ભારવાહક પ્રાણીઓ : પ્રવાસ તથા માલસામાનની હેરફેરના મુખ્ય હેતુ માટે ઉપયોગમાં લેવાતાં પાલતુ પ્રાણીઓ. આ પ્રાણીઓનો સસ્તન વર્ગની ખરીવાળાં (angulata) પ્રાણીઓની  શ્રેણી(order)ની બે ઉપશ્રેણી (suborder) સમક્ષુર (artiodactyla) અને વિષમક્ષુર(parissodactyla)માં સમાવેશ કરાયેલાં છે.

પ્રાણીસૃષ્ટિમાં વિવિધ પ્રાણીઓ પરસ્પર આંતરક્રિયા દ્વારા એક સમતોલ પ્રાણીસમાજની રચના કરે છે; ઉદાહરણ તરીકે, સહજીવન (symbiosis), પારસ્પરિક જીવન (mutualism), સહભોજિતા અથવા અવશિષ્ટભોજિતા (commensalism), સહનિવાસ (inqui-linism) તથા પરોપજીવન (parasitism). માણસ પ્રાણી છે, પણ બુદ્ધિશાળી ગણાતો હોવાથી તેણે આગવી આંતરક્રિયા વિકસાવી. પોતાના વિવિધ લાભ માટે અમુક પ્રાણીઓને પાળવા-પોષવા માંડ્યાં. વર્તમાન પૂર્વે દસથી બાર હજારના વર્ષમાં માણસે જે પ્રથમ પ્રાણી પાળ્યું, તે કૂતરું હતું. હજાર-બે હજાર વર્ષો પછી માણસે ગાય અને ભેંસ પાળવાનો આરંભ કર્યો. વર્તમાન પૂર્વે 7000થી 6000 આશરે ઘોડો તથા એ જ સમયે અમેરિકા ખંડની પ્રાચીન સંસ્કૃતિઓમાં આલ્પાકા, લામા તથા વિકુના પળાતાં થયાં. બીજાં હજારેક વર્ષ પછી ઇઝરાયલમાં ગધેડું, પશ્ચિમ એશિયાના વેરાનમાં ઊંટ તથા ભારતમાં હાથી અને તિબેટમાં યાક પાલતુ બન્યાં. ઉત્તરમધ્ય એશિયામાં  રેનડિયર નામનું હરણ પ્રમાણમાં મોડું – અઢી હજાર વર્ષ પૂર્વે પળાયું તથા પૈડાં વિનાની બરફગાડી (sledge) ખેંચવા છેક ઉત્તરનું હસ્કી નામનું કૂતરું માણસનું સાથી બન્યું. આ પ્રાણીઓ પાળવા-ઉછેરવા પાછળ માણસના વિવિધ હેતુઓમાં એક સમાન હેતુ ભારવહન માટે તેમને કામે લગાડવાનો હતો. માણસ કુટુંબ બનાવીને ખેતી કરતો થયો તેથી તેને કુટુંબનાં સભ્યો, ખેતરનો પાક તથા ધીરે ધીરે વધવા માંડેલી ઘરવખરીની અવારનવાર હેરફેર કરવાની જરૂર પડવા લાગી. આ માટે તે શક્તિશાળી, પણ સ્વભાવે ઉગ્ર નહિ એવાં પ્રાણીઓને પાળવા પ્રેરાયો. ભારવાહક પ્રાણીઓના પ્રવેશે માનવસંસ્કૃતિઓનો વિકાસ વેગીલો બનાવ્યો.

વન્ય પ્રાણીઓને પાળવાં અને સાથે રાખવાં એ સરળ કાર્ય નહોતું, દરેક રીતે તે ભયથી ભરેલું હતું. ઉત્ક્રાંતિનાં લાખો વર્ષોના ગાળામાં વિકાસ પામેલી બુદ્ધિ અહીં માણસને સહાયક બની. તેણે વિચાર્યું : આવું પ્રાણી સ્વભાવે અનાક્રમક હોવું જોઈએ; તે ધીમું હોવું જોઈએ; બળવાન હોવું જોઈએ; સંકેત-સૂચન સમજી શકે તેવું હોવું જોઈએ; લાંબા સમય અને અંતર સુધી શ્રમ કરવાની ક્ષમતાવાળું હોવું જોઈએ; નિભાવવામાં અનુકૂળ હોવું જોઈએ વગેરે. બળદ, પાડા, ગધેડાં, ઘોડા, ઊંટ, હાથી અને યાક આવાં પ્રાણી જણાયાં. સમય જતાં માણસે અભિજનન(breeding)થી જોઈતી પ્રકૃતિનાં પ્રાણી જન્માવવાની પદ્ધતિ વિકસાવી. એ રીતે તેણે પ્રાણીઓની ભારવહનક્ષમતામાં સુધારો-વધારો કરવા પ્રયત્નો કર્યા. આખલાને ખસી કરીને તેનું બળદમાં રૂપાંતર કર્યું. એ રીતે પાડાને પણ કામ માટે અનુકૂળ બનાવ્યો. ઘોડામાં સામી દિશાનો વિકાસ કર્યો. ઝડપી હેરફેર માટે વેગીલા ઘોડાનો વિકાસ કર્યો. પણ, કૃષિ તથા સામાન્ય પરિવહનમાં ધીમો ઘોડો પસંદ કર્યો. ઘોડી અને ગધેડાના તથા ગધેડી અને ઘોડાના સમાગમથી ઉત્પન્ન કરાતી ખચ્ચર નામની સંકર જાતિ માણસની વિશિષ્ટ સિદ્ધિ છે. ઘોડી અને ગધેડાના સંકરણથી મળતું ખચ્ચર ઘોડા તથા ગધેડાનાં ઉત્તમ લક્ષણો ધરાવે છે : શરીરનું કદ મોટું, કાન લાંબા, પૂંછડું લાંબું – ઘોડાના પૂંછડા જેવું, કેશવાળીનો અભાવ. સ્વભાવે જક્કી, પણ ધીરજ અને ચોકસાઈમાં અજોડ. લાંબા સમય સુધી વિષમ ઋતુમાં અને કઠિન ભૂમિસપાટી ઉપર કામ કરવાની તેની શક્તિ વિરલ છે. વૈજ્ઞાનિક પદ્ધતિથી સંકરણના પ્રયોગો કરીને માણસે વિશિષ્ટ ભારવહનની ક્ષમતાવાળી અન્ય ઉપજાતિઓ વિકસાવી.

