નાથદ્વારા : રાજસ્થાન(મેવાડ વિભાગ)ના ઉદયપુર જિલ્લામાં આવેલું હિન્દુ વૈષ્ણવ સંપ્રદાયનું પ્રસિદ્ધ તીર્થસ્થાન. ભૌગોલિક સ્થાન : 24° 56´ ઉ. અ. અને 73° 49´ પૂ. રે.. તે ઉદયપુરથી લગભગ 48 કિમી. અને એકલિંગજીથી 28 કિમી. દૂર આવેલું છે. ઉદયપુરથી નાથદ્વારા જવાનો સડકમાર્ગ પહાડી વળાંકોવાળો અને પ્રકૃતિસૌંદર્યથી ભરપૂર છે. આ સ્થળ વલ્લભ સંપ્રદાયના ભક્તો માટેનું ઉપાસ્ય સ્થાન છે અને ભારતનાં મોટાં તથા પવિત્ર તીર્થસ્થાનોમાં તેની ગણના થાય છે. 17મી સદીમાં સ્થપાયેલા અહીંના ભવ્ય મંદિરમાં ભગવાન શ્રીનાથજી(શ્રીકૃષ્ણ)ની લગભગ પૂર્ણ કદની મનોહારી, શ્યામરંગી મૂર્તિ છે. સંભવત: આ મૂર્તિ ઈ. સ. પૂ. બારમી સદીની હોવાનું કહેવાય છે. અહીં શ્રીનાથજીના વિગ્રહનાં દર્શન છે. પુષ્ટિમાર્ગના નિયમો અનુસાર સમય સમય પર દર્શનાર્થે મંદિર ઊઘડે છે, આ પ્રકારનાં દર્શનને ‘ઝાંખી’ કહે છે.

નાથદ્વારાના શ્રીનાથજીના મંદિરનું પ્રવેશદ્વાર

શ્રીનાથજીની આ મૂર્તિ શ્રી વલ્લભાચાર્યને ગોવર્ધન પર્વત ઉપરથી મળેલી. એમના બીજા પુત્ર શ્રી વિઠ્ઠલનાથજી ગોસાંઈને સાત પુત્રો હતા, જેમને સાત સ્વરૂપ કહેવામાં આવે છે. આ પૈકી મોટા પુત્રનું નામ શ્રી ગિરધારીજી હતું. તે ટિકાયત–તિલકાયત હતા. તેમના પુત્ર દામોદરજી અથવા બડેદાઉજી નામથી ઓળખાતા. શહેનશાહ ઔરંગઝેબે મૂર્તિઓ તોડવાનું ફરમાન આપેલું, તેથી 1669માં શ્રી દાઉજી શ્રીનાથજીની પ્રતિમા લઈને ગુપ્ત રૂપે ગોવર્ધનથી નીકળી ગયા. પહેલાં તેઓ જોધપુર ગયેલા, પરંતુ ત્યાંના રાજવીનું મન મોળું જોતાં તેઓ મેવાડના રાણા રાજસિંહ પાસે ગયેલા અને મેવાડમાં શ્રીનાથજીની સ્થાપના કરવાની ઇચ્છા વ્યક્ત કરેલી; રાણા રાજસિંહે ખુશીથી પ્રતિષ્ઠા કરવા જણાવ્યું અને ઉમેર્યું, ‘‘મારા એક લાખ રાજપૂતોનાં માથાં કપાશે ત્યારે જ કોઈ મૂર્તિને હાથ લગાડી શકશે.’’ ઈ. સ. 1671માં (વિ. સં. 1725 ના કારતક સુદ પૂનમે) શ્રી દાઉજી મૂર્તિ લઈને આવ્યા અને ત્રણેક માસ બાદ ફાગણ વદ સાતમે અહીં બનાસ નદી નજીક આવેલા સિહાડ ગામ પાસેના ખેડામાં શ્રીનાથજીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી.

શ્રી ગિરધારીજી તિલકાયતના વંશજ હોવાથી શ્રીનાથજીની ગાદીના મહંત પણ તિલકાયત (અથવા ટિકાયત) તરીકે ઓળખાય છે. અહીં શ્રીનાથજીની સ્થાપના થવાથી યાત્રીઓેની અવરજવર વધતી ગઈ. ધર્મશાળાઓ વધી, પછી તો યાત્રીકુટિરો પણ બની. રાજસ્થાન અને ગુજરાતભરમાંથી હજારોની સંખ્યામાં લોકો દર્શનાર્થે આવે છે. દેશના અન્ય ભાગોમાંથી પણ ભાવિકો શ્રીનાથજીનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે.

નાથદ્વારાથી ઉત્તરમાં 10 કિમી. દૂર રાજસમંદ સરોવર આવેલું છે. અહીંથી થોડેક દૂર કાંકરોલી ખાતે વલ્લભ સંપ્રદાયનું દ્વારકાધીશનું મંદિર છે. ત્યાંથી આગળ ઉત્તરમાં 25 કિમી. અંતરે પહાડ ઉપર કુમ્ભલગઢનો કિલ્લો છે.

નાથદ્વારા મંદિરના ટ્રસ્ટ તરફથી પાઠશાલા, પુસ્તકાલય અને ઔષધાલય ચાલે છે. 19મી સદીના પ્રસિદ્ધ વિદ્વાન ભારતમાર્તંડ પંડિત ગટ્ટુલાલજી અહીં રહ્યા હતા.

શ્રીનાથજી મંદિરને કેટલાંક ગામ અને જમીન ભેટ તરીકે મળેલાં છે. આ મંદિરનો પ્રસાદ વિશિષ્ટ પ્રકારનો હોય છે. દર્શનની સાથે સાથે મંદિરની જગામાં દહીં-માખણ બનાવવાની જગાઓનાં તેમજ ઘીના કૂવાનાં પણ યાત્રીઓ દર્શન કરે છે.

નાથદ્વારામાં ખેતીવાડીનું બજાર છે અને એક સરકારી કૉલેજ પણ છે. અહીં લોકોના મુખ્ય કાર્ય અને વ્યવસાયમાં મંદિરમાં સેવાનું કામ કરવું, આવશ્યક સામગ્રી તેમજ પ્રસાદ તૈયાર કરવો, ચિત્રો બનાવવાં તથા ચાંદીનાં ઘરેણાંનો ધંધો કરવો વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અહીં હોટલનો ધંધો પણ વિકસ્યો છે.

અહીં નજીકમાં બનાસ નદી તથા 600 મીટર ઊંચાઈની અરવલ્લીની ટેકરીઓ આવેલી છે. ઉદયપુર, જોધપુર, ભીલવાડાને જોડતા રેલમાર્ગો નાથદ્વારા થઈને પસાર થાય છે. ગામથી 7 કિમી. દૂર નાથદ્વારા રોડ રેલમથક છે. અહીં યાત્રીઓ મોટેભાગે રાજ્ય પરિવહન નિગમની બસો કે ખાનગી વાહનો દ્વારા આવે-જાય છે. લગભગ આખુંય વર્ષ આ તીર્થસ્થાન યાત્રિકોથી ભરચક રહે છે. અહીંનું ચિત્રકામ ઘણું સુંદર હોય છે. હવે આ સ્થળ નગરમાં ફેરવાયું છે. વસ્તી : 42,016 (2011).

યાત્રાળુઓની સુવિધા માટે રીલાયન્સ ગ્રૂપ રસ લઈ રહ્યું છે.

શંકરલાલ ત્રિવેદી