વાસંતન, એસ. કે.

January, 2005

વાસંતન, એસ. કે. (જ. 17 નવેમ્બર 1935, એડપ્પલ્લી, ઍર્નાકુલમ્, કેરળ) : મલયાળમ લેખક. તેમણે કેરળ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં અને મલયાળમમાં એમ.એ. અને પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. શ્રી શંકરાચાર્ય યુનિવર્સિટી ઑવ્ સંસ્કૃત, કાલાડીમાં મુલાકાતી પ્રાધ્યાપક તરીકે અધ્યાપનકાર્ય કર્યું. તેઓ કેરળ સાહિત્ય અકાદમી તથા મહાત્મા ગાંધી યુનિવર્સિટી, કોટ્ટયમના સભ્યપદે રહેલા.

તેમણે અત્યાર સુધીમાં 15 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘એન્ટે ગ્રામમ્ એન્ટે જનતા’ (1976); ‘આરક્કિલમ્’ (1989) તેમની ઉલ્લેખનીય નવલકથાઓ છે. ‘ઉરંગાથા માનસ્સુકાલ’ (1984); ‘અન્વેષણમ્ આસ્વાદનમ્’ (1989) તેમના જાણીતા નિબંધસંગ્રહો છે. ‘મુખંગલ નિઝલુકાલ’ (1986) તેમનો લોકપ્રિય વાર્તાસંગ્રહ છે, તો ‘મિથિલી મનોહરી’ (1992) એકાંકી છે.

આવા સાહિત્યવિષયક પ્રદાન બદલ તેમને થુન્યન સ્મારક ઍવૉર્ડ; કે. દામોદરન્  ઍવૉર્ડ તથા દૂરદર્શન ઍવૉર્ડ વગેરે આપવામાં આવ્યા છે.

બળદેવભાઈ કનીજિયા