બાંદા : ઉત્તરપ્રદેશ રાજ્યના ચિત્રકૂટ વિભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક.
ભૌગોલિક સ્થાન : તે 24° 53´ ઉ. અ.થી 25° 55´ ઉ. અ. અને 80° 07´ પૂ. રે.થી 31° 34´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. તેની ઉત્તરે ફત્તેહપુર જિલ્લો, પૂર્વે ચિત્રકૂટ જિલ્લો, પશ્ચિમે હમીરપુર અને મહોબા જિલ્લા અને દક્ષિણે મધ્યપ્રદેશ રાજ્યના સતના, પન્ના અને છત્તરપુર જિલ્લાઓની સીમાથી ઘેરાયેલો છે. આ જિલ્લાનું પૂર્વ–પશ્ચિમ અંતર 75 કિમી. છે.
ભૂપૃષ્ઠ – જળપરિવાહ : ઉત્તરમાં યમુના અને દક્ષિણમાં વિંધ્યહારમાળા વચ્ચે આવેલા જિલ્લાનું મોટા ભાગનું ભૂપૃષ્ઠ અનિયમિત ટેકરીઓથી છવાયેલું છે. વચ્ચે વચ્ચે આવેલા કેટલાક ભાગોમાં વર્ષાઋતુ દરમિયાન પાણીનો ભરાવો થાય છે. જિલ્લાનો સામાન્ય ઢોળાવ નૈર્ઋત્યથી ઈશાન તરફનો છે. આ જિલ્લાને પ્રાકૃતિક દૃષ્ટિએ બે વિભાગમાં વિભાજિત કરી શકાય : 1. મઉ અને કર્વી તાલુકાઓની દક્ષિણ તરફનો પાઠા(patha)નો ઉચ્ચપ્રદેશ, 2. ઉત્તર તરફનો કાંપરચિત નીચાણવાળો પ્રદેશ. આ કાંપનો પ્રદેશ વાઘેણ નદી ખીણથી પૂર્વ અને પશ્ચિમ એમ બે વિભાગમાં વહેંચાઈ જાય છે.
આ જિલ્લાની વાઘેણ નદી નૈર્ઋત્યથી ઈશાન તરફ વહે છે. આ નદીથી ઉત્તર તરફનો ભાગ નદીનાળાંથી છેદાયેલો છે. કેન અને યમુના નદીમાં આવતા પૂરને કારણે ધોવાણ વધુ થતું હોવાથી જમીનો ખોતરાઈને કોતરોમાં ફેરવાઈ ગયેલી છે. કેન નદી જિલ્લાના પૂર્વ ભાગમાં અને યમુના ઉત્તરમાં વહે છે.

બાંદા જિલ્લો (ઉત્તરપ્રદેશ)
આબોહવા – વનસ્પતિ : અહીંની આબોહવા ઉપઉષ્ણકટિબંધ પ્રકારની છે. શિયાળો નવેમ્બરથી ફેબ્રુઆરી માસ સુધીનો, ઉનાળો માર્ચથી જૂન જ્યારે મધ્ય જૂનથી સપ્ટેમ્બર માસ દરમિયાન વર્ષાઋતુનો રહે છે. સરેરાશ વરસાદ 850 મિમી. જેટલો પડે છે. ઉનાળામાં સરેરાશ તાપમાન 31 સે. જેટલું રહે છે. 1995ના વર્ષમાં 49 સે. જેટલું મહત્તમ તાપમાન નોંધાયું હતું. શિયાળામાં સરેરાશ તાપમાન આશરે 8 સે. જેટલું રહે છે.
આ જિલ્લાનો કુલ ભૂમિનો આશરે 10% ભાગ જંગલ-આચ્છાદિત છે. કોતરોવાળા પ્રદેશમાં કાંટાળી વનસ્પતિ બાવળ અને ઝાંખરાં ઊગી નીકળે છે. મેદાની વિસ્તારમાં કરોંડા, કરીલ, રાયણ, ચામરેલ, મહુડો, સાજન, ધામા, સાજ, ટેન્ડુ, હલ્દુ, ટિનસા, કોઠ અને વાંસ જોવા મળે છે. કાળી જમીનમાં આવેલ જળપ્લાવિત વિસ્તારોમાં અને ટેકરીઓ ઉપર ગોચરો આવેલાં છે.