ઇજનેરી અને પ્રૌદ્યોગિકીના ભારે વિકાસના યુગમાં પણ ભારવાહક પ્રાણીઓનું મહત્વ ટકી રહ્યું છે, તેનાં કારણો છે : (1) હજારો વર્ષોની પરંપરા છે. (2) કૃષિ સંબંધી કાર્યોમાં આ પ્રાણીઓ પાળવાં સગવડભર્યાં છે. (3) પ્રાણીઓ ભારવહન ઉપરાંત બીજી સેવાઓ પણ આપે છે; જેમ કે, હળ વડે ખેડ કરવી. (4) તે ઉપયોગી પદાર્થો આપે છે; જેમ કે, દૂધ, છાણ, હાડકાં, ચામડાં, વાળ. (5) પ્રાણીઓને ચાલવા ખાસ બનાવેલા પાકા માર્ગોની જરૂર પડતી નથી. ટૂંકાં અંતરો માટે તે યાંત્રિક વાહનો કરતાં વધારે કરકસરભર્યાં નીવડે છે. (6) પ્રાણીના ઉપયોગમાં ઇંધન બાળવું પડતું નથી. આથી પર્યાવરણમાં બગાડ થતો નથી. (7) પ્રાણીઓના છાણ વડે મળતા દહનશીલ વાયુને કારણે ખનિજ તેલની પેદાશોમાં અને એ દ્વારા વિદેશી હૂંડિયામણમાં નોંધપાત્ર બચત થાય છે. (8) પર્વતો, રણ, જંગલો આદિ માર્ગ વિનાના પ્રદેશોમાં કેવળ વિશિષ્ટ પ્રાણીઓ જ કામ આપી શકે છે; યાંત્રિક વાહનો કામનાં નથી; જેમ કે, ભારતની ઉત્તર સીમા પર વિશ્વની સૌથી ઊંચી અને લાંબી હિમાલયની હારમાળા પથરાયેલી છે. આ સીમાનું રક્ષણ કરવા પર્વતો પર યાંત્રિક વાહનો જ્યાં પાછાં પડે છે; ત્યાં ખચ્ચર, ટટ્ટુ, ગધેડાં તથા ઘોડા ઉપર જ આધાર રાખવો પડે છે. (9) ભારવહનમાં જ્યાં પ્રાણીઓ ઉપયોગમાં લેવાય છે ત્યાં દુર્ઘટનાઓ ભાગ્યે જ નોંધાઈ છે. યાંત્રિક વાહનોમાં દુર્ઘટનાઓ તથા તેથી થતાં મરણોનો આંક ઊંચો છે અને હજુ વધતો જાય છે.

ઊંટ : સમક્ષુર ઉપશ્રેણીના ઉષ્ટ્ર કુળ(family camelidae)માં અત્યારે બે જાતિઓ વિદ્યમાન છે : (1) રાજસ્થાની અથવા અરબી અથવા ડ્રોમડેરી (= શીઘ્રચારી) ઊંટ (Camelus dromodarius), અને (2) પર્વતીય અથવા બૅક્ટ્રિયાઈ ઊંટ (C. bactrianus).

