દરિયાઈ અતિક્રમણ : જ્યારે સમુદ્રજળ-સપાટી ઊંચી જાય કે સમુદ્ર નજીકની ભૂમિનું ક્રમશ: અધોગમન થતાં ભૂમિસપાટી નીચી જાય ત્યારે ભૂમિ તરફ દરિયાઈ વિસ્તરણ થાય તે ઘટનાને દરિયાઈ અતિક્રમણ કહેવાય. પૃથ્વીની ઉત્પત્તિથી આજ સુધીના કાળગાળાના સંદર્ભમાં ભૂસ્તરીય ર્દષ્ટિએ જોતાં અતિક્રમણનો સમયગાળો તો ઘણો નાનો ગણાય, તેમ છતાં આ ક્રિયા થતાં ભૂમિનો વિશાળ વિસ્તાર સમુદ્રજળ દ્વારા છવાઈ જાય છે. ઓછાવત્તા પ્રમાણમાં તૈયાર થયેલી ધોવાણની સમભૂમિ સમુદ્રજળથી આવરી લેવાય છે. અતિક્રમણનાં દેખીતાં પરિણામો તત્કાલીન સળંગ પ્રક્રિયા સૂચવતાં હોવા છતાં ખરેખર તો તે લાખો-કરોડો વર્ષોનો ગાળો હોય છે. જે તલસપાટી પર પાણી ફરી વળે તે સપાટીને અસંગતિસપાટી તરીકે ઘટાવી શકાય. ભૂસ્તરીય કાળગાળા પૈકી ક્રિટેશિયસના સેનોમેનિયન સમયખંડમાં ઉત્તર ગોળાર્ધના ખંડીય ભાગોમાં મોટા પાયા પર દરિયાઈ અતિક્રમણ થયેલું, જે સેનોમેનિયન અતિક્રમણ તરીકે ઓળખાય છે.

ગિરીશભાઈ પંડ્યા