અર્થતંત્ર : અહીંના અર્થતંત્રનો આધાર ખેતી ઉપર અવલંબિત છે. ભૂપૃષ્ઠ અસમતળ અને ખેતી યોગ્ય જમીનનું વિતરણ અસમાન હોવાથી ખેતપેદાશો અનિશ્ચિત રહે છે. ખરીફ પાક જુલાઈથી ઑક્ટોબર માસ દરમિયાન લેવાય છે. આ સમયગાળામાં ડાંગર, જુવાર, બાજરી, તલ, મગ, અડદ વગેરે પાક લેવાય છે. જ્યારે રવીપાક શિયાળાની ઋતુ દરમિયાન એટલે કે નવેમ્બરથી ફેબ્રુઆરીના સમયગાળામાં લેવાય છે. જેમાં ચણા, મસૂર, મગફળી, તેલીબિયાંની ઊપજ મેળવાય છે. આ પાક મેળવવા ભૌગોલિક પરિસ્થિતિ અને સિંચાઈની સુવિધાને લક્ષમાં રાખવામાં આવે છે. જાયદ ઉનાળુ પાકની ઋતુ છે જેની મોટે ભાગે નદીના પટ વિસ્તારમાં ખેતી થાય છે. તેમાં શાકભાજી અને ફળો મુખ્ય છે. ખાસ કરીને કાકડી, ભાજી, તરબૂચ, સક્કરટેટી વગેરે છે. ખેડૂતોની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી યાંત્રિક સાધનોનો ઉપયોગ ખેતી માટે ખૂબ ઓછો થાય છે. મોટે ભાગે ખેડૂતો પરંપરાગત સાધનોનો ઉપયોગ કરતા હોવાથી ખેતીની ઊપજ ઓછી રહે છે. ભારત સરકારે જાહેર કરેલા સૌથી પછાત જિલ્લામાં આ જિલ્લાનો સમાવેશ થાય છે. આથી તેને કેન્દ્ર સરકાર તરફથી ‘Backward Regions Grant Fund Programme’ યોજના હેઠળ આર્થિક સહાય પ્રાપ્ત થાય છે.
ખેતીની સાથે ગ્રામીણ વિસ્તારોમાં પશુપાલનને વિશેષ મહત્ત્વ અપાય છે. અહીં દુધાળાં ઢોરોમાં ગાય-ભેંસ, ઘેટાં-બકરાં વધુ છે. પશુઓની ઓલાદ સુધારવા પશુ-દવાખાનાં, ઢોર વિકાસ કેન્દ્રો, કૃત્રિમ ગર્ભાધાન કેન્દ્રો આવેલાં છે. મરઘાં ઉછેર કેન્દ્રો અને ભૂંડ માટેનાં સંવર્ધનમથકો પણ ઊભાં કરાયેલાં છે.
આ જિલ્લો ખનિજો અને બેસાલ્ટીક ખડકોથી સમૃદ્ધ છે. ગ્રૅનાઇટ તેમજ અન્ય સુશોભન પથ્થરો, ગોમેડ, અકીક, લિથોમર્જ, સિલિકા, રેતી, ચૂનો, ગેરુ અહીંની મુખ્ય ખાણ-પેદાશો છે. આ સિવાય પાયરોફિલાઇટ, મૃદ અને બેઝ મેટલ ખનિજો પણ રહેલાં છે. કાચ-રેતી, ડોલોમાઇટ, બૉક્સાઇટ વગેરેનો અનુમાનિત જથ્થો સંગ્રહાયેલો છે. બાંધકામના વ્યવસાય માટે ઉપયોગી કપચી માટેની અનેક ક્વોરી આવેલી છે.