ઊંટ

પાલતુ પ્રાણીઓમાં ઊંટનો પ્રવેશ પ્રમાણમાં મોડો છે તેનું કારણ સ્પષ્ટ છે. પ્રાચીન સમાજો મુખ્યત્વે નદીકાંઠાની લીલોતરીના પ્રદેશોમાં વસવાટ કરતા. ઊંટ રણ જેવા ઉષ્ણ પ્રદેશનું પ્રાણી છે. તેનું કદ બળદ, ઘોડા તથા ગધેડાની સરખામણીમાં મોટું છે. વળી, બેસવા કે ભાર લાવવા તેની ઢેકાવાળી પીઠ અનુકૂળ નથી. આ દેખીતી અગવડોએ પ્રારંભે માણસને ઊંટની અવગણના કરવા પ્રેર્યો. પણ, તેમની પાછળ છુપાયેલી ઊંટની વિશેષ શક્તિઓએ તાપની વિષમ પરિસ્થિતિમાં ભારવાહક પ્રાણી તરીકે તેને પ્રથમ સ્થાન અપાવ્યું. કર્કવૃત્ત તથા મકરવૃત્તના પ્રદેશોમાં નહિ જેવી વૃષ્ટિ અને ભારે તાપના કારણે જેમ રણનો વિસ્તાર વધતો ગયો તેમ રણની સઘળી વિષમતાઓનો પ્રતિકાર કરવાની શક્તિ ઊંટમાં વિકસતી ગઈ. ઉત્તર આફ્રિકા, પશ્ચિમ એશિયા તથા ભારત-પાકિસ્તાનના રણપ્રદેશમાં બળદ કે ઘોડાને બદલે ઊંટ વધારે ઉપયોગી પ્રાણી જણાયું. ઊંટના ઢેકામાં મેદ રૂપે આહાર સંચિત હોવાથી તથા પાણીના નજીવા વપરાશથી મેદનો આહાર સીધો ઇંધન રૂપે વપરાતો હોવાથી ઊંટ લાંબો સમય આહાર તથા પાણી વિના ચલાવી શકે છે. તે આહારમાં લગભગ દરેક વનસ્પતિ લઈ શકે છે. વપરાયેલા પાણીની આપૂર્તિ કરવા એકસાથે 200 લીટર પાણી પી લે છે. તાપ સહેવાની તેની શક્તિ અદભુત છે. શરીરનું તાપમાન 41° સે. થાય ત્યાં સુધી તેના શરીરની પ્રક્રિયાઓમાં કશો બાધ આવતો નથી. આ પછી ઊંટને પરસેવો વળે છે. પરસેવાનું પાણી લોહીમાંથી આવવાને બદલે પેશીઓમાં રહેલું પાણી થોડું થોડું આવે છે. આથી લોહીની પ્રવાહિતા જળવાતાં તેનું ભ્રમણ સરળતાથી ચાલુ રહે છે. બીજાં પ્રાણીઓમાં જલહ્રાસ(dehydration)ની સ્થિતિ ઉત્પન્ન થઈને મરણ નીપજી શકે છે. ઊંટ 40 ટકા જેટલું પાણી ગુમાવ્યા છતાં સ્વસ્થ રહી શકે છે. ચયાપચયમાં ઉત્પન્ન થતા કચરાને યૂરિયા નામના પદાર્થમાં રૂપાંતર કરીને બીજાં પ્રાણીઓ મૂત્ર વાટે નિકાલ કરે છે, જેમાં પાણી વપરાય છે. યૂરિયા નત્રિલ રસાયણ હોવાથી ઊંટમાં તેનો કેટલોક અંશ પ્રોટીન બનાવવામાં વપરાય છે. આથી બેવડો લાભ થાય છે. આહાર-પાણી લીધા વિના પ્રોટીન મળે છે અને શરીરનું પાણી સચવાય છે. પહોળા પગોની ગાદી રેતી પર પગ મુકાતાં વધારે પ્રસરે છે અને વધારે પહોળાઈ મેળવે છે. આથી ઊંટના પગને સરકતી રેતી ઉપર ટેકો મળે છે. આથી રેતી પર તે સરળતાથી દોડી શકે છે. ઊંટને મોં, નસકોરાં, આંખો તથા કાન ઉપર વધારાની ચામડી લબડતી રહે છે. રણમાં જ્યારે રેતીનું તોફાન થાય ત્યારે આ ચામડી જે તે અંગનું ઢાંકણ બની તેની રક્ષા કરે છે. ઊંટની બે જાતિઓમાંથી ભારતમાં જે પરિચિત છે તે રાજસ્થાની, અરબી અથવા ડ્રોમડેરી નામે ઓળખાય છે. આ જાતિ ઉત્તર આફ્રિકાથી રાજસ્થાન સુધીના વિસ્તારમાં પાલતુ રૂપે જ વસે છે. તે વન્ય સ્વરૂપે મળતી નથી. બીજી જાતિ બૅક્ટ્રિયાઈ કે પર્વતીય છે, જે હિન્દુકુશ પર્વતમાળાની ઉત્તરના પ્રદેશમાં પળાય છે. મધ્ય એશિયાના વેરાનમાં આ જાતિનાં કેટલાંક પ્રાણી જંગલી દશામાં હજુ વિચરે છે. રણના સીમાવર્તી પ્રદેશોના વાસીઓ ઊંટને હળે જોતરે છે; જલચક્કી કે રહેંટમાં જોડે છે તથા અનાજ અને વસ્તુઓની હેરફેર માટે કામે લગાડે છે. રણના ઊંડાણના પ્રદેશોના વાસીઓ માટે ઊંટ સર્વસ્વ છે. ઊંટ ભારે પરિશ્રમ કરે છે. પણ, તેનો મિજાજ ક્યારે છટકશે તે કહેવું સહેલું નથી. તે ડરામણા સ્વરે ભાંભરે છે. ગમે ત્યારે ઊભું થઈ જાય છે. લાત મારે છે. ક્યારેક થૂંકે છે અને બચકું પણ ભરે છે. દોઢ સો કિલોગ્રામ જેટલો ભાર આઠ કલાક સુધી વહી શકે છે. વધારે ભાર સામે વિરોધ વ્યક્ત કરે છે. વર્ષમાં છ મહિના કામ આપે છે. વધારે કામ કરાવતાં તેનું આયુષ્ય ટૂંકાય છે. પાલક તેનું દૂધ વાપરે છે. જરૂર પડ્યે ખૂંધમાંથી મળતો મેદ આહારમાં સ્નિગ્ધ પદાર્થ તરીકે વાપરે છે. આહારમાં માંસ અમુક લોકો જ અને મર્યાદિત પ્રમાણમાં વાપરે છે; કારણ કે ઊંટનું માંસ માણસને પથ્ય નથી. ઊંટના વાળમાંથી કાપડ વણવામાં આવે છે.

1840 પછી ઑસ્ટ્રેલિયાના પૂર્વ તથા ઉત્તરના રણવિસ્તારોમાં ઊંટનો ઉપયોગ શરૂ કરાયો. અત્યારે આ સ્થળે આશરે 25,000 ઊંટ વન્ય દશામાં વિચરે છે. ભારતીય ઊંટોના બે મુખ્ય વર્ગ મેદાની તથા પહાડી છે. પહાડી જાત ટૂંકા, ગોળાકાર અને શક્તિશાળી પગોવાળી સહેજ નાની થાય છે. પહાડી અને નદીપ્રદેશીય (riverine) જાતો ભારવહન માટે તથા રણપ્રદેશીય જાત સવારી માટે અનુકૂળ હોય છે. ભારવાહી જાતોમાં સુવિકસિત ખૂંધ, જાડું ગળું, પહોળું માથું, પહોળી છાતી, બળવાન પગ અને એવી જ (પોચી છતાં) બળવાન તળિયાની ગાદી હોય છે. સવારીનું ઊંટ હળવું, સ્ફૂર્તિવાળું, નાના માથા અને પગવાળું તથા પાતળા ગળાવાળું હોય છે. આંખ, કાન પણ નાનાં હોય છે. રણની જાત બીકાનેર અને જેસલમેરના રેતાળ પ્રદેશમાં વસે છે. અભિજાત ઊંટ તેના સ્વામીની મૂલ્યવાન સંપત્તિ ગણાય છે.

