મિમેનસિંઘ (Mymensingh) જિલ્લો

February, 2002

મિમેનસિંઘ  (Mymensingh) જિલ્લો : બાંગ્લાદેશના મિમેનસિંઘ વિભાગ(Division)માં આવેલો જિલ્લો.

ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ : તે 24° 75´ ઉ. અ. 90° 40´ પૂ. રે. પર સ્થિત છે.  બાંગ્લાદેશના ઉત્તર ભાગનો તે હૃદયસમાન જિલ્લો છે. આ જિલ્લાની ઉત્તરે ભારતના મેઘાલય રાજ્યની ગારો ટેકરીઓ, દક્ષિણે ગાઝીપુર જિલ્લો, પૂર્વે નેત્રોકોના (Netrokona) અને કિશોરેગાની (Kishoregani) અને પશ્ચિમે શેરપુરા, જમાલપુર અને તાંગાઈલ જિલ્લાઓ તેની સરહદ બનાવે છે.

મિમેનસિંઘ જિલ્લો

આ જિલ્લાનો ઘણોખરો ભાગ ખુલ્લો, સમતળસપાટ છે. તેની પૂર્વ તરફ મેઘના નદીની અને પશ્ચિમ તરફ બ્રહ્મપુત્ર નદી દ્વારા રચાયેલ જળપરિવાહ જોવા મળે છે. આ નદીઓ સિવાય ખાલ્સ અને બીલ્સ નાની નદીઓ આવેલી છે. કાંગસા નદી ગારો હારમાળામાંથી ઉદગમ પામે છે. આ નદીની શાખા નદી નીતિ છે. નરસુન્ડા જે જૂની બ્રહ્મપુત્રાની શાખા નદી છે. બાંગ્લાદેશના પૂર્વ છેડે બેસ્વાદ ભૂમિ આવેલી છે. મૂળ બાંગ્લાદેશના વતનીઓ તે ભૂમિને ‘હાઓર’ (Haor) તરીકે ઓળખે છે. ભૂસ્તરશાસ્ત્રની દૃષ્ટિએ કહી શકાય કે ભૂતકાળમાં બ્રહ્મપુત્ર નદી આ માર્ગે વહેતી હતી. 18મી સદીથી મિમેનસિંઘ જિલ્લામાં જૂની બ્રહ્મપુત્રની મુખ્ય શાખા વહે છે. ભૂસ્તરશાસ્ત્રની દૃષ્ટિએ વિવિધ રચનાવાળા કાંપનિક્ષેપના સ્તરો અહીં જોવા મળે છે. જિલ્લાના નૈર્ઋત્ય ભાગમાં બ્રહ્મપુત્રનો જૂનો માર્ગ જે માધુપુરના માર્ગ (tract) તરીકે ઓળખાય છે. પ્રમાણમાં તે ખૂબ પહોળો, ઊંચાણવાળો અને રેતાળ છે. જિલ્લાનો સૂદૂર ઉત્તરનો ભાગ જે હાલુઆઘાટ અને ધોબાઉરા તરીકે ઓળખાય છે. તે પ્રમાણમાં રેતાળ છે. આ વિસ્તાર ભારતની સીમાએ આવેલ ગારો ટેકરીઓનો તળેટીના ભાગ રૂપે છે. આ જિલ્લાનો પૂર્વ ભાગ નીચાણવાળો હોવાથી વર્ષાઋતુ દરમિયાન પાણી ભરાઈ જાય છે. વળી ત્યાં પંકભૂમિના મોટા વિસ્તારો પણ રચાયેલા છે. અન્ય નદીઓમાં મોગરા, બથાઈ, બનાર, સુતીયા, નરસુન્ડા અને ખીરો વગેરે નદીઓ વહે છે.