જિલ્લાનાં નગરોમાં ડાંગર, કપાસ તથા નાના ઔદ્યોગિક એકમો આવેલા છે. શેરડી ઉપર આધારિત ગોળ, ઘઉં ઉપર આધારિત આટાનું ઉત્પાદન કરતા એકમો આવેલા છે. ચોખા, ગોળ, ટેન્ડુનાં પાનાં, ખાદ્યાન્ન, કપચી, રેતી અને ડેરી પેદાશોની નિકાસ થાય છે.
પરિવહન : સમગ્ર જિલ્લો રેલ તથા સડકમાર્ગોથી સારી રીતે ગૂંથાયેલો છે. મધ્ય રેલવિભાગના માણિકપુર–ઝાંસી અને કાનપુર–બાંદા રેલમાર્ગો આ જિલ્લામાંથી પસાર થાય છે. કૉલકાતા–અલાહાબાદ–ઇટારસી–મુંબઈ રેલમાર્ગ પણ જિલ્લાના અગ્નિભાગમાં મઉ અને કર્વી તાલુકાઓમાં થઈને જાય છે. રેલમાર્ગોની કુલ લંબાઈ આશરે 200 કિમી. જેટલી થાય છે, અહીં બધાં મળીને 16 રેલમથકો આવેલાં છે. એકમાત્ર બાબરુ તાલુકામાં કોઈ રેલ-સુવિધા નથી. સડકમાર્ગો આ જિલ્લામાં પરિવહન તેમજ વેપાર માટે ખૂબ જ મહત્ત્વના બની રહેલા છે. અહીં સડકમાર્ગોની કુલ લંબાઈ 1293.5 કિમી. જેટલી છે. જિલ્લામાંથી કોઈ રાષ્ટ્રીય ધોરી માર્ગ પસાર થતો નથી. 210 કિમી. લંબાઈનો મિરઝાપુર–ઝાંસી રાજ્યમાર્ગ આ જિલ્લાનાં મુખ્ય મથકોને સાંકળી લે છે. અહીં 708.5 કિમી.ના જિલ્લામાર્ગો તેમજ 384 કિમી.ના અન્ય માર્ગો આવેલા છે. મુખ્ય સડકમાર્ગોમાં બાંદા–ફતેહપુર, બાંદા–માણિકપુર, બાંદા–કર્વી–અલાહાબાદ, બાંદા–મુરવાલ તથા અતારા–નારાયણીનો સમાવેશ થાય છે. અહીંથી પસાર થતા રાજ્ય-પરિવહનના માર્ગો, કાનપુર, આઝમગઢ, ફૈઝાબાદ, ઝાંસી, ખજૂરાહો અને પન્નાને જોડે છે. આ જિલ્લામાં દર 1,000 ચોકિમી.દીઠ 119 કિમી. લંબાઈના માર્ગોની સુવિધા છે.
પ્રવાસન : બાંદા, કલિંજર, ચિત્રકૂટધામ અને રાજાપુર આ જિલ્લામાં આવેલાં જોવાલાયક સ્થળો છે.
કલિંજર : બાંદાથી 86 કિમી. અંતરે કલિંજરનો કિલ્લો આવેલો છે. કલિંજર જવા માટે સૌથી નજીકનું રેલમથક અતારા છે, જે 39 કિમી. દૂર છે. અહીંનો કિલ્લો સમુદ્ર-સપાટીથી 370 મીટર ઊંચાઈએ ટેકરી પર આવેલો છે. આ ટેકરી બુંદેલખંડનાં મેદાનોની અગ્નિકોણી ધાર પર આવેલી છે. આ કિલ્લાને સાત દરવાજા છે. આ ઉપરાંત અહીં પાતાળગંગા, પાંડુ કુંડ, બુદ્ધિતળાવ, સિદ્ધની ગુફા, ભૈરવ મૃગધારા, વરાહ-અવતાર, નીલકંઠ-મંદિર વગેરે પ્રવાસીઓ માટેનાં આકર્ષણનાં સ્થળો છે.