નદીપ્રદેશીય જાત પંજાબ તથા વાયવ્ય પ્રદેશમાં વસે છે. આ જાત ભારવાહી હોવાથી કદાવર છે. જોકે ચાલવામાં ધીમી હોય છે. ત્રણચાર ક્વિન્ટલ ભાર ચાર કિમી. આસપાસની ઝડપે 19થી 22 કિમી. અંતર સુધી એક જ ફેરામાં પહોંચાડી શકે છે. દિવસભરમાં 32 કિમી. જેટલું અંતર કાપી શકે છે. પાકા માર્ગની, ટાયરનાં પૈડાંવાળી ગાડી હોય તો દોઢથી બે ટન ભાર, વચ્ચે થોડા વિશ્રામ સાથે, છ કલાક સુધી વહી શકે છે. સવારીનું ઊંટ સરળ માર્ગે 10થી 12 કિમી.ના વેગે દિવસમાં 65થી 80 કિમી. દોડી શકે છે. પહાડી જાત પંજાબની ઉત્તરે ઊંચા ખડકાળ પ્રદેશનું ઉત્તમ ભારવાહક ઊંટ છે. કદમાં નાનું  અને સ્થિરપગું છે. વિવિધ જાતો તેમના ઉછેરના પ્રદેશના નામે ઓળખાય છે; દા. ત., અલવરી, કચ્છી, જેસલમેરી, બાગરી, બીકાનેરી અને મેવાડી. બીકાનેરી જાત સુંદર અને પ્રભાવશાળી ગણાય છે.

ગધેડું : અશ્વકુળ(Family Equidae)નું આ સૌથી નિ:સ્વાર્થ પ્રાણી છે. તેનું લૅટિન નામ Equus acinus છે. જે મળે તે ખાઈને, નજીવો વિશ્રામ લઈને ભારે પરિશ્રમ કરતું સર્વોપયોગી પ્રાણી છે. મોટેભાગે ટુકડીમાં રખાય છે. ઇજિપ્ત જેવા દેશોમાં તે બેસવા માટે વપરાય છે. ભારતમાં તે ટૂંકાં અંતરો માટે મર્યાદિત ભારનું વહન કરવામાં ઘણું ઉપયોગી સિદ્ધ થયું છે. તે પગ મૂકવામાં ચોક્કસ હોય છે.

ગધેડું

વર્તમાન પૂર્વે 6000થી 5000 વર્ષ આશરે ઇઝરાયલમાં ગધેડું પળાતું થયું. ગધેડું ઉષ્ણ તથા અર્ધઉષ્ણ પ્રદેશોમાં સારું કામ આપે છે. મૂર્ખતા અને જક્કીપણા માટે તેની હાંસી ઉડાવવામાં આવે છે. (પણ, આ દુર્ગુણો માટે માણસ જવાબદાર છે. ઘોડો દેખાવે સુંદર લાગવાથી માણસે તેના પ્રત્યે પક્ષપાત બતાવ્યો છે અને ગધેડાની અવગણના કરી છે.) ગધેડાને લગામની જરૂર પડતી નથી. તેને આંખે દાબડા કે ઢાંકણ જોઈતાં નથી. તે ઝાડ થઈ જતું નથી. ઓડ જાતિનું બાળક 20થી 30 ગધેડાંની ટુકડીને નાના દંડા અને વિશિષ્ટ ટહુકાથી નિયંત્રિત કરી શકે છે. વર્તાવ સુધારાય તો ગધેડું સારો પ્રતિભાવ આપે છે એવું પાલતુ પ્રાણીના નિષ્ણાતોનું મંતવ્ય છે. સંશોધનોમાં જણાયું છે કે યોગ્ય માપની ગાડી જોડવાથી ગધેડાની ભારવહનશક્તિમાં નોંધપાત્ર વધારો થાય છે. વ્યવહારમાં ગાડી વપરાતી નથી. તેના બદલે પીઠ ઉપર બંને પડખે ભાર સમતોલ કરે તેવા કોથળા વપરાય છે. આનું કારણ એ છે કે ગધેડું એકલ નહિ, પણ ટુકડીમાં કામે લેવાય છે. ગધેડાના ગરીબ માલિકને બધાં માટે ગાડી પોસાતી નથી. વળી, તે તબેલા કે વાડામાં તથા માર્ગમાં ઘણી જગ્યા રોકે. ગાડી માટે યોગ્ય સડક પણ જોઈએ. ગધેડાનો ઉપયોગ ખાડાની માટી, નદી પરની રેતી, ખાણના પથરા, નીંભાડાની ઈંટો જેવો ભાર વહેવા થાય છે; જ્યાં તેને ગાડીમાં જોડવું અગવડરૂપ થવાનો સંભવ રહે છે.

