કૈકેઈ (જ. 1183, જાપાન; અ. 1236, જાપાન) : જાપાનમાં બૌદ્ધ શિલ્પોની પરંપરાની સ્થાપનામાં સૌથી વધુ યોગદાન આપનાર શિલ્પી. પિતા કોકેઈ અને ભાઈ ઉન્કેઈ સાથે જાપાનની પ્રાચીન રાજધાની નારામાં તેણે કોફુકુજી અને ટોડાઇજી મંદિરોમાં બૌદ્ધ શિલ્પો કંડાર્યાં. તેમાં વાસ્તવવાદી અભિગમ સાથે મૃદુતા અને લાવણ્યનો પણ સ્પર્શ જોવા મળે છે. ટોડાઇજી મંદિરમાં તેણે જાપાનના યુદ્ધદેવતા હેચિમૅન અને બાળકોના રક્ષકદેવતા જિઝોબોસાત્સુનાં શિલ્પો પણ કંડાર્યાં છે. આ બંને શિલ્પો પર તેણે રંગરોગાન પણ કર્યું છે. તેણે કંડારેલાં શિલ્પોમાંથી આજે હયાત શિલ્પોની સંખ્યા વીસની છે.

જીવનના ઉત્તરકાળમાં તે બૌદ્ધ સાધુ થઈ ગયો અને તેણે નવું નામ અંગીકાર કર્યું : અનામી બુત્સુ. આથી, તેણે આરંભ કરેલી શિલ્પશૈલી આજે ‘અનામી’ નામે ઓળખાય છે.

અમિતાભ મડિયા