માલવપતિ મુંજ (નાટક) : પ્રભુલાલ દયારામ દ્વિવેદી રચિત ઐતિહાસિક ત્રિઅંકી નાટક. તે 1924માં રચાયું અને એ જ સાલમાં શ્રી લક્ષ્મીકાંત નાટક સમાજ દ્વારા ભજવાયું હતું. આ નાટક છપાયું નથી. આ નાટકના સંવાદોમાં ગુજરાતી ભાષાનાં તેજ અને જોમ પ્રગટ્યાં છે. એ રીતે એ સંવાદોનું ગદ્ય પણ પ્રભાવક છે.

તૈલપના દરબારમાં મુંજને જીવતો પકડી લાવવાની દરખાસ્તને સામંત ભીલ્લમ ઉપાડી લે છે. તૈલપની બહેન મૃણાલ ધગધગતા સળિયાથી મુંજની ચામડી ઉતરાવી લે છે. મુંજની મસ્તી, લાપરવાહી અને રસિકતા પર મૃણાલ ધીમે ધીમે આકર્ષાય છે. છળકપટથી પકડેલા મુંજનું ગૌરવ હણવા તૈલપ એની પાસે ભીખ મંગાવે છે. આખરે મુંજને તૈલપ હાથીના પગ નીચે ચગદાવે છે. મુંજના મૃત્યુના આઘાતથી ગાંડી થઈ ગયેલી મૃણાલ અવંતી જાય છે અને ત્યાં અગ્નિપ્રવેશ કરે છે.

પ્રભુલાલે આ નાટકની વસ્તુપસંદગીમાં કનૈયાલાલ મા. મુનશીની નવલકથા ‘પૃથિવીવલ્લભ’, સંસ્કૃત કવિ હર્ષકૃત ‘રત્નાવલી’ તેમજ ‘પ્રબંધ-ચિંતામણિ’નો આધાર લીધો છે. મુંજની મસ્તી પર આકર્ષાઈ મૃણાલ મુંજને પોતાનો બનાવવા પ્રયત્ન કરે છે, એ ભાવના પ્રભુલાલે મુનશીની નવલકથામાંથી સીધી લીધી છે. વ્યવસાયી રંગભૂમિ ઉપર રજૂ થયેલ ઐતિહાસિક નાટકોને મુકાબલે વસ્તુપસંદગી, પાત્રવિધાન, સંકલના અને ભાષાની ર્દષ્ટિએ આ વધુ નાટ્યક્ષમ રચના છે. ‘મુંજ’નું ગૌરવપૂર્ણ પાત્રવિધાન સારો ઉઠાવ પામ્યું છે. ‘મૃણાલ’ના પાત્રનો વિકાસ પણ સારો થયો છે. મા. અશરફખાન મુંજના પાત્રની લાપરવાહી અને રસિકતાને સારો ઉઠાવ આપતા હતા. એમની ઘૂંટાયેલી ગાયકી આ નાટકની સફળતાનું એક બીજું પાસું હતું. ‘હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમનાં જ્ઞાન ઓછાં છે’ અને ‘એકસરખા દિવસ સુખના કોઈના જાતા નથી’ જેવાં એનાં ગીતો લોકપ્રિય થયાં હતાં. ગુજરાતી રંગભૂમિના ઇતિહાસમાં આ નાટક સિદ્ધિદાયક ગણાયું. કંપની, લેખક અને નટને આ નાટકે ખૂબ યશ અપાવ્યો. આ નાટક 500 કરતાં પણ વધારે વાર ભજવાયું હતું. બીજી મંડળીઓએ પણ આ નાટક અનેક વાર ભજવ્યું હતું.

દિનકર ભોજક