કોશિબા માશાતોસી

January, 2008

કોશિબા, માશાતોસી (Masatoshi Koshiba) : (જ. 19 સપ્ટેમ્બર 1926, ટોયોહાશિ, જાપાન) : જાપાનના ખગોળ-ભૌતિકવિજ્ઞાની અને ભૌતિકવિજ્ઞાનના 2002ના નોબેલ પુરસ્કારના સહવિજેતા.

કોશિબા માસાતોશી

કોશિબા 1951માં યુનિવર્સિટી ઑવ્ ટોકિયોની સ્કૂલ ઑવ્ સાયન્સમાંથી સ્નાતક થયા હતા. 1955માં યુનિવર્સિટી ઑવ્ રૉચેસ્ટર, ન્યૂયૉર્કમાંથી ભૌતિકવિજ્ઞાનમાં પીએચ.ડી. થયા હતા.

તે પછી તે યુનિવર્સિટી ઑવ્ ટોકિયોમાં જોડાયા અને ત્યાં 1960માં પ્રાધ્યાપક થયા. ત્યાં જ 1987માં માનાર્હ પ્રાધ્યાપક થયા. 1987થી 1997 સુધી તેમણે રોકાઈ યુનિવર્સિટીમાં અધ્યાપનકાર્ય કર્યું.

તેમણે નોંધપાત્ર સંશોધન ખગોળ-ભૌતિકવિજ્ઞાનમાં કર્યું. ખાસ કરીને ‘ન્યૂટ્રિનો’ પર તેમનું સંશોધન વિશેષ નોંધપાત્ર રહ્યું. 2002માં તેમને ભૌતિકવિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર ખગોળ-ભૌતિકવિજ્ઞાનમાં તેમના પાયાના પ્રદાન – ખાસ કરીને વૈશ્વિક ન્યૂટ્રિનોની પરખ માટે અમેરિકાના રેમન્ડ ડેવિસ જુનિયર અને રિકાર્ડો ગિઆકોની સાથે સંયુક્ત રીતે એનાયત થયો હતો.

કોશિબાને જે સંશોધન માટે નોબેલ પુરસ્કાર એનાયત થયેલો તે ન્યૂટ્રિનોને લગતું છે. ન્યૂટ્રિનો અવપરમાણુ કણો છે. ન્યૂટ્રિનોને વિદ્યુતભાર નથી. એમ માનવામાં આવતું હતું કે ન્યૂટ્રિનોને દળ નથી. આવી માન્યતા પાછળનું કારણ એ છે કે ન્યૂટ્રિનો કોઈ અન્ય કણ સાથે આંતરક્રિયા કરતો નથી. તેથી તેની પરખ મેળવી શકાતી નથી. મનુષ્યના શરીરના દર ચોરસ સેન્ટિમિટર ભાગમાંથી દર સેંકડે 60 અબજ ન્યૂટ્રિનો પસાર થતા હોય છે; તેમ છતાં મનુષ્યને તેનો અણસાર આવતો જ નથી, કારણ કે તે મનુષ્યના શરીરમાંના કોઈ કણ સાથે આંતરક્રિયા કરતા નથી.

