ફ્રી વર્સ : કાવ્યરચનાના સંદર્ભમાં વપરાતો શબ્દપ્રયોગ. ફ્રી વર્સને ગુજરાતીમાં મુક્ત પદ્ય કહી શકાય. પણ ‘ફ્રી વર્સ’ – ‘મુક્ત પદ્ય’ – શબ્દપ્રયોગ એ વદતોવ્યાઘાત છે. પદ્યમાં લયનું નિયંત્રણ-નિયમન અનિવાર્યપણે હોય જ; એથી તો પદ્યનું પદ્યત્વ સિદ્ધ થાય છે. એટલે પદ્ય મુક્ત ન હોય. પદ્ય હોય તો મુક્ત નહિ, અને મુક્ત હોય તો પદ્ય નહિ. એથી સ્તો એલિયટ કહે છે, ‘મુક્ત પદ્ય જેવું  કશું અસ્તિત્વમાં જ નથી.’ છતાં વિશિષ્ટ અર્થમાં ‘ફ્રી વર્સ’, ‘મુક્ત પદ્ય’ – એવો શબ્દપ્રયોગ આજે જગતની સૌ ભાષાઓની કવિતામાં પ્રચલિત અને પ્રતિષ્ઠિત થયો છે.

પ્રાચીન યુગમાં હિબ્રૂ કવિતા અને બાઇબલના પદ્ય – વર્સેટ અને પૅરેલાલિઝમ – સાથે અને અર્વાચીન યુગમાં વ્હિટમૅનના પદ્ય સાથે ફ્રી વર્સ – મુક્ત પદ્ય – નું સામ્ય છે; પણ નથી એ સૌમાં ફ્રી વર્સની પ્રેરણા કે નથી એ સૌનો ફ્રી વર્સ પર પ્રભાવ.

ઐતિહાસિક ર્દષ્ટિએ ફ્રી વર્સનો જન્મ ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં ફ્રાંસમાં થયો હતો. બારમી સદીમાં ફ્રેંચ ભાષાની કવિતામાં ‘આલેક્ઝાન્દ્રિન’ પંક્તિ અસ્તિત્વમાં આવી હતી. ‘ઍલેક્ઝાન્ડર ધ ગ્રેટ’ વિશેનાં વીર અને શૃંગાર રસનાં અનેક કાવ્યોમાં એ યોજવામાં આવી હતી. એથી એનું ‘આલેક્ઝાન્દ્રિન’ એવું નામાભિધાન કરવામાં આવ્યું હતું. પછી સોળમી સદી લગી ફ્રેંચ કવિઓનું આ પંક્તિ પ્રત્યે વિશેષ ધ્યાન ગયું ન હતું. પણ સોળમી સદીમાં રોંસા આદિ ‘પ્લેઇઆદ’ કવિઓએ એનો એવો તો મહિમા કર્યો કે પછી ઓગણીસમી સદીના ઉત્તરાર્ધ લગી ફ્રેંચ કવિતા અને પદ્યનાટકમાં એનું વર્ચસ્ રહ્યું હતું. ‘આલેક્ઝાન્દ્રિન’ની પંક્તિમાં 12 શ્રુતિની નિશ્ચિત સંખ્યા હોય છે અને પંક્તિના બરોબર મધ્ય ભાગમાં 6 શ્રુતિ પછી ર્દઢ – બલકે સુર્દઢ યતિ – caesura – હોય છે. પંક્તિને અંતે પ્રાસ હોય છે. આમ, ‘આલેક્ઝાન્દ્રિન’નું પદ્ય પ્રશિષ્ટ, ર્દઢ અને ચુસ્ત પદ્ય છે.

ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં ફ્રેંચ કવિઓ માટે અનેક કારણોસર પદ્યમાં મુક્તિ અને પદ્યમાંથી મુક્તિ અનિવાર્ય હતી. એ એમની સર્જકો તરીકેની આંતરિક જરૂરિયાત હતી. એથી એમણે આ પદ્યવિરુદ્ધ વિદ્રોહ કર્યો, આંદોલન કર્યું. પરિણામે ફ્રી વર્સ – મુક્ત પદ્ય અને ગદ્યકાવ્ય અસ્તિત્વમાં આવ્યાં. વિક્ટર હ્યુગોની કવિતામાં એનો પ્રારંભ છે; પણ એની પરાકાષ્ઠા તો પ્રતીકવાદી કવિઓમાં છે. પ્રથમ વર્લેને 1866માં ‘વેર એંપેર’ અને પછી ‘વેર લિબેરે’નો પ્રયોગ કર્યો. પછી 1872માં રેંબોએ ‘વેર લિબ્ર’નો પ્રયોગ કર્યો. એમણે ‘ઍાલેક્ઝાન્દ્રિન’ પંક્તિની 12 શ્રુતિની નિશ્ચિત સંખ્યાનો, પંક્તિના મધ્યભાગમાંની યતિનો અને પ્રાસનો ત્યાગ કર્યો અને એકસરખા નહિ પણ અણસરખા માપની લંબાઈની, ભિન્ન ભિન્ન સંખ્યાની શ્રુતિઓની પંક્તિઓ યોજી – મધ્યયતિરહિત અને પ્રાસરહિત પંક્તિઓ યોજી. આમ, એમણે પદ્યમાં શ્લોકભંગ, યતિભંગ અને પ્રાસરહિતત્વનો પ્રયોગ કર્યો, પદ્યમાં મુક્તિનો પ્રયોગ કર્યો. પરિણામે મુક્ત પદ્ય – ફ્રી વર્સ – નો જન્મ થયો. અંગ્રેજી ભાષાના કવિઓ સદ્ભાગી છે. સોળમી સદીથી અંગ્રેજી ભાષાની કવિતામાં બ્લક વર્સનું વર્ચસ્ છે. બ્લક વર્સમાં પ્રાસરહિતત્વ અને યતિરહિતત્વ છે, વિશેષ તો એમાં ગણવિકલ્પ છે. એથી એ પદ્યમાં મુક્તિ છે; છતાં એમાં પ્રત્યેક 5 ગણની નિશ્ચિત સંખ્યા છે. એથી અંગ્રેજ કવિઓએ પણ ફ્રી વર્સનો મહિમા કર્યો છે. જોકે એમણે ફ્રેંચ કવિઓની જેમ એનો સવિશેષ મહિમા કર્યો નથી, એનું શાસ્ત્ર રચ્યું નથી. આજે હવે જગતની સૌ ભાષાઓની કવિતામાં ફ્રી વર્સ પ્રચલિત અને પ્રતિષ્ઠિત છે. એ રીતે ગુજરાતીમાં તેમજ અન્ય ભારતીય ભાષાઓમાં ફ્રી વર્સના પ્રયોગો થયેલા જોવા મળે છે.

નિરંજન ભગત