મજુમદાર, નીનુ (જ. 9 નવેમ્બર 1915, વડોદરા; અ. 3 માર્ચ 2000, મુંબઈ) : ગુજરાતી સુગમ સંગીતના મોભી. નીનુ મજુમદાર સંગીતકાર હોવા ઉપરાંત બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. સંગીતમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, લોક અને સુગમ સંગીત, ગરબા, નાટક વગેરે ક્ષેત્રોમાં તેમની આગવી સૂઝ હતી. બાળપણમાં ઉસ્તાદ ફૈયાઝખાં અને ઉસ્તાદ ઇમામઅલીખાન પાસે તેમણે સંગીતની તાલીમ લીધી હતી.

પિતા નગેન્દ્રભાઈ ચલચિત્રોના પ્રારંભકાળથી અભિનેતા અને સંગીતકાર હતા. 1931માં મુંબઈ આવીને નીનુભાઈ પિતા સાથે જોડાયા. સાથોસાથ રવીન્દ્રસંગીત શીખ્યા. 1937માં તેઓ વારાણસી ગયા. ત્યાંથી ઉત્તર ભારતના લોકસંગીતનું ભાથું મેળવ્યું. મુંબઈ પરત આવીને પિતાની સાથે જ તેમણે ચલચિત્રોમાં સંગીત આપવું શરૂ કર્યું. બંસરીવાદનથી પ્રારંભ કર્યો. સમય જતાં હિંદી અને ગુજરાતી ચિત્રોમાં પાર્શ્વગાયક અને સંગીતકાર બન્યા. સી. એચ. આત્મા અને મીના કપૂર પાસે તેમણે ગીતો ગવડાવ્યાં. નીનુભાઈએ ઘણાં ચિત્રોમાં સંગીત આપ્યું. તેમાં હિંદી ચિત્ર ‘ગોપીનાથ’ નોંધપાત્ર છે. 1956માં વી. શાંતારામે બનાવેલા દસ્તાવેજી ચિત્ર ‘ગુજરાતનું લોકસંગીત’નું સંગીત-નિર્દેશન નીનુભાઈએ કર્યું હતું.

1953થી 1975 સુધી આકાશવાણી, મુંબઈમાં સંગીતનિર્માતા તરીકે તેમણે સેવાઓ આપી. ત્યાંથી નિવૃત્ત થયા બાદ ‘સીતાયન’ અને બીજાં સંગીતનાટકો તેમણે લખ્યાં. તેમણે સ્વરબદ્ધ કરેલાં અત્યંત જાણીતાં ગીતોમાં ‘મેં તો રંગ્યો હતો એને દિલડાની સંગ’, ‘રક્ષા કરો જગદંબા ભવાની’, ‘પંખીઓએ કલશોર કર્યો’ વગેરેનો સમાવેશ થાય છે.

તેમનાં પત્ની કૌમુદી મુનશી અને પુત્રી રાજુલ મહેતા પણ ગાયિકા છે, મીનળ પટેલ અભિનેત્રી છે અને સોનલ શુક્લ લેખિકા છે. પુત્ર ઉદય મજુમદાર ગાયક અને સંગીતકાર છે.

હરસુખ થાનકી