જૂની બ્રહ્મપુત્ર નદી

આબોહવા – જંગલો – ખેતી : અહીંની આબોહવા ઉષ્ણકટિબંધીય ભેજવાળી કહી શકાય. ઉનાળો ભેજવાળો અને ગરમ રહે છે. વર્ષાઋતુમાં અતિવૃષ્ટિ થતી રહે છે. શિયાળો પ્રમાણમાં ઠંડો અનુભવાય છે. શિયાળામાં તાપમાન 15° સે., ઉનાળામાં 41° સે. સુધી પણ અનુભવાય છે. અહીં વાર્ષિક વરસાદ આશરે 2,174 મિમી. જેટલો રહે છે. આ જિલ્લાનું સરેરાશ તાપમાન 12° સે.થી 33° સે. જેટલું રહે છે.

મધુપુર રાષ્ટ્રીય ઉદ્યાન, મિમેનસિંઘ

મધુપુર જંગલ ઢાકાની ઉત્તરે આવેલું છે. તે મિમેનસિંઘ પ્રદેશથી સરેરાશ 20 મીટર કરતાં વધુ ઊંચાઈ (30 મીટર) ધરાવે છે. અહીં કીમતી સાગનાં વૃક્ષો વધુ પ્રમાણમાં આવેલાં છે, તેમજ જલાઉલાકડાનાં વૃક્ષો પણ છે. આ જિલ્લો ગીચ જંગલોથી છવાયેલો છે, કેટલોક ભાગ ડુંગરાળ છે જ્યાં કાંટાળી વનસ્પતિ જોવા મળે છે.

આ જિલ્લાના મુખ્ય પાકોમાં શણ, ડાંગર, ઘઉં, શેરડી, તમાકુ, તેલીબિંયા અને કઠોળનો સમાવેશ થાય છે. એક સમયે આ જિલ્લો ‘Golden Fibre’ તરીકે જાણીતો બન્યો હતો. વિશ્વમાં સૌથી વધુ શણનું ઉત્પાદન કરતો જિલ્લો ગણાતો હતો.

શણની ખેતી – Golden Fibre

વસ્તી : આ જિલ્લાની વસ્તી (2025 મુજબ) આશરે 58,99,005 છે. સાક્ષરતાનું પ્રમાણ આશરે 74.7% જ્યારે સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ 1034 મહિલાઓ છે. આ જિલ્લામાં આશરે 22.90 લોકો શહેરોમાં વસે છે. આદિવાસી વસ્તી જેમાં ગારો અને હાઈઓગ(Haiong)નું પ્રમાણ 0.47% છે.

વહીવટી દૃષ્ટિએ જોઈએ તો આ જિલ્લાને 8 વિભાગમાં વહેંચવામાં આવેલ છે. તેનો વિસ્તાર આશરે 4363.48 ચો.કિમી. છે. બાંગ્લાદેશમાં આવતા પ્રવાસીઓમાં આશરે 25% પ્રવાસીઓ આરોગ્યની સુવિધા ઉપલબ્ધ હોવાને કારણે મુલાકાત લે છે. આ જિલ્લામાં રેલવેનો સૌપ્રથમ પ્રારંભ 1884માં ઢાકાથી મિમેનસિંઘ વચ્ચે બ્રિટિશરોના શાસન દરમિયાન થયો હતો. 1898માં આ રેલમાર્ગને જમાલપુર સુધી લંબાવવામાં આવ્યો હતો. આ જિલ્લામાં 14 સ્ટેશનો આવેલાં છે, જેમાં મિમેનસિંઘ મુખ્ય જંકશન છે.

આ જિલ્લાની રચના 1787માં થઈ હતી. ગુરુશાડે દત્ત (Gurushaday Dutt) કે જેઓ પ્રથમ ભારતીય હતા કે જેઓએ ઇંગ્લૅન્ડમાં લેવાયેલી Open Competitive Services Examinationમાં પ્રથમ આવ્યા હતા.

આ જિલ્લામાં ધાર્મિક સ્થાનો સંદર્ભે જોઈએ તો મુસ્લિમોની 2,362 મસ્જિદો, હિન્દુઓનાં 1020 મંદિર, બૌદ્ધ મંદિર 1600 અને 36 ચર્ચ આવેલાં હતા.

મિમેનસિંઘ (શહેર) : બાંગ્લાદેશનું આર્થિક વ્યવહાર અને શિક્ષણનું મુખ્ય કેન્દ્ર.