ભારતમાં રાજસ્થાન તથા ઉત્તરપ્રદેશ ગધેડાંની સૌથી મોટી વસ્તી ધરાવે છે. તે પછી પંજાબ, ગુજરાત અને તમિલનાડુનો ક્રમ છે. તેની બે ઉપજાતિ છે : એક, નાનું રાખોડી; બીજું, મોટું સફેદ. નાની જાત દેશમાં બધે જોવા મળે છે. મોટી જાત સૌરાષ્ટ્રમાં વસે છે. ગધેડું ત્રણથી પાંચ કિમી.ની ઝડપે દિવસભરમાં 25થી 32 કિમી. અંતર ચાલે છે. ટુકડીમાં માદા કરતાં નરને વધારે પસંદ કરવામાં આવે છે. ગધેડાની સક્રિય આવરદા 16થી 17 વર્ષની હોય છે.

ખચ્ચર : ભારવાહી સંકર પ્રાણીઓમાં ખચ્ચર (mule) નોંધપાત્ર છે. તે ઘોડી અને ગધેડાના સંબંધથી જન્મે છે. ગધેડી અને ઘોડાના સંબંધથી સહેજ જુદી જાત (hinny) જન્મે છે; પણ, તે લોકપ્રિય નથી. બંને પ્રકારનાં ખચ્ચર પ્રજનનશક્તિ-વિહોણાં હોય છે. ઘોડા તથા ગધેડાનાં ઉત્તમ લક્ષણો વારસામાં મેળવે છે. આહાર તથા વાતાવરણની વિષમતાના સંજોગોમાં પણ ભારે પરિશ્રમ કરવાની તેની ક્ષમતા આશ્ચર્ય પ્રેરે તેવી છે. પહાડી પ્રદેશમાં સૌથી વધારે પસંદ કરાતું પ્રાણી તે છે. ઘોડાની સરખામણીમાં તે વધારે દુર્વ્યવહાર ખમી શકે છે. કદ ગધેડા કરતાં મોટું, કાન લાંબા, પૂંછડું ઘોડાના પૂંછડા જેવું લાંબા વાળવાળું, બોચીએ કેશવાળી વિનાનું – આ તેનાં લક્ષણો છે.

ખચ્ચર

પગનો ઘાટ એવો કે ચોક્કસ સ્થિર સ્થાને સરળતાથી છતાં ર્દઢતાથી ગોઠવાઈ જાય. ઘણી વાર બંને પગ સાથે ઉપાડી આગળ કૂદે. સ્વભાવે લજ્જાળુ, પણ ક્યારે લાત મારી દે તે કહેવાય નહિ. ભારતમાં ઉત્તર સીમા પર હિમાલય છવાયેલો હોવાથી ખચ્ચરનું વિશેષ મહત્વ છે. સેના માટે ખચ્ચરોની મોટી માગ રહે છે. તે સામે ખચ્ચરની વસ્તી નાની પડે છે. સૌથી વધારે ખચ્ચર ઉત્તરપ્રદેશમાં છે. તે પછી પંજાબમાં છે. હિમાચલ પ્રદેશ, કાશ્મીર તથા મધ્યપ્રદેશનો ક્રમ તેમના પછી છે. ખચ્ચરને કાર્યક્ષમ રાખવા ઘોડાના જેવી જ સારસંભાળ અપાય છે. ઘાસચારા બાબત તેનો ખાસ આગ્રહ નથી. તેની રોગપ્રતિકારશક્તિ પણ ઊંચી છે. આ પ્રાણી તરવામાં કુશળ છે. માર્ગમાં આવતાં નદીનાળાં તેને બાધક નથી. ત્રણથી ચાર વર્ષની વયે પક્વ થયેલા પ્રાણીને કામે લગાડાય છે. કલાકે પાંચ કિમી. લેખે દિવસભરમાં 24થી 32 કિમી. જેટલું અંતર કાપે છે. 18થી 20 વર્ષની વય સુધી આ પ્રાણી સેવા આપે છે. કેટલાંક પ્રાણી લાંબો સમય કામ કરી શકે છે. મોટે-ભાગે ગાડીએ જોડાતું નથી.

ઘોડો : ગોકુળનાં પ્રાણીઓની સરખામણીમાં અશ્વકુળનાં પ્રાણીઓ મોડાં પળાતાં થયાં. ઘોડાનું લૅટિન નામ Equus cabalus છે. પ્રારંભે માણસનું જીવન ધીમી ગતિનું હતું. પરિવાર બાંધીને રહેતો થયેલો માણસ સ્થળાંતરો ઓછાં કરતો. તે માટે તેને તેજ ગતિની જરૂર નહોતી.