ચિત્રકૂટધામ : બાંદાથી આશરે 70 કિમી. અને કર્વીથી 9 કિમી. અંતરે વિંધ્ય હારમાળાની ઉત્તર ધાર પર હિન્દુઓનું યાત્રાધામ ‘ચિત્રકૂટધામ’ આવેલું છે. આ સ્થળ સીતાપુર, કર્વી, કામટા, ખોહી અને નયાગાંવ જેવાં પાંચ નગરોનો સમૂહ છે. આ પૈકીનું સીતાપુર ચિત્રકૂટ નામથી વધુ જાણીતું બનેલું છે. વાલ્મીકિ ઋષિએ અહીં રહીને તેમની રચનાઓ કરેલી. એમ પણ કહેવાય છે કે રામ, લક્ષ્મણ અને સીતા તેમના વનવાસ-કાળ દરમિયાન અહીં થોડો સમય રોકાયેલાં. અહીંની કામટાનાથ ટેકરી પણ યાત્રાધામ ગણાય છે. ટેકરીની તળેટીમાં પ્રદક્ષિણા કરવા માટેની પાકી કેડી છે. અહીં રામનવમી અને દિવાળી નિમિત્તે બે મોટા મેળા ભરાય છે. અહીંનાં મુખ્ય ધાર્મિક સ્થળોમાં કામટાનાથ (કામદગિરિ), પ્રમોદવન, જાનકી કુંડ, સતી અનસૂયા, ગુપ્ત ગોદાવરી, હનુમાનધારા, ભરતકૂપ, ગણેશઘાટ, રામઘાટ, સ્ફટિક શિલા, કોટિ તીર્થ અને મુખારવિંદનો સમાવેશ થાય છે. અહીંનાં મંદિરોમાં દાન, સ્નાન અને પ્રદક્ષિણાનો ઘણો મહિમા છે.
રાજાપુર : આ સ્થળ બાંદાથી આશરે 88 કિમી. અને કર્વીથી 29 કિમી. અંતરે આવેલું છે. તે રામચરિતમાનસના રચયિતા સંત કવિ તુલસીદાસની સ્મૃતિ સાથે સંકળાયેલું છે. એમ કહેવાય છે કે તેઓ શહેનશાહ અકબરના શાસનકાળ દરમિયાન અહીં આવેલા, રહેલા અને ધ્યાન-મનન કરતા. અહીં આજે પણ તેમનું નિવાસસ્થાન જળવાયેલું છે. તેમાં રામચરિતમાનસના અયોધ્યાકાંડની ફાટીતૂટી હસ્તપ્રત જોવા મળે છે. તાજેતરમાં આ સ્થળે મંદિરનું નિર્માણ કરવામાં આવેલું છે. અહીં વૈશાખ તેમજ કાર્તિક માસમાં મોટો મેળો ભરાય છે. વર્ષ દરમિયાન આ જિલ્લામાં જુદાં જુદાં સ્થળોએ મેળા ભરાય છે તથા તહેવારોની ઉજવણી થાય છે.
વસ્તી : આ જિલ્લાનો વિસ્તાર 4,413 ચો.કિમી. જ્યારે વસ્તી (2011 મુજબ) 17,99,410 છે. સાક્ષરતાનું પ્રમાણ 68.11% છે. સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ 863 મહિલાઓ છે. શહેરી વસ્તી અને ગ્રામીણ વસ્તી અનુક્રમે બે લાખ અને 16 લાખ જેટલી છે. અહીં હિન્દુઓની વસ્તી 91% અને મુસ્લિમોની વસ્તી 8.76% છે. આ સિવાય ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન અને અન્ય ધર્મના લોકો પણ વસે છે. પછાત જાતિનું પ્રમાણ 21.55% છે. અહીં
મુખ્યત્વે હિન્દી ભાષા વધુ બોલાય છે. જેનું પ્રમાણ 95.81% છે. આ સિવાય બુંદેલી (1.96%), ઉર્દૂ (1.50%) ભાષા બોલાય છે. જિલ્લામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલી છે. ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજ, રાજકીયા એન્જિનિયરિંગ કૉલેજ તેમજ વિનયન, વાણિજ્ય કૉલેજો પણ આવેલી છે. બાંદા યુનિવર્સિટી ઑફ એન્જિનિયરિંગ અને ઍગ્રિકલ્ચરલ પણ છે.
