ગૂટનબર્ગ સાતત્યભંગ

February, 2011

ગૂટનબર્ગ સાતત્યભંગ : પૃથ્વીની સપાટીથી 2900 કિમી. ઊંડાઈએ રહેલો સાતત્યભંગ. પૃથ્વીના પેટાળની રચના અને બંધારણના અભ્યાસ માટે ભૂકંપશાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવે છે. ભૂકંપ દરમિયાન ઉદભવતા ત્રણ પ્રકારના તરંગ પૈકી P (મુખ્ય) તરંગો અને S (ગૌણ) તરંગો પૃથ્વીના પેટાળ તરફ ગતિ કરે છે; પરંતુ પૃથ્વીના આંતરિક બંધારણ અને રચના પ્રમાણે તેમનાં લક્ષણમાં ફેરફાર થાય છે. આ પ્રમાણે પૃથ્વીના બંધારણમાં રહેલાં દ્રવ્યોના એક કે વધુ ભૌતિક ગુણધર્મોમાં ઊંડાઈએ થતા ઝડપી ફેરફારો સાતત્યભંગ કહેવાય છે. પૃથ્વીની સપાટીથી 2900 કિમી. ઊંડાઈએ ભૂકંપીય અભ્યાસ દ્વારા જાણવા મળેલો સાતત્યભંગ આ નામથી ઓળખાય છે અને એ પૃથ્વીના પેટાળના ‘ભૂમધ્યાવરણ’ (mantle) અને ‘કેન્દ્રીય ભાગ’(core)ને જુદા પાડે છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે