ક્ષેમેન્દ્ર (અગિયારમી સદી)

January, 2010

ક્ષેમેન્દ્ર (અગિયારમી સદી) : સંસ્કૃત કવિ, નાટકકાર, કાવ્યાલોચક તેમજ શાસ્ત્રગ્રંથોના રચયિતા. ક્ષેમેન્દ્રે ‘ઔચિત્યવિચારચર્ચા’ ઉપરાંત ‘કવિકંઠાભરણ, ‘સુવૃત્તતિલક’, ‘ભારતમંજરી, ‘રામાયણમંજરી’, ‘બૃહત્કથામંજરી’ વગેરે 30થી વધુ ગ્રંથો રચ્યા છે. ભારતીય કાવ્યમીમાંસાના પાંચ પ્રસિદ્ધ વાદોમાં છઠ્ઠો ઔચિત્યવાદ ઉમેરીને તેમણે નવી ભાત પાડી છે. તેઓ કાવ્યને રસસિદ્ધ કહ્યા પછી ઔચિત્યને કાવ્યના સ્થિર જીવિત તરીકે નિરૂપે છે. કાવ્યનાં તમામ અલંકરણોને આવરી લેતા ઔચિત્યના 27 પ્રકારો તે સલક્ષણ આપે છે; તમામનાં ઉચિત અને અનુચિત બંને પ્રકારનાં ઉદાહરણો તેઓ આપે છે. ‘કવિકંઠાભરણ’ કવિપ્રતિભામાં અપેક્ષિત લક્ષણો ચર્ચે છે, ‘સુવૃત્તતિલક’ છંદ:શાસ્ત્રનો અનુપમ ગ્રંથ છે. ઉપર નિર્દેશેલા ‘ભારતમંજરી’ આદિ ત્રણ ગ્રંથો એ ખ્યાત કૃતિઓના સમર્થ સંક્ષેપો છે.

રમેશ બેટાઈ