રાંદેરિયા, સિદ્ધાર્થ (જ. 17 ડિસેમ્બર, 1955, મુંબઈ) : લોકપ્રિય ગુજ્જુ નાટ્ય-ફિલ્મ શ્રેણીના જનક.

સિદ્ધાર્થ રાંદેરિયા ઉત્તમ અધ્યાપક, નાટ્યકાર અને નાટ્યવિદ શ્રી મધુકર રાંદેરિયાના સુપુત્ર છે. એક સમયે મુંબઈને પોતાની નાટ્યપ્રવૃત્તિ, લેખન અને નાટ્યનિષ્ઠાથી મોહી લેનાર શ્રી મધુકર રાંદેરિયા જેવા પિતાના પગલે 1969માં માત્ર ચૌદ વર્ષની ઉંમરે સિદ્ધાર્થે ‘છક્કો મક્કો’ નાટક દ્વારા અભિનયની શરૂઆત કરી. સિદ્ધાર્થ કૉલેજ કારકિર્દી દરમિયાન અનેક આંતરકૉલેજ નાટ્યસ્પર્ધાઓમાં સક્રિય અભિનય આપતા રહ્યા. પછીથી તેઓ ‘ઇન્ડિયન નૅશનલ થિએટર’નાં ‘VAIRI’ પ્રયોગ માટે પસંદગી પામ્યા. આ પ્રયોગમાં પરેશ રાવલ, મહેન્દ્ર જોશી, અરુંધતી, શંકર નાગ અને હોમી વાડિયા જેવા દિગ્ગજો સાથે કામ કરવાનું બન્યું. એક આર્કિટૅક્ચરલ ફર્મમાં ડિઝાઇનર તરીકે જોડાઈને થિયેટર સાથે આર્થિક પ્રવૃત્તિ પણ ચાલુ રહે તે માટે તેમણે પંદર વર્ષ કામ કર્યું. ત્યારબાદ તેઓ પૂર્ણ સમય તખ્તાના કલાકાર બની રહ્યા. એમની નાટ્યમંડળીએ ‘ગુરુ બ્રહ્મા’, ‘રંગ છે રાજા’, ‘બસ કર બકુડા’, ‘કેરી ઑન લાલુ’, ‘પરણેલા છઈએ, કોને કહીએ’ જેવા અને ‘ખાનદાન’, ‘રમત શૂન્ય ચોકડીની’ જેવા પ્રયોગો આપ્યા. રંગમંચનાં સઘળાં પાસાંઓમાં સિદ્ધાર્થે પોતાને સાબિત કર્યા.

સિદ્ધાર્થ રાંદેરિયા

અભિનય કારકિર્દી ઉપરાંત નાટ્યલેખક અને દિગ્દર્શક તરીકે પણ તેઓ સક્રિય રહ્યા. 2002માં આરંભાયેલી એમની ‘ગુજ્જુ’ શ્રેણીનું પ્રથમ નાટક હતું ‘ગુજ્જુભાઈએ ગામ ગજાવ્યું’. પછીથી ‘લગે રહો ગુજ્જુભાઈ’ (2007), ‘લો ગુજ્જુભાઈ ઘોડે ચડ્યા’ (2010), ‘ગુજ્જુભાઈની ગોલમાલ’ (2012), ‘ગુજ્જુભાઈ બન્યા દબંગ’ (2015), ‘રંગરંગીલા ગુજ્જુભાઈ’ (2017) અને ‘બ્લફ માસ્ટર ગુજ્જુભાઈ’ (2019) જેવાં નાટકો ખૂબ લોકપ્રિય રહ્યાં. આ નાટ્યશ્રેણીના સેંકડો પ્રયોગો વિશ્વભરમાં થયા જે લોકપ્રિય રહ્યા.

2015માં સિદ્ધાર્થ રાંદેરિયાએ ‘ગુજ્જુભાઈ ધ ગ્રેટ’થી ગુજરાતી ફિલ્મજગતમાં પ્રવેશ કર્યો. આ ફિલ્મમાં ‘હસમુખ ગાંધી’ના પાત્ર દ્વારા સરેરાશ ગુજરાતી માણસની ભૂમિકા ભજવીને તેઓ ખૂબ લોકપ્રિય થયા. પત્ની, પુત્ર અને સાસુ સંબંધી તર્કપુત્ત હાસ્ય વેરીને અને જીભ અને હડપચીનાં ‘મેનરિઝમ’થી કમાલ કરીને તેમણે નામના મેળવી. ત્યારબાદ ‘ગુજ્જુભાઈ મોસ્ટ વૉન્ટેડ’ દ્વારા ફરી ત્રણ વર્ષે તેમણે શ્રેણીમાં પુનરાગમન કર્યું. ‘નટસમ્રાટ’ મરાઠી નાટકની સમાંતરે 2018માં ગુજરાતી ફિલ્મ ‘નટસમ્રાટ’માં મુખ્ય ભૂમિકા ભજવી. 2019માં પ્રેક્ષકોનો હર્ષભેર આવકાર મેળવનાર સિદ્ધાર્થે ‘ચાલ જીવી લઈએ’ જેવી સફળ ફિલ્મ આપી. ‘કહેવતલાલ પરિવાર’ (2022) અને ‘બુશર્ટ-ટીશર્ટ’ (2023) જેવી ગુજરાતી ફિલ્મો દ્વારા એમણે પોતાનો દબદબો કાયમ કર્યો. ‘ખલનાયક’ (1993), ‘કયા કહેના’ (2000) અને ‘શોર્ટ કટ’ (2009), દ્વારા ફિલ્મોગ્રાફી અને સક્રિયતા એ હિંદી ફિલ્મોની સિદ્ધાર્થની સફળતા છે.

‘વક્ત કી રફતાર’ (1999) અને ‘કુડકુડિયા હાઉસ નં. 43’ એ એમની જાણીતી ટીવી શ્રેણીઓ છે. LLP પ્રોડક્શન દ્વારા હાસ્યસભર નાટ્યશ્રેણી આપનાર સિદ્ધાર્થ રાંદેરિયા, પત્ની શેફાલી અને સુપુત્રો ઈશાન અને અન્વિત દ્વારા મુંબઈનો આદરભર્યો ગુજરાતી કલા પરિવાર બને છે.

2018માં શ્રેષ્ઠ અભિનેતા તરીકે ગુજરાતી ફિલ્મ ‘નટસમ્રાટ’ માટે, 2019માં ‘ગ્લોરી ઑફ ગુજરાત ઍવૉર્ડ’ પ્રાપ્ત થયા છે. દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલના વરદ હસ્તે ‘ધ સ્પિરિટ ઑફ અમદાવાદ’ ઍવૉર્ડ સાબરમતી ફેસ્ટિવલમાં એમને મળ્યો છે. એ. એમ. એ. દ્વારા ‘ગુજરાતરત્ન’ ઍવૉર્ડ પણ એમને મળ્યો છે.

સિદ્ધાર્થ રાંદેરિયા ગુજરાતી નાટક અને ફિલ્મનું અમૂલ્ય ઘરેણું છે.

શૈલેશ ટેવાણી