ઘોડો

સાચું કહીએ તો માણસને ધીમાં ભારવાહી પ્રાણી વધારે અનુકૂળ હતાં. ટોળીઓ બનતી થઈ. મુખીઓ વરાતા થયા અને ધીરે ધીરે શાસક વર્ગની ઉત્ક્રાંતિ થઈ. તે સાથે ઘોડા જેવા પ્રાણીનું મહત્વ વધ્યું. બેસવા માટે ઘોડો વધારે ફાવટવાળો જણાયો. આક્રમણ કરવા કે નાસી છૂટવા તેની ઝડપ અનિવાર્ય લાગી. ઘોડાની પસંદગીમાં તેના આગવા લક્ષણ વફાદારીએ મહત્વનો ભાગ ભજવ્યો. પ્રારંભે ઘોડો મધ્યમ વેગનો હશે. સમય જતાં, ઉપયોગ અનુસાર માણસે અભિજનનથી તેની ખેતીઉપયોગી ધીમી તથા સેનાઉપયોગી વેગીલી ઉપજાતિઓ વિકસાવી. આગળ ઉપર વિવિધ ભારવહનનાં કાર્યો માટે ધીમાથી માંડીને દોડની સ્પર્ધા માટે તીવ્રવેગી એવી ઉપજાતિઓ પ્રચલિત બની. અત્યારે ઘોડાનો ઉપયોગ ચાર મુખ્ય ક્ષેત્રોમાં થાય છે : સવારી તથા ઘોડાગાડી, અન્ય ભારવહન, સેના તથા ઘોડદોડ. યાંત્રિક વાહનોનો પ્રચાર વધી ગયો હોવાથી ઘોડાગાડી ઝડપથી અર્દશ્ય થવા માંડી છે. અન્ય પ્રકારના ભારવહનમાં ગ્રામીણ વિસ્તાર જ્યાં માર્ગોની સગવડ અધૂરી છે તથા રણપ્રદેશ જ્યાં ઘોડાને અનુકૂળ પર્યાવરણનો અભાવ છે ત્યાં અનુક્રમે બળદ-ગધેડાં તથા ઊંટ વધારે ઉપયુક્ત જણાયાં છે. પરંતુ, સૈનિક ક્ષેત્રે ઘોડાનું મહત્વ ઘટ્યું નથી. ઊલટું, ભારત સ્વતંત્ર થયા પછી રણ તથા પહાડોથી વ્યાપેલી લાંબી સીમાઓની રક્ષા માટે ઊંટ અને ખચ્ચરની સાથે ઘોડાની સેવા મહત્વની બની છે. એમાં પણ ખચ્ચરની જેમ સ્થિરપગાં, કષ્ટ સહેવાની શક્તિવાળાં, આજ્ઞાંકિત અને ચપળ ટટ્ટુ અનિવાર્ય થઈ પડ્યાં છે. પરચૂરણ સૈનિક સામગ્રીના વહન માટે આ પ્રાણીઓ બહુ ઉપયોગી રહ્યાં છે; એટલું જ નહિ, ઊંડી ખીણો, નદીઓ, હિમનદો અને શિખરો વટાવીને, સાંકડી કેડીઓ વાટે ભારે વાહનો, તોપો, ક્વચિત્ ગાડીઓ અને આવી આવશ્યક સૈનિક-સામગ્રી મોરચે પહોંચાડવામાં આ પ્રાણીઓ કદી પાછાં પડ્યાં નથી. ઘોડાનાં પહોળાં નસકોરાં પર્વત ઉપર વાયુની ઘટતી ઘનતાના સમયે વધારે અને ઊંડા શ્વાસ લેવાની અનુકૂળતા કરી આપે છે. ઘોડાની ગંધ પારખવાની શક્તિ તેજ હોય છે. તેનાં કાન અને આંખો પણ સૂક્ષ્મગ્રાહી હોય છે. ઘોડો બચકું ભરે તો હાડકા સાથે સજ્જડ ચોંટેલું માંસ છૂટું પડી જાય છે. જોકે તે સંપૂર્ણ વનસ્પતિ-ભક્ષી પ્રાણી છે. ઘોડો આશ્ચર્યકારક સ્મૃતિ ધરાવે છે. તે મોટી સંખ્યામાં સાદા, સાંકેતિક આદેશો સૂક્ષ્મતાથી સમજી શકે છે. ઘોડો પાળનારા તેના સૌથી મહત્વના ગુણની પ્રશંસા કરતાં થાકતા નથી. તે છે તેનો વફાદારીનો ગુણ. ઘોડો સ્વામીને વફાદાર રહે છે; એટલું જ નહિ, તેને પ્રસન્ન કરવા આતુર હોય છે.

ઘોડાની 150થી વધારે ઉપજાતિઓમાં મીટરથી નીચા શેટલૅન્ડ ટટ્ટુથી દોઢ મીટરથી ઊંચી શાયર ઉપજાતિનો સમાવેશ થાય છે. ભારતમાં ઘોડાની વિવિધ ઉપજાતિઓ જાણીતી છે : અણમોલ, કાઠિયાવાડી કે કાઠી કે કચ્છી, ચુમુરવી, બલૂચી, ભૂતાની કે ભૂતિયા, મણિપુરી, મારવાડી, સ્પીતી વગેરે.

ભેંસ : ધીમા, બળવાન, ભારવાહી પ્રાણી તરીકે ભેંસ તથા પાડાનો વ્યાપક ઉપયોગ થાય છે. તેનું લૅટિન નામ Bos bufalus છે. આ પ્રાણી ભારત તથા અગ્નિ એશિયાના દેશોમાં વર્તમાન પૂર્વે 8000 વર્ષ આસપાસ પળાતું થયું એવું અનુમાન છે. પ્રાચીન ભારતમાં ગાયનો મહિમા હતો. સમય જતાં ભેંસનું મહત્વ વધ્યું. ભારતીય પાડો દોઢથી બે મીટર ઊંચો થાય છે. તેનાં શિંગડાંની પહોળાઈ ગોળાઈ અનુસાર અણીથી અણી સુધી 3.7 મીટર સુધી હોય છે. ભેંસ પરિવારને પાણી અને કાદવ પ્રિય હોવાથી એ પ્રકારના પર્યાવરણમાં તેને સારું ફાવે છે. ગંધ પારખવાની તેની શક્તિ તીવ્ર હોય છે. વગડાની ભેંસ આસપાસમાં લપાયેલા વાઘ-સિંહ જેવા હિંસક પ્રાણીને ગંધ વડે દૂરથી જ પારખી જાય છે અને જરૂર પડ્યે સામનો કરવા સાવધાન થઈ જાય છે. અગ્નિ તથા દક્ષિણ એશિયાના દેશોમાં ડાંગરનાં ખેતરોમાં ખેડથી માંડીને અનેક આવશ્યક કાર્યોમાં તેનું અમાપ બળ કામે લગાડાય છે. ઇજિપ્ત જેવો આફ્રિકી દેશ તથા ઇટાલી, દક્ષિણ રશિયા, સ્પેન તથા હંગેરી જેવા યુરોપી દેશો પણ ભેંસ પાળે છે. ઑસ્ટ્રેલિયાના વેરાનમાં તેને વન્ય અવસ્થામાં વિચરવા છોડી દેવાઈ છે. ફિલિપાઇન્સમાં નાની જાતો તથા મધ્ય અને દક્ષિણ આફ્રિકામાં મોટી વન્ય જાતો થાય છે.

