બિલ્વાદિ ચૂર્ણ : આયુર્વેદિક ઔષધ. તે વિવિધ પ્રકારના અતિસારના રોગોમાં વપરાય છે. તેમાં કાચા બીલીના ફળનો ગર્ભ, લજામણીનાં બીજ, શુદ્ધ કરેલ ભાંગ, કડાછાલ, જાયફળ, જાવંત્રી, ખસખસના દાણા, લીંડીપીપર, મોચરસ (એટલે કે શીમળાના ઝાડનો ગુંદર), જાંબુડાની છાલ, આંબાની છાલ, મહુડાની છાલ, જેઠીમધ, સુગંધી વાળો, ધાણા, જીરું, સૂંઠ અને ધાવડીનાં ફૂલ – આ અઢાર ઔષધો સરખા પ્રમાણમાં લઈ તે બધાંના વજન જેટલી જ ખડીસાકર મેળવી એકત્ર ખાંડીને વસ્ત્રગાળ ચૂર્ણ બનાવવામાં આવે છે. આ ચૂર્ણની માત્રા 2થી 3 ગ્રામ મધ સાથે લેવામાં આવે છે.

મધુકાન્ત ભગવાનજી પંડ્યા