, તેથી સમગ્ર સૌરાષ્ટ્રના લોકોએ તેની પ્રવૃત્તિમાં સહકાર આપ્યો હતો. આ લડતમાં જૂનાગઢ રાજ્યના મેર લોકોના મહંત વિજયદાસજી, જૂનાગઢ હવેલીના પુરુષોત્તમદાસજી, મયારામદાસજી તથા અલિંધ્રા બાપુ જેવા ધર્માચાર્યોએ પણ સક્રિય સહકાર આપ્યો હતો, તેથી તેનું સ્વરૂપ વધુ પ્રજાકીય બન્યું હતું.

એ હકીકત છે કે સૌરાષ્ટ્રમાં ભારત સરકારની સેનાની હાજરીથી આરઝી હકૂમતની લોકસેનાને પ્રબળ નૈતિક ટેકો મળ્યો હતો. પરંતુ એ માન્યતા એકદમ ભૂલભરેલી છે કે ભારત સરકારનું લશ્કર જ લોકસેના તરીકે લડ્યું હતું. ભારત સરકારની સેના તો જૂનાગઢના દીવાનની લેખિત વિનંતી પછી જ જૂનાગઢનો કબજો લેવા માટે જૂનાગઢમાં ગઈ હતી. આમ જૂનાગઢની આરઝી હકૂમત એ પ્રદેશ-મુક્તિ માટેનો એક સફળ થયેલો પ્રયોગ હતો. તે જૂનાગઢ રાજ્યના લોકોની મુક્તિ માટેનું, જૂનાગઢ રાજ્યના લોકોએ જ શરૂ કરેલું એક મહાન આંદોલન હતું. કનૈયાલાલ મા. મુનશીએ તેને ‘જૂનાગઢની પ્રજાની મુક્તિગાથા’ કહી છે. ભારતનાં દેશી રાજ્યોની પ્રજાલડતનું તે એક વિશિષ્ટ પ્રકરણ છે.

શશિકાન્ત વિશ્વનાથ જાની