મિશ્રા છન્નુલાલ

March, 2026

મિશ્રા છન્નુલાલ (જ. 3 ઑગસ્ટ 1936, હરિહરપુર, જિ. આઝમગઢ, ઉત્તરપ્રદેશ; અ. 2  ઓક્ટોબર 2025) : પ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયક અને  કિરાણા ઘરાના તથા બનારસ ઘરાના ગાયન શૈલીના પ્રતિનિધિ કલાકાર.

તેમના દાદા, ગુડાઈ મહારાજ શાંતા પ્રસાદ, એક પ્રખ્યાત તબલાવાદક હતા. તેમનું જન્મનું નામ મોહનલાલ મિશ્રા હતું. તે વખતે એવી માન્યતા હતી કે અજીબ પ્રકારનું નામ હોય તેને કોઈની નજર ન લાગે અને તે બાળક લાંબું જીવે આથી બાળપણમાં, તેમના પરિવાર અને પડોશીઓ તેમને પ્રેમથી “છન્નુ” કહેતા હતા. જ્યારે તેમણે શાસ્ત્રીય સંગીતમાં ઔપચારિક તાલીમ શરૂ કરી અને સ્ટેજ પર ગાવાનું શરૂ કર્યું, ત્યારે તેમનું પ્રિય નામ “છન્નુ” તેમની સાથે જોડાયું. ધીમે ધીમે, તેઓ સંગીતજગતમાં “છન્નુલાલ મિશ્રા” તરીકે જાણીતા બન્યા.

છન્નુલાલ મિશ્રાએ છ વર્ષની ઉંમરે તેમના પિતા, બદ્રી પ્રસાદ મિશ્રા પાસેથી સંગીતશિક્ષણ મેળવવાનું શરૂ કર્યું અને પછી કિરાણા ઘરાનાના ઉસ્તાદ અબ્દુલ ગની ખાન દ્વારા તેમને શિક્ષણ આપવામાં આવ્યું.

જોકે, તેમના જીવનમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે પ્રતિષ્ઠિત પદ્મભૂષણ ઠાકુર જયદેવ સિંહે તેમની અદ્ભુત પ્રતિભાને ઓળખી. આ એક ઊંડા ગુરુ-શિષ્ય સંબંધની શરૂઆત હતી, જ્યાં ગુરુ, ઠાકુર જયદેવ સિંહે, કિશોરાવસ્થાના પ્રતિભાશાળીને ગુરુ-શિષ્ય પરંપરાની સમય-સન્માનિત પરંપરામાં તૈયાર કર્યા.

પરંપરામાં મૂળ ધરાવતા, મિશ્રાજીએ ઘરાનાની મર્યાદાઓ પાર કરી છે, ‘સ્વરમંડળ’ વગાડતા, તેમના પ્રદર્શને પ્રેક્ષકો પર જાદુ કર્યો. તેઓ ખયાલ, દાદરા, ઠૂમરી, ચૈતી, કજરી, સવાણી, હોળી અને ભજનમાં વૈવિધ્યતા દર્શાવતા અને તેમની આ અસાધારણ સંગીતમય પ્રવાહિતા તેમની કુદરતી પ્રતિભાનો પુરાવો છે.

તેમના અસાધારણ યોગદાનને સ્વીકારતા, મિશ્રાજીને અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમાં સુર સિંગર સંસદ, મુંબઈનો ‘શિરોમણિ એવોર્ડ’, ઉત્તરપ્રદેશ સંગીત નાટક અકાદમી ઍવૉર્ડ, ઉત્તરપ્રદેશ સરકારનો નૌશાદ ઍવૉર્ડ, ઉત્તરપ્રદેશનો યશ ભારતી ઍવૉર્ડ, ભારત સરકાર દ્વારા સંગીત નાટક એકૅડેમી ફેલોશિપ અને બિહાર સંગીત શિરોમણિ ઍવૉર્ડ નો સમાવેશ થાય છે. ભારતીય શાસ્ત્રીય સંગીતમાં તેમના અમૂલ્ય યોગદાનને માન્યતા આપતા, ભારત સરકાર દ્વારા તેમને 2010માં પદ્મભૂષણ અને 2020માં પદ્મવિભૂષણ થી નવાજવામાં આવ્યા હતા. શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રમાં તેમનો વારસો આપણી સાથે રહેશે જ.

ત્રિલોક સંઘાણી