ભૌગોલિક સ્થાન – આબોહવા : તે 24° 45´ ઉ. અ. અને 90° 24´ પૂ.રે. પર સ્થિત છે. આ શહેર બ્રહ્મપુત્ર નદીના ત્યજી દેવાયેલા જૂના કાંઠાથી ઉત્તર તરફ આવેલું છે. બ્રહ્મપુત્ર નદીના સામા કાંઠે શંભુગંજ આવેલ છે. શંભુગંજ સેતુથી બંને શહેરો સંકળાયેલા છે. આ શહેર સમુદ્રસપાટીથી 19 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે.

બ્રહ્મપુત્ર નદી પરનો શંભુગંજ સેતુ

આ શહેરની નજીક હિમાલયની હારમાળા આવેલી હોવાથી ઢાકા કરતાં આબોહવા પ્રમાણમાં ઠંડી રહે છે.  એકંદરે અહીંની આબોહવા ઉષ્ણકટિબંધીય સવાના અથવા ઉષ્ણકટિબંધીય ભેજવાળી આબોહવા કહી શકાય. અહીં વર્ષાઋતુનો પ્રારંભ મે અથવા જૂનથી શરૂ કરીને ઑગસ્ટ સુધી અનુભવાય છે. અહીં ચોમાસામાં વરસાદની હેલી અઠવાડિયા સુધી અનુભવાતી હોય છે. આ સમયગાળામાં તાપમાન 25° સે.થી 31° સે. જેટલું રહે છે. વરસાદ આશરે 2000 મિમી.થી 2500 મિમી. જેટલો પડે છે. શિયાળાનો પ્રારંભ નવેમ્બરના અંત ભાગમાં શરૂ થાય છે. જે લગભગ ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયા સુધી અનુભવાય છે. આ સમયગાળામાં તાપમાન 15° સે. કરતાં નીચું રહે છે. જ્યારે મહત્તમ તાપમાન એપ્રિલ–મે માસમાં અનુભવાય છે. આ સમયગાળામાં તાપમાન 40° સે. જેટલું પહોંચી જાય છે. ઉનાળાની ઋતુ દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહેતું હોવાથી ‘બફારો’ વધુ અનુભવાય છે. પ્રવાસીઓ માટેનો ઉત્તમ સમય નવેમ્બરથી ફેબ્રુઆરી ગણાય છે.

મિમેનસિંઘ શહેર

અર્થતંત્ર : બાંગ્લાદેશનું સૌથી મહત્ત્વનું વ્યાપારિક કેન્દ્ર છે. ખેતીકીય પેદાશો પર આધારિત અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે. જેમ કે, ડાંગર છડવાની મિલો, તેલની મિલો, કાપડની મિલો, ખાંડનાં કારખાનાં, ખેતીને લગતાં યંત્રો બનાવવાનાં કારખાનાં પણ આવેલાં છે. શણની વિવિધ બનાવટોનાં કારખાનાં આવેલાં હતાં, પરંતુ હવે શણના બદલે પોલીથિનનો ઉપયોગ વધ્યો હોવાથી શણની મિલો મૃતપ્રાય પરિસ્થિતિમાં છે. ખાદ્યપ્રક્રમણના એકમો આવેલા છે. આ જિલ્લામાં મત્સ્યનું ઉત્પાદન વધુ થતું હોવાથી મત્સ્યને હવાચુસ્ત કન્ટેનરમાં મૂકીને નિકાસ કરવાના અનેક એકમો આવેલા છે. ચર્મ ઉપર આધારિત અને કાચની બંગડી બનાવવાનાં કારખાનાં આવેલાં છે. રેડીમેડ વસ્ત્રો બનાવવાના એકમો આવેલા છે જ્યાં બ્રાન્ડેડ કંપનીનાં વસ્ત્રો બનાવાય છે. એક સમયે આ શહેર હસ્તકલા ઉદ્યોગ માટે જાણીતું હતું આથી તે નકશીકાન્થા (Nakshikantha) તરીકે જાણીતું હતું. અહીં ગરીબીનું પ્રમાણ અધિક છે. પરિણામે લોકો પગરિક્ષા, ટૅક્સી, ખેતમજૂર, હમાલના વ્યવસાયમાં રોકાયેલા છે.

