હિંદુસ્તાન ટાઇમ્સ (એચટી)

February, 2009

હિંદુસ્તાન ટાઇમ્સ (એચટી) : 1924માં દિલ્હીમાં પ્રારંભ. વિમોચનવિધિ 15 સપ્ટેમ્બર 1924ના રોજ મહાત્મા ગાંધીના હસ્તે થયો હતો. સ્થાપક માસ્ટર સુંદરસિંહ લ્યાલપુરી (Lyallpuri) (જેઓ પંજાબમાં અકાલી ચળવળ તથા શિરોમણિ અકાલી દળના સ્થાપક તરીકે પણ જાણીતા છે). પ્રારંભનાં વર્ષોમાં આ અખબારનું તંત્રીપદ કે. એમ. પણિક્કરે સંભાળ્યું હતું અને મહાત્મા ગાંધીના પુત્ર દેવદાસ ગાંધી પણ તેના તંત્રીમંડળમાં હતા.

હિંદુસ્તાન ટાઇમ્સ

એચટીના ટૂંકા નામથી જાણીતા આ અખબાર-જૂથનું સંચાલન હાલ કે. કે. બિરલા જૂથ પાસે છે અને જી. ડી. બિરલાનાં પૌત્રી સુશ્રી શોભના ભરતિયા હાલ (2009માં) તેનાં સર્વેસર્વા છે. એચટી મીડિયા લિ.ના નેજા હેઠળ હાલ ‘હિંદુસ્તાન ટાઇમ્સ’ (અંગ્રેજી દૈનિક), ‘હિંદુસ્તાન’ (હિંદી દૈનિક), ‘મિન્ટ’ (અંગ્રેજી બિઝનેસ દૈનિક) વગેરેનું પ્રકાશન થાય છે. દેશનું પ્રથમ માત્ર યુવાનો માટેનું દૈનિક ‘એચટી નેક્સ્ટ’ આ જૂથે 2004માં શરૂ કર્યું હતું.

‘હિંદુસ્તાન ટાઇમ્સ’ એ એચટી મીડિયા લિ.નું મુખ્ય અંગ્રેજી અખબાર છે. તે નવી દિલ્હી, મુંબઈ, લખનૌ, પટણા અને કૉલકાતા જેવાં દેશનાં અગ્રણી શહેરોમાંથી એકસાથે પ્રકાશિત થાય છે. ઉત્તર અને મધ્ય ભારત (મુંબઈ સુધી) આ અખબારનું પ્રભુત્વ નોંધપાત્ર છે, જોકે દક્ષિણ ભારતમાં હજુ તેનો ખાસ ફેલાવો કે પ્રભાવ નથી. 84 વર્ષ જૂના આ અખબારે ઘણી લાંબી મજલ કાપી છે અને વર્ષ 2009ના અંદાજ પ્રમાણે તેની તમામ આવૃત્તિઓ અને અલગ અલગ પ્રકાશનનું વેચાણ આશરે 22.50 લાખ નકલો છે અને રીડરશિપ 1.44 કરોડ હોવાની ધારણા છે. છેલ્લાં થોડાં વર્ષથી આ અખબારના મુખ્ય તંત્રી વીર સંઘવી છે અને તેમના નેજા હેઠળ જ ‘હિંદુસ્તાન ટાઇમ્સ’નો મહત્તમ વિકાસ થયો છે.

અલકેશ પટેલ