જહાજવહન પત્ર (bill of lading; B/L) : માલ નિકાસ કરતી વખતે માલ જહાજ પર ચડાવ્યા અંગેનો દસ્તાવેજ. એમાં જહાજનું નામ, જહાજી કંપનીનું નામ, જ્યાં માલ મોકલવાનો હોય તે બંદરનું નામ, જહાજનો માર્ગ, માલનું વજન, માલથી રોકાયેલી જગ્યાનો નિર્દેશ, પાર્સલ પરની નિશાની વગેરે બાબતો દર્શાવવામાં આવે છે. આ ઉપરાંત એમાં જહાજી કંપની વહાણમાં ચડાવવામાં આવેલ માલનું વર્ણન દર્શાવે છે, અને બાંયધરી આપે છે કે માલ જે સ્થિતિમાં મળેલ છે તે જ સ્થિતિમાં નિર્ધારિત બંદરે અને નિર્દિષ્ટ આયાતકારને અથવા તેના વતી સૂચવેલા પક્ષકારને પોતે પહોંચાડી દેશે.

નૂરની ચુકવણી (free on board) વેચનારે/નિકાસકારે કરવાની હોય ત્યારે જહાજી કંપની નૂર મળ્યા બાદ નિકાસકારને જહાજવહન પત્ર આપે છે. આ પત્ર માલ જહાજમાં ચડાવ્યા/સ્વીકાર્યા અંગેની રસીદ લેખાય છે અને ત્રણે પક્ષકારો માટે દસ્તાવેજનું કામ કરે છે. નૂરની ચુકવણી થયા બાદ જહાજી કંપની અથવા જહાજના કપ્તાન જહાજવહન પત્રની ત્રણ નકલો બનાવે છે; તેમાંથી એક નકલ જહાજી કંપની પોતાની પાસે રાખે છે અને 2 નકલો નિકાસકારને આપે છે. નિકાસકાર એક નકલ પોતાની પાસે રાખે છે અને એક નકલ આયાતકારને મોકલી આપે છે. આમ જહાજવહન પત્ર સત્તાવાર રસીદ છે. તે વહાણમાંના માલ અંગેનો માલિકીહક દર્શાવે છે.

પરબતભાઈ રાઠોડ