બળદ : ભેંસનું પાલન શરૂ થયું, લગભગ એ જ અરસામાં ભારતમાં ગાય (Bos indieus) પણ પળાતી હતી. ગાય દૂધ માટે તથા તેનો નર બળદ ભારવહન માટે ભારતીય પરંપરામાં પ્રાચીન કાળથી ઓતપ્રોત છે. ઋષિઓના આશ્રમો સાથે ગાયોના વિશાળ વાડા સંલગ્ન હતા. પક્વ નર આખલા રૂપે પ્રજનન-સંવર્ધનમાં ઉપયોગી બન્યા. બાકીના મોટા ભાગના નર ખસી કરીને બળદ રૂપે કૃષિ તથા અન્ય

બળદ

ક્ષેત્રોમાં ભારવહન માટે ઉપયોગમાં લેવાયા. બળદ બળ તથા બુદ્ધિ બંનેમાં ચડિયાતું પ્રાણી છે. સ્વભાવે નમ્ર અને કહ્યાગરું છે. હળ, કોસ, ઘાણી, ચક્કી, ગાડું એમ વિવિધ શ્રમકાર્યો માટે આદર્શ છે. કર્ણાટકની અમૃતમહાલ તથા અન્ય; જેમ કે, ઓંગોલે (નેલોરી), કંગાયમ, કાંકરેજી, કૃષ્ણા, કેન કાંઠા, ખિલ્લારી, ખેરીગઢ, ગવલાવ, ગીર, ડાંગી, થરપારકર, દેવની, નાગોરી, નિમારી, પોંવાર, બચવાર, બર્ગુર, માળવી, મેવાતી (કોસી), રથ, સાહીવાલ, સિંધી (રાતી સિંધી), સીરી, હરિયાણા અથવા હિસ્સાર અને હલ્લીકર એવી 26 જેટલી ઉપજાતિઓ ભારતમાં જાણીતી છે. પશુ સંવર્ધન-વિકાસ યોજનાઓ હેઠળ પરદેશી ગાય (Bos tanrus)ની જર્સી, હોલ્સ્ટીન ફિશન આદિ સારી ઉપજાતિઓ ભારતમાં સંકરણના હેતુ માટે લવાઈ છે. પ્રમુખ હેતુ ગાયની જાત સુધારવાનો તથા દૂધની માત્રા વધારવાનો રહ્યો છે.

યાક : યાક અથવા ચમરી ગાય ગોકુળની ગો પ્રજાતિની જાતિ એટલે કે ગાયની વિશેષ જાતિ (Bos grunniens) છે. તે વન્ય તથા પાલતુ બંને રૂપે મળે છે. પાંચેક હજાર વર્ષ ઉપર તિબેટમાં આ પ્રાણીનું પાલન શરૂ થયું. તેનું ‘યાક’ નામ મૂળ તિબેટી ગ્યાગ (gyag) ઉપરથી ઊતરી આવેલું મનાય છે. જગતના છાપરાનું ઉપનામ પામેલો તિબેટનો ઉચ્ચપ્રદેશ વિશ્વમાં સૌથી ઊંચો અને વિશાળ પ્રદેશ છે. ત્યાંની તીવ્ર ઠંડીમાં પ્રાણી તો ઠીક, વનસ્પતિ પણ ટકી શકતી નથી. યાક આ પ્રદેશનું અદભુત પ્રાણી છે. તેને શિયાળામાં બહુ ઓછો ચારો મળે તોપણ તે ચલાવી શકે છે. ચડ-ઊતરવાળી પથરાળ ભૂમિ ઉપર તે ફરી શકે છે. બળવાન છે. તે ઝીણી અને રુક્ષ – બે પ્રકારની રુવાંટી ધરાવે છે. તિબેટ તથા ભારતના ઉત્તરના હિમાલયના પ્રદેશો માટે તે સાચા અર્થમાં કામધેનુ છે. સાગરસપાટીથી 3,000થી 6,000 મીટર ઊંચાઈએ વસે છે. ભારતમાં અરુણાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, સિક્કિમ તથા હિમાચલ પ્રદેશમાં તે જોવા મળે છે. આ બધા પ્રદેશોમાં ભારવહન માટે યાક મુખ્ય આધાર છે. હવે કેટલેક ઠેકાણે યાંત્રિક વાહનો વપરાતાં થયાં છે; છતાં, બીજાં પ્રાણીઓની સરખામણીમાં હિમાલય તથા ઉત્તરે યાક તેનું મહત્વ હજુ જાળવી રહ્યું છે. યાક ધીમું પ્રાણી ગણાય છે; છતાં પહાડી ઢાળો પર તે 50થી 60 કિગ્રા. ભાર ઉપાડીને દિવસમાં 20થી 30 કિમી. અંતર કાપી શકે છે. ચડાણ માટે જોઈતી વધારાની શક્તિ તેને શ્વસનના દર, નાડીના ધબકારાના દર અને રક્તકણોમાં હીમોગ્લોબિનની માત્રા જેવામાં વધારો થવાથી તથા આવી બીજી પ્રક્રિયાઓથી મળી રહે છે. ચડાણ પૂરું થતાં બહુ ઝડપથી આ વધેલી ગતિવિધિ પહેલાંની સામાન્ય સ્થિતિમાં આવી જાય છે. ખેતીવાડીમાં હળે જોડવામાં પણ યાકનો ઉપયોગ થાય છે.