બાંદા (શહેર) : બાંદા જિલ્લાનું વહીવટી મથક અને શહેર. તે 25 29´ ઉ. અ. અને 80 21´ પૂ. રે. પર આવેલું છે. તેનો વિસ્તાર 443.1 ચો.કિમી. છે. તે સમુદ્રસપાટીથી આશરે 123 મીટર ઊંચાઈએ આવેલું છે. જ્યારે વસ્તી (2011 મુજબ) 1,54,428 છે. પુરુષોની સંખ્યા 82,116 જ્યારે મહિલાઓ 72,312 છે. સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ 881 મહિલાઓ છે. સાક્ષરતાનું પ્રમાણ 82.5% છે. પછાત જાતિની સંખ્યા 18,539 જ્યારે આદિવાસીઓની સંખ્યા આશરે 17 છે. મુખ્ય ભાષા હિન્દી અને ઉર્દૂ છે. બુંદેલી ભાષાનો મહત્તમ ઉપયોગ ગ્રામીણ લોકો કરે છે.
આ શહેર જિલ્લાનું મથક અને શહેર હોવાથી મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોની ખેતપેદાશોનું મોટું વ્યાપારિક કેન્દ્ર છે. ડાંગર, ઘઉં જેવા ખાદ્ય પાકોનું મોટું ખરીદવેચાણ મથક છે. કપાસ ઉપર આધારિત રૂ કાંતવાની નાની-મોટી ફૅક્ટરીઓ આવેલી છે. અકીક, પથ્થર, રેતી, ડોલોમાઇટ, બૉક્સાઇટ જેવાં ખનીજોની નિકાસ થાય છે.
આ શહેરની નજીકથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 76 પસાર થાય છે. જે ઝાંસી અને અલાહાબાદને સાંકળે છે. રાજ્ય ધોરી માર્ગ નં. 12 ફતેહપુરને સાંકળે છે. જ્યારે 76 નંબરનો માર્ગ અલાહાબાદને સાંકળે છે. રાજ્ય પરિવહનની બસો અને ખાનગી બસોનું મુખ્ય મથક છે. આ સિવાય અહીં ટૅક્સી, ઑટોરિક્ષા, સાઇકલરિક્ષા પણ ઉપલબ્ધ છે. ઉત્તર મધ્ય રેલવેના ઝાંસી રેલવેવિભાગમાં આ બાંદા રેલવેસ્ટેશન આવેલું છે. આ રેલવેસ્ટેશન ઉત્તર ભારત અને મધ્ય ભારતનાં મોટાં શહેરો સાથે રેલમાર્ગથી સંકળાયેલું છે. આ રેલમાર્ગનું વીજળીકરણ 2019માં પૂર્ણ થયેલું છે. કાનપુર હવાઈ મથક જે બાંદાથી 125 કિમી. દૂર છે.
અહીં કૃષિ અને ટૅકનિકલ બાંદા યુનિવર્સિટી, ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજ, રાજકીયા એન્જિનિયરિંગ કૉલેજ, પંડિત જવાહરલાલ નહેરુ અનુસ્નાતક કેન્દ્ર પણ આવેલાંછે. આ સિવાય સરકાર માન્ય પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલી છે.
આ શહેરની આસપાસ જોવાલાયક અનેક સ્થળો આવેલાં છે, જેમાં બામદેવશ્વર મંદિર, કેન નદી, ભુરગઢ કિલ્લો, ગુધાના હનુમાનજી મંદિર, જૈન મંદિર, કલિંજરનો કિલ્લો, અંગલેશ્વરી દેવીનું મંદિર, મહેશ્વરી દેવી મંદિર, સંકટમોચન મંદિર, નવાબ અલી બહાદુરનો મહેલ તેમજ અવશેષ રૂપે આવેલી જૂની ઇમારતો આવેલી છે. આ નગર અને કિલ્લો બંને મુસ્લિમ, મરાઠા, ફ્રેન્ચ અને બ્રિટિશ વચ્ચેના સંઘર્ષો દરમિયાન અવારનવાર એકબીજાને હસ્તક રહેલાં.
ગિરીશભાઈ પંડ્યા
નીતિન કોઠારી