આ શહેરમાં દુર્ગાબાઈ રોડ અને મહારાજા રોડની વચ્ચે પરંપરાગત ચીજવસ્તુઓ વેચવાની દુકાનો આવેલી છે. અહીં ગંગીનારપુર (Ganginarpur) બોરો બઝાર, છોટો બઝાર, મેચુઆ બઝાર જેવા વિસ્તારો મહત્વના છે.

પરિવહન : આ શહેરમાં રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 3 હજુ પૂર્ણ થઈ શક્યો નથી. જે મિમેનસિંઘ અને ઢાકાને સાંકળે છે. આ શહેરમાં ઑટોરિક્ષા વ્યવહાર એ કરોડરજ્જુ સમાન છે.  આ સિવાય પગરિક્ષાનો પણ ઉપયોગ થાય છે. અહીં રેલમાર્ગ સૌથી સસ્તો ગણાય છે. ખાસ કરીને નારાયણગંજ લાઇન – ભદુરાબાદ ઘાટ રેલ કે જે સ્થાનિક રેલમાર્ગ સાથે સંકળાયેલ છે. તેમજ મિમેનસિંઘ અને જોયદેવપુર રેલવેસ્ટેશન વચ્ચે ડેમુ ટ્રેનનો પ્રારંભ પણ થયો છે.

વસ્તી : આ શહેરનો વિસ્તાર 32.42 ચો.કિમી. જ્યારે મેટ્રો શહેરનો વિસ્તાર 95.32 ચો.કિમી. છે. શહેરની અને મેટ્રો શહેરની વસ્તી (2025 મુજબ) અનુક્રમે 2,25,126 અને 5,77,400 છે. અહીં સાક્ષરતાનું પ્રમાણ 84.41% જ્યારે સેક્સ રેશિયો દર 1003 પુરુષોએ 1000 સ્ત્રીઓ છે. અહીંની મુખ્ય ભાષા બંગાળી અને અંગ્રેજી છે. શહેર અને મેટ્રો શહેરની વસ્તીગીચતા અનુક્રમે 13,000 દર ચો.કિમી., 6,100 દર ચો.કિમી. છે.

શિક્ષણના સંદર્ભમાં જોઈએ તો આ શહેરમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલી છે. કૉલેજોની પણ વિવિધતા છે. મેડિકલ, એન્જિનિયરિંગ, પોલિટૅકનિક, ઍગ્રિકલ્ચરલ કૉલેજો તેમજ આર્ટ્સ અને કૉમર્સ કૉલેજો આવેલી છે. યુનિવર્સિટીઓમાં જતીયા કાબી કાઝી નઝરુલ ઇસ્લામ યુનિવર્સિટી, બાંગ્લાદેશ ઍગ્રિકલ્ચરલ યુનિવર્સિટી, મિમેનસિંઘ એન્જિનિયરિંગ યુનિવર્સિટી આવેલી છે.

જોવાલાયક સ્થળો :

ઐતિહાસિક શશી લૉજ (lodge), બાંગ્લાદેશ પરિષદ, શહીદ મિનાર, અમરબાતી નાટ્ય મંદિર, બાંગ્લાદેશ પરિષદ લાઇબ્રેરી, એલેક્ઝાન્ડરનો કિલ્લો અથવા લોહાર કુટિર, બ્રહ્મપુત્ર નદી, બિપિન પાર્ક, મિમેનસિંઘ મ્યુઝિયમ, ઝૈનુલ અબેડિન મ્યુઝિયમ, મત્સ્ય સંગ્રહાલય અને જૈવ વિવિધતા કેન્દ્ર, અંજુમન ઇદગાહ મેદાન, દુર્ગાબારી મંદિર, રામકૃષ્ણ માથા અને મિશન, સેંટ પેટ્રીક કેથીડ્રલ ચર્ચ વગેરે.

ગિરીશભાઈ પંડ્યા

નીતિન કોઠારી