વ્યાસ, યોગેન્દ્ર (. 6 ઑક્ટોબર 1940, અમદાવાદ) : ગુજરાતના જાણીતા ભાષાવિદ અને સંનિષ્ઠ અધ્યાપક. પિતા ધીરુભાઈ વ્યાસ. માતા પ્રમોદબહેન. તેમનાં પાંચ સંતાનોમાંનું ત્રીજું સંતાન. પિતા આર્યોદય જિનિંગ મિલમાં નોકરી કરતા હતા. માધ્યમિક અને ઉચ્ચશિક્ષણ અમદાવાદમાં. 1961માં બી.એ. પ્રથમ વર્ગમાં પ્રથમ ક્રમે. મુખ્ય વિષય ગુજરાતી અને ગૌણ વિષય ભાષાવિજ્ઞાન સાથે એમ.એ. 1963માં. 1967માં પીએચ.ડી. અનુસ્નાતક શિક્ષણ દરમિયાન ગુજરાત કૉલેજના તેઓ દક્ષિણાફેલો રહેલા. અધ્યાપનની કારકિર્દી પણ ચાલુ. 1966માં એક વર્ષમાં પુણેની ડેક્કન કૉલેજમાં ફૅકલ્ટી મેમ્બર. ત્યારબાદ 1969ની સાલ સુધી અમદાવાદની સરસપુર આર્ટ્સ કૉલેજમાં આચાર્ય. 1969થી ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનમાં ભાષાવિજ્ઞાન વિભાગમાં અધ્યાપક તરીકે  પછી એ જ વિભાગના ડિરેક્ટર થઈ, એ પદેથી 2002માં સેવાનિવૃત્ત. અધ્યાપન ઉપરાંત વિવિધ ભાષાસાહિત્ય-સંસ્થાઓની સાથે પણ તેઓ સંકળાયેલા રહ્યા.

યોગેન્દ્ર વ્યાસ

1995થી 2000 સુધી મૈસૂરના ભારતીય ભાષા સંસ્થાનના ભારત સરકાર નિયુક્ત સલાહકાર. 1979થી 1996 સુધી તિરુવનંતપુરમની લૅક્સિકોગ્રાફી સોસાયટી ઑવ્ ઇન્ડિયાની કાર્યવાહક સમિતિના સભ્ય. 1997માં નવમી પંચવર્ષીય યોજના માટેની યુ.જી.સી.ની વિઝિટિંગ કમિટીના સભ્ય તરીકે ભાષાજૂથના સંયોજક. 1999માં અમદાવાદ શહેર શિક્ષણ સમિતિએ તેમને સંનિષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કર્યા હતા.

તેમનું મુખ્ય પ્રદાન ભાષાવિજ્ઞાનક્ષેત્રે રહ્યું. ‘ગુજરાતી ભાષાનું વ્યાકરણ’ – આ પુસ્તક ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ પુસ્તકોની યાદીમાં સ્થાન પામ્યું હતું. ‘બોલીવિજ્ઞાન અને ગુજરાતની બોલીઓ’ બોલીઓ અંગેની વૈજ્ઞાનિક સમજ આપતું પુસ્તક છે. ‘સામાજિક ભાષાવિજ્ઞાન’ – વક્તા અને શ્રોતા વચ્ચેનો સામાજિક સંબંધ એ સંદર્ભમાં ભાષાનો અભ્યાસ કરતું પુસ્તક છે. ‘ભાષાવિજ્ઞાન અને ભાષાકૌશલ્યોનું શિક્ષણ’ – ભાષાનાં કૌશલ્યોનું આલેખન કરતું પુસ્તક છે. કોશવિજ્ઞાનના સિદ્ધાંતોને અનુસરીને તેમણે ‘શબ્દાર્થચર્ચા’ (2000) અને ‘જોડણી અને કોશરચના’ (1996) એ બે પુસ્તકો આપ્યાં છે. ‘ભાષા, સમાજ અને સાહિત્ય’ (1973) શૈલીવિજ્ઞાનનું પ્રથમ પુસ્તક ગણી શકાય. ભાષાવિજ્ઞાનનાં પુસ્તકો ઉપરાંત બે લઘુનવલ, એક બાળવાર્તા અને જીવનઘડતરનાં ઉપયોગી પુસ્તકો પણ તેમણે આપ્યાં છે. ‘બે કિનારાની વચ્ચે’, ‘કૃષ્ણજન્મ’ અને ‘સપ્તરંગી કિરણોનો માળો’ – લઘુનવલો છે. ‘ભીલીની કિશોરકથાઓ’ – અંતર્ગત બાળવાર્તાઓ લખી છે. ‘સપ્તરંગી કિરણોનો માળો’ (2001) તેમનો વાર્તાસંગ્રહ છે. ‘દીવો ના બુઝે’ એ તેમનું બાના જીવન પર આધારિત જીવનચરિત્ર છે. તેમનાં અન્ય પુસ્તકોમાં ‘ભાષાસજ્જતા અને લેખનકૌશલ્ય’ (1986), ‘વાક્કૌશલ’, ‘શ્રવણકૌશલ’ અને ‘વાચનકૌશલ’ (1988) પણ ઉલ્લેખનીય છે. ‘પ્રાથમિક શાળામાં ભાષાશિક્ષણ’ (1998)  એ પ્રાથમિક શાળામાં ભાષાશિક્ષણ કેવું હોવું જોઈએ તેની ચર્ચા કરતું પુસ્તક છે. તેમનાં કેટલાંક પુસ્તકો ગુજરાત સરકાર દ્વારા પુરસ્કૃત પણ થયેલાં. ‘આનંદઘરની વાત્સલ્યમૂર્તિ’ પુસ્તક તેમના વિદ્યાર્થીઓએ તેમની નિવૃત્તિસમયે પ્રગટ કર્યું હતું, જેમાં વિદ્યાર્થીઓનાં તેમની સાથેનાં સંસ્મરણો આલેખાયાં છે.

નીલોત્પલા ગાંધી