પરંતુ રેમન્ડ ડેવિસ જુનિયરના સંશોધનમાંથી પ્રેરણા લઈ 1980ના દાયકામાં ન્યૂટ્રિનોની પરખ મેળવવા એક વિરાટ પ્રયોગ થયો. જાપાનમાં ટોકિયોથી 250 કિલોમીટર દૂર આવેલ જસતની ખાણવાળા ગામ કોમિયોકામાં આવેલા માઉન્ટ ઇકેનોયામાના પેટાળમાં આવેલ જસતની ઊંડી ખાણમાં એક વિશાળ સ્ટેનલેસ સ્ટીલની ટાંકી ગોઠવી અને તેમાં 50,000 ટન અતિશુદ્ધ (ultra pure) પાણી ભર્યું. સાદા પાણી ભરેલા સ્વિમિંગ પુલમાં પ્રકાશનું કિરણ થોડા મીટર જાય એટલે તેની તીવ્રતા અડધી થઈ જાય. જ્યારે અત્રે ઉપર્યુક્ત ટાંકીમાં 70 મીટર ગયા પછી તીવ્રતા અડધી થઈ. ન્યૂટ્રિનોનું અસ્તિત્વ એક ઝબકાર (flash) રૂપે પરખાવાની અપેક્ષા હતી. આ ઝબકારો ન્યૂટ્રિનો પાણીમાંના હાઇડ્રોજન પરમાણુની નાભિ સાથે આંતરક્રિયા કરે તો ઉત્પન્ન થવાની સંભાવના હતી. 1920થી એવું માનવામાં આવતું હતું કે સૂર્યમાં ઉષ્માનાભિકીય (thermonuclear) પ્રક્રિયા દ્વારા ઊર્જા ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયામાં હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર થાય છે અને સાથે ઊર્જા ઉદભવે છે. આ પ્રક્રિયામાં સૈદ્ધાંતિક ગણતરી અનુસાર અગણિત ન્યૂટ્રિનો ઉદભવે છે અને પરિણામે પૃથ્વી પર સૂર્યમાંથી આવતા ન્યૂટ્રિનોનો મારો થતો હોવો જોઈએ. અલબત્ત, ન્યૂટ્રિનોની દ્રવ્ય સાથે આંતરક્રિયા અત્યંત મંદ થતી હોઈને, એક હજાર અબજ પૈકી માત્ર એક ન્યૂટ્રિનો પૃથ્વીને માર્ગે જતાં અટકતો હોવો જોઈએ.

1980ના દાયકામાં કોશિબાએ જે પ્રયોગ કર્યો હતો તેને કામિયો કાન્ડે-2 (Kamio Kande II) કહેવામાં આવે છે. કોશિબા રેમન્ડ ડેવિસ જુનિયરના એ પરિણામને પુષ્ટિ આપી શક્યા કે સૂર્ય ન્યૂટ્રિનો ઉત્પન્ન કરે છે; પણ જેટલા ન્યૂટ્રિનો ઉત્પન્ન થવાની ગણતરી હતી તેના કરતાં ઓછા ન્યૂટ્રિનો માલૂમ પડ્યા હતા. આ ઘટ શા કારણે હશે તે એક કોયડો હતો. 1987માં કામિયો કાન્ડે આકાશગંગાને પેલે પાર સુપરનોવા વિસ્ફોટમાં ઉત્પન્ન થયેલ ન્યૂટ્રિનો પરખ્યા હતા. 1996માં તેણે સુપર કામિયો કાન્ડે નામના વધારે મોટા અને વધારે સંવેદી પરખને કાર્યરત કર્યું. કોશિબા અને અન્ય વૈજ્ઞાનિકોને જે શંકા હતી તે અંગે મજબૂત પુરાવો મળ્યો. તે એ છે કે જેના ત્રણ પ્રકારો જાણીતા છે તે ન્યૂટ્રિનો તેમની ઉડાન દરમિયાન એક પ્રકારમાંથી બીજા પ્રકારમાં બદલાઈ જતા હતા.

અગાઉના પ્રયોગો ત્રણેય પ્રકારના ન્યૂટ્રિનોને પારખી શકતા ન હતા. તેથી સૂર્યમાંથી આવતા ન્યૂટ્રિનો ધારણા કરતાં ઓછા માલૂમ પડ્યા હતા; પરંતુ સુપર કામિયો કાન્ડે પ્રયોગે આ કોયડો ઉકેલી દીધો હતો. તેમના આ પાયાના પ્રદાન માટે ઈ. સ. 2002નો ભૌતિકવિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર અન્ય વૈજ્ઞાનિકો સાથે સંયુક્ત રીતે એનાયત થયો હતો.

તેઓ હાલ ‘આઇસીઈપીપી’(ICEPP)માં વરિષ્ઠ સલાહકાર અને યુનિવર્સિટી ઑવ્ ટોકિયોના માનાર્હ પ્રાધ્યાપક રહેલ છે.

પ્રો. કોશિબા ‘ધ બુલેટિન ઑવ્ ઍટમિક સાયન્ટિસ્ટ્સ’ની પુરસ્કર્તા સમિતિ(Board of Sponsors)ના સભ્ય છે.

વિહારી છાયા

પ્રહલાદ છ. પટેલ