દવે, મોહનલાલ ગોપાળજી

March, 2016

દવે, મોહનલાલ ગોપાળજી : હિંદી અને ગુજરાતી ચલચિત્રોના નોંધપાત્ર પટકથાલેખક. પડદા પર જેમનું નામ દર્શાવાયું હોય તેવા તે પહેલા પટકથાલેખક થયા. અન્ય કલાકારો કે ટૅકનિશિયનોમાંથી કોઈનું  નામ પ્રદર્શિત નહિ કરનાર કોહિનૂર ફિલ્મ કંપની(1918)એ તેના પ્રથમ નિર્માણ ‘ભક્ત વિદુર’(1921)ની પ્રચાર-પત્રિકામાં પણ ‘‘કથાનક : મોહનલાલ ગો. દવે’’ એવું છાપ્યું. મોહનભાઈએ હિસાબનીસ તરીકે વ્યવસાયનો આરંભ કર્યો. તે પછી મુંબઈના ઇમ્પીરિયલ થિયેટરમાં પ્રચારક તરીકે જોડાયા. પ્રચારપત્રિકાઓ માટે કથાસાર લખતાં તેમની જીવંત વર્ણન કરવાની શક્તિ પ્રકટ થઈ. શ્રીનાથ પાટણકર (અ. 1941) સાથે 1918થી ’20માં મૂકચિત્રોનું નિર્માણ કર્યું. પાટણકરે 1922માં નૅશનલ સ્ટુડિયો શરૂ કર્યો ત્યારે મોહનલાલને વર્ષે 15 કથાઓ લખવા માટે રૂ. 10,000 પુરસ્કાર અપાતો. કોહિનૂરમાં જોડાયા પછી તેમની પ્રતિષ્ઠા વધી. તે દર સપ્તાહે એક પ્રમાણે કથાનક લખવા માંડ્યા. ત્યારના ગુજરાતી વાર્તાલેખકો નારાયણ વિસનજી ઠક્કુર, ગોપાળજી દેલવાડેકર અને શયદા જેવાની વાર્તાઓનું પ્રભાવક વર્ણનવાળી પટકથામાં રૂપાંતર કરવામાં તેમને સફળતા મળી. પટકથામાં કૅમેરાની સૂક્ષ્મ હિલચાલ તથા ર્દશ્યના વિલય આદિની સ્પષ્ટ સૂચનાઓ પણ અપાતી; દા. ત., કાન્તિલાલ રાઠોડના ‘ગુલેબંકાવલી’ (1924) માટે તેમણે 92 ર્દશ્યોની વિગતવાર પટકથા તૈયાર કરી આપી હતી.

ચલચિત્ર

પ્રમુખ રચનાઓ :  ‘ભક્ત વિદુર’ (1921), ‘કાલા નાગ’ (1924), ચંદુલાલ શાહનું પ્રથમ નિર્માણ ‘પંચદંડ’, હોમી માસ્તરનું ગુજરાતી ‘ફાંકડો ફિતૂરી’ આદિ. ધ્વનિના આગમન પછી તેમણે પુનર્નિર્માણ માટે ઘણીખરી જૂની મૂક-કથાઓમાં સંવાદો ઉમેરી નવેસરથી લખી. દા. ત., નૅશનલ કંપની માટે લખેલી ‘રાણકદેવી’ની કથા 1946માં વિષ્ણુકુમાર મગનલાલ વ્યાસના ગુજરાતી ચિત્ર ‘રાણકદેવી’ માટે ફરી લખાઈ અને તેને ભારે લોકાદર મળ્યો.

બંસીધર શુક્લ