હાથી : ભૂચર પ્રાણીઓમાં સૌથી મોટું પ્રાણી છે. તેની વિવિધ જાતિઓમાંથી બે જાતિઓ આફ્રિકી (Laxodonta africana) તથા ભારતીય (Elephas maximus) બચી છે. બંને જાતિ હસ્તિકુળ(Family Elephantidae)માં ગણાય છે. હાથી પાળવાનો આરંભ આશરે પાંચ હજાર વર્ષ પહેલાં ભારતમાં થયો. વિવિધ પ્રકારે તેનો ઉપયોગ શરૂ થયો. હાથી પ્રભાવશાળી પ્રાણી હોવાથી રાજાના મહેલની શોભા તથા રાજાની સવારી માટે સુયોગ્ય પ્રાણી જણાયું. સેનામાં ઘોડા સાથે હાથીનો ઉમેરો ઉપયોગી નીવડ્યો. સેનાપતિ અથવા રાજા માટે યુદ્ધમાં સેનાને દોરવા ઊંચું સ્થાન આવશ્યક હતું, જે હાથીએ પૂરું પાડ્યું. વળી, ઘણા બધા હાથી શત્રુસેના પર ધસી જઈને તેમને હતાહત તથા ભયભીત કરી શકતા. શત્રુના દુર્ગનાં દ્વાર તોડી પાડવામાં હાથીનું બળ કામ આવતું. હાથીનો ત્રીજો ઉપયોગ વિશિષ્ટ ભારવહનનાં કાર્યોમાં થયો. વર્તમાન સમયમાં સરકસમાં હાથીના ખેલનું આકર્ષણ મોટું રહ્યું. હવે પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતાનિવારણની લાગણી પ્રબળ થતી જાય છે. એટલે સરકસમાં પ્રાણીઓનાં પ્રદર્શન ઉપર પ્રતિબંધ મુકાયો છે. સ્વતંત્રતા-સમયે ભારતમાં આશરે 7,000 હાથી હતા. તેમાં અડધા દક્ષિણ ભારતમાં તથા બાકીના પૂર્વ ભારતમાં હતા. હાથીદાંત માટે હાથીની મોટા પાયે અવૈધ હત્યા થતી હોવાથી આ સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

હાથી

મોટા હાથીનો ભાર 3,630 કિગ્રા. તથા સરકસના હાથીનો ભાર 1,040થી 4,170 કિગ્રા. સુધી ચડતા ક્રમમાં હોય છે. પાલતુ હાથીની ઊંચાઈ 2.2 મી. હોય છે. વન્ય નરની ઊંચાઈ 2.7 મી. અને માદાની 2.4 મી. હોય છે. સરળ માર્ગ ઉપર ભાર સાથે તે કલાકે પાંચ કિલોમીટરની ઝડપે ચાલી શકે છે. હાથી સારું તરી શકે છે. ઘોડાની જેમ લાંબો સમય ઊભાં ઊભાં આરામ કરી શકે છે. રાતમાં 11થી 4 વાગ્યાની વચમાં થોડો સમય જ તે આડો પડે છે. 50થી 60ની વય સુધી તે કામ કરી શકે છે.

ભારવહનમાં બેએક ક્ષેત્ર એવાં છે, જ્યાં હાથીનો વિકલ્પ નથી. મુખ્ય ક્ષેત્ર ઇમારતી લાકડાંના વહનનું છે. ઊંડાં જંગલોમાં પહોંચવું, વિરાટ વૃક્ષો પાડવાં, તેમના ગોળવા ઊંચકીને ખટારામાં મૂકવા અથવા કાંઠે લઈ જઈ નદીમાં હડસેલી મૂકવા – આ કાર્યો કેળવાયેલા હાથીઓ ભારે કુશળતાથી પાર પાડે છે. તેમના માટે સાદી, ટૂંકી સૂચના પર્યાપ્ત હોય છે. ઊંડાં અજાણ્યાં જંગલોમાં યાંત્રિક વાહનો માર્ગ વિના જઈ શકતાં નથી. કદાચ જાય તો ખોટકાઈ પડવાનો ભય રહે છે. સમારકામ પૂરું થાય નહિ ત્યાં સુધી કામ અટકી પડે છે. ઘણી વાર ઇંધનનો પ્રશ્ન નડે છે. ભારે વાહનો માટે કુશળ ચાલકોની જરૂર પડે છે. ખાબડખૂબડ માર્ગ પર દુર્ઘટનાનો ભય રહે છે. વાહન નદીમાં જઈ શકતું નથી; એટલું જ નહિ, નદીકાંઠે જવાનું પણ ઘણી વાર સુરક્ષિત હોતું નથી. હાથીનો ઉપયોગ આ બધી સમસ્યાઓ દૂર કરે છે. ભારત તથા અગ્નિ એશિયાના દેશોમાં આજે પણ આ ક્ષેત્રે હાથીનો મહિમા છે.

ભારતમાં ભારવાહક પ્રાણીઓનાં સંશોધનકેન્દ્રો : (1) રાષ્ટ્રીય ઊંટ અનુસંધાન કેન્દ્ર, બીકાનેર, રાજસ્થાન; (2) ઊંટ સંવર્ધન કેન્દ્ર, મોટા જામપુરા, બનાસકાંઠા; (3) ઊંટ સંવર્ધન કેન્દ્ર, ધોરી, કચ્છ; (4) રાષ્ટ્રીય અશ્વ અનુસંધાન કેન્દ્ર, હિસ્સાર, હરિયાણા; (5) અશ્વ ઉછેર કેન્દ્ર, જૂનાગઢ; (6) અશ્વ ઉછેર કેન્દ્ર, ઇણજ–વેરાવળ; (7) રાષ્ટ્રીય યાક અનુસંધાન કેન્દ્ર, દરાંગ, અરુણાચલ પ્રદેશ.

અશોકભાઈ પટેલ

અરવિંદકુમાર જ. પંડ્યા

કિશનકુમાર ન. વાધવાણી